crime
દશામાના વ્રત પૂર્વે હિંમતનગરમાં મૂર્તિ ખરીદી માટે ભીડ:ટાવર ચોકમાં બજાર ઉમટ્યું, ઓવરબ્રિજ પર કાર પાર્કિંગથી ટ્રાફિક જામ
શ્રાવણ માસના પ્રારંભ સાથે હિન્દુ તહેવારોનો માહોલ જામ્યો છે. આવતીકાલથી દશામાના વ્રતનો પ્રારંભ થવાનો હોવાથી મંગળવારે હિંમતનગર સહિત જિલ્લાના અન્ય સ્થળોએ બજારમાં દશામાની મૂર્તિઓની ખરીદી માટે ભારે ભીડ જોવા મળી હતી. અનેક મહિલાઓએ મૂર્તિઓ ખરીદવા ધસારો કર્યો હતો. હિંમતનગરના ટાવર ચોક વિસ્તારમાં મંગળવારે વહેલી સવારથી જ દશામાની રંગીન અને વિવિધ પ્રતિકૃતિવાળી મૂર્તિઓની માંગ વધુ રહી હતી. પીઓપીમાંથી તૈયાર કરાયેલી આ મૂર્તિઓની કિંમત આશરે રૂ. 100 થી રૂ. 5000 થી વધુના ભાવે વેચાઈ હતી. દિવસ દરમિયાન ટાવર ચોક સહિત અન્ય વિસ્તારોમાં મૂર્તિઓ અને પૂજા સામગ્રીની માંગ વધી હતી. બુધવારથી શરૂ થતા દશામાના વ્રત કરનારી મહિલાઓ પોતાના ઘરે, મહોલ્લામાં અથવા ધાર્મિક સ્થળે મૂર્તિનું સ્થાપન કરશે. તેઓ 10 દિવસ સુધી ઉપવાસ રાખીને સવાર-સાંજ દશામાની પૂજા કરીને આરતીમાં ભાગ લેશે. વ્રતના અંતિમ દિવસે હિંમતનગર સહિત અનેક સ્થળોએ મૂર્તિ વિસર્જનના કાર્યક્રમો યોજાશે.મૂર્તિઓની ખરીદી માટે ઉમટેલી ભીડને કારણે હિંમતનગરના ટાવર ચોકમાં ઓવરબ્રિજ પર કાર પાર્કિંગ થયું હતું, જેના પરિણામે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી. જોકે, પોલીસે પણ પોતાની ફરજ બજાવતી જોવા મળી હતી. શ્રદ્ધા અને આસ્થાના આ પર્વને લઈને ભક્તો અને વ્રત કરનારાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
Read full article on Divya Bhaskar