business
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે વિદેશ અભ્યાસની લોનમાં મોટી રાહત:આવક મર્યાદા ₹6 લાખથી વધારી ₹10 લાખ કરાઈ, વિદ્યાર્થીઓ માટે વિદેશી યુનિવર્સિટીના દરવાજા ખુલશે
વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા ઇચ્છતા ગુજરાતના બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે મહત્વનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય લીધો છે. ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ હેઠળ અમલમાં રહેલી ‘વિદેશ અભ્યાસ લોન યોજના’માં પરિવારની વાર્ષિક આવકની મહત્તમ મર્યાદા ₹6 લાખથી વધારીને ₹10 લાખ કરવામાં આવી છે. હવે ₹10 લાખ સુધીની આવક ધરાવતા વિદ્યાર્થીઓને લાભ મળશે અત્યાર સુધી યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીના પરિવારની વાર્ષિક આવકની મર્યાદા ₹6 લાખ હતી. રાજ્ય સરકારે તેમાં ₹4 લાખનો વધારો કરતાં હવે ₹10 લાખ સુધીની વાર્ષિક કૌટુંબિક આવક ધરાવતા પાત્ર બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ પણ વિદેશ અભ્યાસ માટે લોન સહાય મેળવી શકશે. મધ્યમ વર્ગના પરિવારોને સૌથી મોટી રાહત આ નિર્ણયથી ખાસ કરીને મધ્યમ આવક ધરાવતા પરિવારોના વિદ્યાર્થીઓને ફાયદો થશે. અગાઉ માત્ર આવક મર્યાદા વધુ હોવાના કારણે યોજનાથી વંચિત રહી જતા વિદ્યાર્થીઓ હવે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે લોન સહાય મેળવી શકશે. વિદેશમાં અભ્યાસ દરમિયાન ટ્યુશન ફી ઉપરાંત રહેવા-જમવા અને અન્ય શૈક્ષણિક ખર્ચને પહોંચી વળવામાં લોન સહાય મહત્વપૂર્ણ બની શકે છે. વધુ વિદ્યાર્થીઓ માટે વિદેશી યુનિવર્સિટીના દરવાજા ખુલશે સરકારનો હેતુ એ છે કે આર્થિક રીતે સક્ષમ નહીં પરંતુ મધ્યમ આવક ધરાવતા પરિવારોના તેજસ્વી વિદ્યાર્થીઓ માત્ર આવક મર્યાદાના કારણે વિદેશમાં ઉચ્ચ શિક્ષણની તકથી વંચિત ન રહે. આવક મર્યાદામાં વધારો થતાં વધુ વિદ્યાર્થીઓને વિદેશની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં અભ્યાસ, આધુનિક ટેક્નોલોજી, સંશોધન અને આંતરરાષ્ટ્રીય અનુભવ મેળવવાની તક મળશે. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડો. પ્રદ્યુમન વાજા તથા રાજ્ય મંત્રી ડો. મનીષાબેન વકીલના નેતૃત્વ હેઠળ વિભાગ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના આ નિર્ણયને બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે વિદેશ અભ્યાસની તકો વિસ્તારતું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
Read full article on Divya Bhaskar