business
મોરબી મહાપાલિકાના ગ્રામ્ય વિસ્તારના વેરા વિસંગતતા દૂર થશે:સંકલન બેઠકમાં ધારાસભ્ય ગેરહાજર પરંતુ તેમની રજૂઆત, કમિશનરે ખાતરી આપી
મોરબી મહાનગરપાલિકા કચેરી ખાતે સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. કમિશનર સંગીતા રૈયાણીના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં મોરબી મહાપાલિકામાં ભળેલા ગ્રામ્ય વિસ્તારોમાં મિલકત વેરાની વસૂલાત અને આકારણી સંબંધિત વિસંગતતાઓ દૂર કરવા પર ચર્ચા થઈ હતી. કમિશનરે આ મુદ્દે જરૂરી નિર્ણય લેવાની ખાતરી આપી હતી. આ બેઠકમાં ધારાસભ્ય દુર્લભજી દેથારિયા અનિવાર્ય કારણોસર હાજર રહી શક્યા ન હતા. જોકે, તેમના દ્વારા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા અને તેમની સૂચનાથી બેઠક ચાલુ રાખવામાં આવી હતી. મહાનગરપાલિકાના તમામ વિભાગના અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય તરફથી રજૂ કરાયેલા પ્રશ્નોમાં મુખ્યત્વે મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ગ્રામ્ય વિસ્તારોમાં મિલકત વેરાની વસૂલાતનો મુદ્દો હતો. તેમણે રજૂઆત કરી હતી કે જ્યાં સુધી ગ્રામ પંચાયત હતી ત્યાં સુધી ગ્રામ પંચાયતના નિયમ મુજબ અને ત્યારબાદ મહાનગરપાલિકાના નિયમ મુજબ વેરો લેવામાં આવે. આ પ્રશ્નના જવાબમાં કમિશનરે જણાવ્યું હતું કે, પૂર્વ કમિશનરે આ અંગે ઓફિસ આદેશ કર્યો હતો અને તેની અમલવારી હાલમાં શરૂ કરી દેવામાં આવી છે. તે મુજબ જ વેરાની વસૂલાત કરવામાં આવી રહી છે. વધુમાં, ધારાસભ્ય તરફથી નવી મિલકતના વેરાની આકારણી સમયે લેવામાં આવતા સોગંદનામામાં સુધારો કરવા માટે પણ પ્રશ્ન રજૂ કરાયો હતો. કમિશનરે આ મુદ્દાને ધ્યાને લઈને જણાવ્યું હતું કે, આગામી સમયમાં જરૂર જણાશે તો સોગંદનામામાં સુધારા-વધારા કરવામાં આવશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, મહાનગરપાલિકા વિસ્તારમાં વહેલી તકે લોકોની મિલકતની આકારણી થાય અને મિલકત વેરાની આવક શરૂ થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
Read full article on Divya Bhaskar