crime
આવતીકાલે રાજકોટ મહાપાલિકાનું જનરલ બોર્ડ:દૂષિત પાણી, રસ્તાના ખાડા, આજી રિવરફ્રન્ટ સહિતના ધગધગતા પ્રશ્નો મુદ્દે વિપક્ષ અધિકારીઓને ભીડવશે, આ બોર્ડ પણ સાંજ સુધી ચાલવાની શકયતા
રાજકોટ મહાપાલિકાનું જનરલ બોર્ડ આવતીકાલે સવારે 11 કલાકે મેયર ડો. નેહલ શુકલના અધ્યક્ષસ્થાને મળશે. આ બોર્ડમાં ભાજપ અને કોંગ્રેસના 18 કોર્પોરેટરો દ્વારા કુલ 42 પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા છે. બોર્ડની શરૂઆત ભાજપના સંજય ચાવડાના BRTS બસ સેવા, વકીલોની સંખ્યા અને પડતર કેસોને લગતા પ્રશ્નથી થશે. ત્યારબાદ કોંગ્રેસના 100% એટલે કે તમામ 7 કોર્પોરેટરો 18 તીખા સવાલો સાથે મોરચો માંડશે. જેમાં વિપક્ષી સભ્ય મકબુલ દાઉદાણીએ આજી નદીમાંથી ગાંડીવેલ કાઢવા, વર્ષ 2012 થી રિવરફ્રન્ટ પાછળ થયેલા ખર્ચ, સાધનોની યાદી અને ટીપી શાખાની કામગીરીની વિગતો માંગી છે. આ ઉપરાંત સુધાબા વાઘેલાએ 2 મહિનામાં પાણીજન્ય રોગચાળાના કેસો તથા ધોવાયેલા રસ્તાઓના રિપેરિંગ ખર્ચના આંકડા માંગ્યા છે. દિપ્તીબેન સોલંકીએ તા. 1 એપ્રિલ 2026થી લેવાયેલા પાણીના નમૂના, ટેસ્ટિંગ રિપોર્ટ અને અટલ સરોવરના ખર્ચ અંગે પ્રશ્નો પૂછ્યા છે. ઉપરાંત મનીષાબેન રોજાસરાએ સીટીબસ, ડ્રાઇવરોની વિગતો, અર્જુન ચૌહાણે ટીપરવાન કર્મચારીઓના પગાર અને કલ્યાણ યોજનાઓ, ઇબ્રાહીમ સોરાએ ડિમોલિશન કાટમાળ ટેન્ડર તથા રસીલાબેન ગરૈયાએ આજી નદી સફાઈ ખર્ચ અને રામવન અંગે સવાલો ઉઠાવ્યા છે. ત્યારે આ બોર્ડ પણ સાંજ સુધી ચાલે તેવી શક્યતા છે. રાજકોટ કોર્પોરેશનમાં બદલીનો ઘાણવો, અજય પરસાણાને ક્વોલિટી કંટ્રોલ સેલનો હવાલો સોંપાયો રાજકોટ કોર્પોરેશનમાં કમિશનર બ્રાંચમાં ઘણા વર્ષોથી ટેકનીકલ સલાહકાર તરીકે પારદર્શક અને સચોટ કામગીરી કરતા ડેપ્યુટી એન્જિનિયર અજય પરસાણા સહિત 6 અધિકારીઓની બદલી કરવામાં આવી છે, જ્યારે ઇનચાર્જ આસિસ્ટન્ટ કમિશનરોના હવાલા પણ ફેરવવામાં આવ્યા છે. કમિશનર વિભાગ ખાતે નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે કામ કરતા અજય પરસાણાને હવે વિજિલન્સ ટેકનીકલ વિભાગ અને ક્વોલિટી કંટ્રોલ સેલની મહત્વની કામગીરી સોંપવામાં આવી છે. તેમની જગ્યાએ ઇનચાર્જ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર તરીકે વી.ડી. ઘોણીયાને મૂકવામાં આવ્યા છે, જેઓ લીગલ, આરટીઆઈ, જીએડી, લાઈબ્રેરી, પ્રોટોકોલ, ફરિયાદ નિવારણ અને આયોજન સેલ સંભાળશે. આ સિવાય બી.એલ. કાથરોટીયાને એસ્ટેટ દબાણ હટાવ સાથે સેન્ટ્રલ સ્ટોર, ડી.એમ. ડોડીયાને વેસ્ટ ઝોન, ટેક્સ, સ્નાનાગાર અને રેસકોર્સની કામગીરી સોંપાઈ છે. જ્યારે કે.ડી. વાઢેરને સેન્ટ્રલ ઝોન ટેક્સ, શોપ, ચૂંટણી, આવાસ, પ્રોજેક્ટ તથા આર.એમ. ગામેતીને ઈસ્ટ ઝોન ટેક્સ, સાંસ્કૃતિક વિભાગ, શાળા બોર્ડ અને હાઈસ્કૂલની જવાબદારી સોંપવામાં આવી છે. સ્માર્ટ સિટી’ના ફૂટપાથ અને સાયકલ ટ્રેક પર વાહન ચલાવવા કે પાર્કિંગ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મહાનગરપાલિકા અને રાજકોટ સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટ લી. દ્વારા સ્માર્ટ સિટી મિશન અંતર્ગત રૈયા ટી.પી.-32 ના આશરે 930 એકરના વિસ્તારમાં વિકસાવવામાં આવેલ ’અટલ સ્માર્ટ સિટી’માં હવે.આડેધડ વાહનો ચલાવનારા અને પાર્કિંગ કરનારાઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ વિસ્તારમાં અત્યાધુનિક રોડ નેટવર્ક, બીઆરટીએસ કોરિડોર અને સ્માર્ટ સ્ટ્રીટ લાઇટિંગ સાથે ખાસ ફૂટપાથ તથા સાયકલ ટ્રેકનું નિર્માણ કરાયું છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ફૂટપાથ અને સાયકલ ટ્રેક પર વાહનોનું બિન-અધિકૃત પાર્કિંગ તથા અવર-જવર થવાની ફરિયાદો ઉઠી હતી. ઉપરાંત અટલ સરોવર આસપાસ રીલ્સ માટે સ્ટંટબાજી, જાહેરમાં ડીજે અને બર્થડે પાર્ટીનું ન્યુસન્સ પણ વધી રહ્યું હતું. આ સ્થિતિને ગંભીરતાથી લઈને પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી સમગ્ર ફૂટપાથ અને સાયકલ ટ્રેકને ’નો-પાર્કિંગ ઝોન’ જાહેર કરાયો છે. હુકમનો ભંગ કરનાર સામે મોટર વાહન અધિનિયમ- 1988ની કલમ-183 અને 184 હેઠળ કાનૂની કાર્યવાહી થશે. જોકે, ફરજ પરના પોલીસ વાહનો, એમ્બ્યુલન્સ, શબવાહિની, ફાયર બ્રિગેડ અને સરકારી વાહનોને આ નિયમમાંથી મુક્તિ અપાઈ છે.
Read full article on Divya Bhaskar