business
જામકંડોરણામાં ઉર્જામંત્રીના હસ્તે PGVCL ની પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ:17 હજાર ખેડૂત વીજધારકોને ફાયદો, જરૂર પડ્યે 10 કલાક વિજળી આપવા કટિબદ્ધતા
રાજકોટના જામકંડોરણા ખાતે રાજ્યના ઉર્જા મંત્રી કૌશિક વેકરીયા દ્વારા પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડની પેટા વિભાગ–2 ની કચેરીનું રૂ.1.31 કરોડના ખર્ચે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેનાથી જામકંડોરણા તાલુકાના 17,000 થી વધુ ખેડૂત વીજધારકોને ફાયદો થશે. ખેડૂતોને વીજ કનેક્શન મેળવવામાં સરળતા થશે તેમજ વીજફોલ્ટ કે અન્ય મુશ્કેલી સમયે ત્વરિત નિરાકરણ મળી રહેશે. ઉર્જામંત્રીએ ઊર્જા વિભાગની સિદ્ધિઓ અંગે જણાવતા કહ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યમાં જ્યોતિગ્રામ યોજનાથી 18 હજાર જેટલા ગામડાઓમાં 24 કલાક વીજળી આપવાનું ભગીરથ કાર્ય કર્યું છે. ખેડૂતોને દિવસના વીજળી આપવાની કામગીરી ગુજરાત રાજ્યે સૌપ્રથમ વડાપ્રધાનના નેતૃત્વમાં કરી હતી.આ સરકાર ખેડૂતોના હિત માટે હંમેશા કામ કરતી આવી હોવાનું જણાવી તેમણે કહ્યું હતું કે, હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને જરૂર પડ્યે ખેડૂતોને 10 કલાક વીજળી પણ પૂરી પાડવામાં આવશે.વધુમાં ગત વર્ષે કુદરતી આફત વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં ખેડૂતો માટે 10 હજાર કરોડનું રાહત પેકેજ આપ્યું હતું. આ તકે ઊર્જા રાજ્યમંત્રીએ ખાસ કરીને ઊર્જા વિભાગ દ્વારા તહેવારો પર પણ ૨૪ કલાક લોકોને વીજળી મળી રહે તે માટે કરવામાં આવતી કામગીરી બદલ વિભાગનો આભાર માન્યો હતો. જામકંડોરણા તાલુકાના ધારાસભ્ય જયેશ રાદડિયાએ આ તકે પેટા વિભાગીય કચેરી આવવા બદલ રાજ્ય સરકારનો આભાર માની જણાવ્યું હતું કે, આ સમગ્ર પંથક કૃષિ ક્ષેત્ર પર નિર્ભર છે. અહીં વીજળીનું ખૂબ મહત્વ છે ત્યારે નવી વિભાગીય કચેરી દ્વારા ખેડૂતોને આવનારા સમયમાં વીજ ક્ષેત્રે કોઈ મુશ્કેલી નહીં પડે, ઊર્જા વિભાગ દ્વારા નવા 66 કે.વી. સબ સ્ટેશન, અંડર ગ્રાઉન્ડ કેબલિંગ સહિતની માંગ અંગે પણ હકારાત્મક અભિગમ દર્શાવવા બદલ મંત્રીનો આભાર માન્યો હતો.ઊર્જા રાજ્યમંત્રી અને ધારાસભ્ય રાદડિયાએ નવનિર્મિત બિલ્ડીંગનું તકતી અનાવરણ તેમજ રિબિન કાપી લોકાર્પણ કર્યું હતું.
Read full article on Divya Bhaskar