crime
મોડી રાતે હથિયારધારી ટોળાના આતંક બાદ વિદ્યાર્થીઓ ધરણા પર ઉતર્યા:ગાંધીનગરમાં IIIT વડોદરાની હોસ્ટેલમાં આતંક, સંસ્થાએ સુરક્ષાની ખાત્રી આપતા મામલો શાંત પડ્યો
ગાંધીનગરના સેક્ટર-28 સ્થિત IIIT વડોદરાના ગાંધીનગર કેમ્પસ સાથે સંકળાયેલી અને દેલવાડ ખાતે આવેલી હોસ્ટેલમાં ગઇકાલે રાત્રે અસામાજિક તત્વોએ ભારે આતંક અને હુમલાની ઘટના સામે આવતા આજે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કોલેજ બહાર તેમજ કોલેજ કેમ્પસમાં ધરણા પર બેસી ગયા હતા. જોકે સંસ્થાએ સંપૂર્ણ સુરક્ષાની ખાત્રી આપતા આખરે મામલો શાંત પડી ગયો હતો. ટોળું હથિયારો સાથે સીધું હોસ્ટેલ કેમ્પસમાં ઘૂસ્યું ગઈકાલે(14 સપ્ટેમ્બર) રાત્રે બે બ્લેક કલરની સ્કોર્પિયો કારમાં 15થી 20 જેટલા શખ્સોનું ટોળું હથિયારો સાથે સીધું હોસ્ટેલ કેમ્પસમાં ઘૂસી આવ્યું હતું. આ અસામાજિક તત્વોએ હોસ્ટેલ પરિસરમાં ભારે ઉત્પાત મચાવી વિદ્યાર્થીઓને ધમકાવ્યા હતા.આ અચાનક થયેલા હુમલા અને બબાલમાં 2થી 3 વિદ્યાર્થીને ઈજા પહોંચી હતી. જોકે આ માથાકૂટ ઊંચા અવાજે મ્યુઝિક વગાડવા જેવી નજીવી બાબતે થઈ હોવાનું કહેવાઈ રહ્યું છે. વિદ્યાર્થીઓ આજે મોટી સંખ્યામાં ધરણા પર ઉતર્યા જેના કારણે સમગ્ર વિદ્યાર્થી આલમમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. રાતે બનેલી આ ઘટનાના વિરોધમાં વિદ્યાર્થીઓ હોસ્ટેલ કેમ્પસ તેમજ કોલેજ બહાર મોટી સંખ્યામાં ધરણા પર ઉતરી ગયા હતા. વિદ્યાર્થીઓમાં પ્રવર્તેલા રોષ અને સુરક્ષાના સવાલો વચ્ચે IIIT વડોદરા સંસ્થા દ્વારા સત્તાવાર પ્રેસ રિલીઝ બહાર પાડવામાં આવી છે. સંસ્થાએ સુરક્ષાની ખાત્રી આપતા મામલો શાંત પડ્યો જેમાં સંસ્થાએ સ્પષ્ટ કર્યું છે કે વિદ્યાર્થીઓની સલામતી, સુરક્ષા અને સુખાકારી સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક ધોરણે મહત્વના કડક પગલાં લેવામાં આવ્યા છે. આ મામલે સંસ્થા સ્થાનિક પોલીસ સત્તાવાળાઓ સાથે સંકલન સાધી રહી છે. જેના ભાગરૂપે હોસ્ટેલ પરિસરમાં પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવી રહ્યા છે. બે ફેકલ્ટી સભ્યો વિદ્યાર્થીઓ સાથે નિયમિત સંપર્કમાં રહેશે આ ઉપરાંત હોસ્ટેલની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે ખાનગી સુરક્ષા કર્મચારીઓ એટલે કે બાઉન્સર્સ પણ તૈનાત કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓમાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટે સંસ્થાના બે ફેકલ્ટી સભ્યો અથવા અધિકારીઓ હવેથી હોસ્ટેલમાં જ રહીને વિદ્યાર્થીઓ સાથે નિયમિત સંપર્કમાં રહેશે. આગામી સમયમાં વૈકલ્પિક હોસ્ટેલ વ્યવસ્થાની શકયતા આ સાથે જ વિદ્યાર્થીઓના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરીને આગામી સમયમાં વૈકલ્પિક હોસ્ટેલ વ્યવસ્થા ઊભી કરવાની શક્યતાઓ પણ ચકાસવામાં આવી રહી છે. ભવિષ્યમાં આવી અઘટિત ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે સંસ્થા દ્વારા તમામ આવશ્યક પગલાં લેવાઈ રહ્યા હોવાની ખાતરી આપવામાં આવી છે. જેના પગલે આખરે મામલો શાંત પડી ગયો છે.
Read full article on Divya Bhaskar