business
અમરેલીમાં 5 કરોડના ખર્ચે નવું તાલુકા પંચાયત ભવન બનશે:મંત્રી કૌશિક વેકરિયાએ ખાતમુહૂર્ત કર્યું; 11 માસમાં ગુણવત્તાયુક્ત કામ પૂર્ણ કરવા તાકીદ
અમરેલીમાં એસ.ટી. ડેપો નજીક ₹5 કરોડના ખર્ચે આકાર પામનારા આધુનિક તાલુકા પંચાયત ભવનનું ખાતમુહૂર્ત રાજ્યના ઉર્જા મંત્રી કૌશિક વેકરીયાના હસ્તે સંપન્ન થયું હતું. સ્થાનિક નાગરિકો, સરપંચો અને અરજદારોને ઉત્તમ સુવિધાઓ મળી રહે તે હેતુથી આયોજિત આ પ્રકલ્પનું નિર્માણ કાર્ય 11 માસની સમયમર્યાદામાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. નાગરિકોની વર્ષો જૂની અસુવિધાનો આવશે અંત અમરેલી તાલુકા પંચાયતની જૂની ઇમારત અત્યંત નાની અને અસુવિધાજનક હોવાથી વહીવટી કામગીરી અને અરજદારો માટે ભારે મુશ્કેલી સર્જાતી હતી. સ્થાનિકો અને લોકપ્રતિનિધિઓની સતત રજૂઆતોને ધ્યાને લઈને રાજ્ય સરકારે નવી જગ્યા પર આ અધ્યતન ભવન બનાવવાની મંજૂરી આપી હતી. બાંધકામની ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ નહીં થાય ખાતમુહૂર્ત પ્રસંગે ઉર્જા મંત્રીએ જાહેરમાં કોન્ટ્રાક્ટરને નિર્ધારિત 11 મહિનામાં જ ઉત્કૃષ્ટ ગુણવત્તા સાથે કામ પૂરું કરવા સ્પષ્ટ સૂચના આપી હતી. આ સાથે જ તેમણે પંચાયતના સભ્યો અને સરપંચોને પણ નિર્માણ કાર્ય દરમિયાન નિયમિત સ્થળ મુલાકાત લઈ કામગીરીની ચકાસણી કરવા અપીલ કરી હતી. મુખ્યમંત્રીના વિઝન મુજબ ઉત્તમ સુવિધાઓ અપાશે મંત્રી કૌશિક વેકરીયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં દરેક વિકાસકાર્ય ગુણવત્તાસભર થાય તે સરકારની પ્રાથમિકતા છે. એસ.ટી. ડેપોની બાજુમાં જ આ ભવન બની રહ્યું હોવાથી નાગરિકોને અવરજવર માટે સુગમતા રહેશે અને આવનારા દિવસોમાં તાલુકાના લોકોને શ્રેષ્ઠ સુવિધાઓથી સજ્જ એક આધુનિક ભવનની ભેટ મળશે.
Read full article on Divya Bhaskar