top
VVIPઓને 6 કિમી સુધી લઈ જવા 20 લાખનો તોતિંગ ખર્ચ:જૂનાગઢ મહાશિવરાત્રિ મેળામાં કલાકારો પાછળ કરાયેલા ખર્ચના વિવાદ બાદ હવે વાહનો પાછળ કરાયેલા ખર્ચનો વિવાદ
જૂનાગઢમાં મહાશિવરાત્રિના મેળામાં કરવામાં આવેલા આડેધડ ખર્ચનો વધુ એક વિવાદ સામે આવ્યો. મેળા પહેલા અને મેળા દરમિયાન સરકારે VVIP કલ્ચર નાબૂદ કરવાના દાવા કર્યા. પરંતુ, મેળામાં VVIP લોકોને સ્થળ સુધી લઈ જવા માટે વાહનો પાછળ 20 લાખ રૂપિયાનો તોતિંગ ખર્ચ કરાયો. આશ્ચર્યની વાત એ છે કે, કયા VIPએ કયા વાહનમાં મુસાફરી કરી તેની કોઈ લોગબુક જ તૈયાર કરવામાં ન આવી. ખર્ચની જે રીતે ચૂકવણી કરવામાં આવી છે તે પણ શંકાસ્પદ લાગી રહી છે ત્યારે વિપક્ષે ઉચ્ચસ્તરીય તપાસની માગ કરી છે. કલાકાર પાછળ કરાયેલા ખર્ચનો વિવાદ ઉકેલાયો નથી ત્યાં નવો વિવાદ જૂનાગઢમાં આ વર્ષે યોજાયેલા મહાશિવરાત્રિના મેળામાં કલાકારોને કરવામાં આવેલી લાખો રૂપિયાની લ્હાણીનો વિવાદ સર્જાયો હતો. આ મામલે હજી કોઈ કાર્યવાહી થઈ નથી. ત્યાં હવે મેળામાં VVIP લોકોને લાવવા-મૂકવા માટે જે વાહનોની વ્યવસ્થા કરવામાં આવી હતી તેની પાછળ 20 લાખ રૂપિયાનો તોતિંગ ખર્ચ કરાયો હોવાનું RTIમાં સામે આવતા વિપક્ષે સવાલ ઉઠાવ્યો. સાધુ-સંતો માટે બગી, VVIP માટે અર્બેનિયા, ટેમ્પો ટ્રાવેલ પાછળ 35 લાખનો ખર્ચ જૂનાગઢ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા લલિત પરસાણા દ્વારા જૂનાગઢ RTO કચેરી પાસે RTI હેઠળ માહિતી માંગવામાં આવી હતી. સામે આવેલી આંકડાકીય વિગતો મુજબ જૂનાગઢની RTO કચેરી દ્વારા શિવરાત્રી મેળા 2026 દરમિયાન VVIP લોકો તેમજ સામાન્ય નાગરિકો માટે લક્ઝરીયસ વાહન સેવાઓ ભાડે રાખવામાં આવી હતી, જેનો કુલ ખર્ચ 35,58,044 રૂપિયા થયો છે. VVIP પગપાળા ગયા તો તેના નામે વાહનો પાછળ આટલો મોટો ખર્ચ કઈ રીતે થાય? જૂનાગઢ મનપાના વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ આક્ષેપો કરતા કહ્યું કે, જ્યારે મેળા અંગે માહિતી માંગવામાં આવી ત્યારે તંત્ર દ્વારા અલગ-અલગ અને શંકાસ્પદ જવાબો આપવામાં આવ્યા. RTO કચેરી દ્વારા કરવામાં આવેલા કુલ 35,58,044 રૂપિયાના વાહન ખર્ચમાંથી માત્ર VVIP લોકો માટે જ અર્બનિયા અને અન્ય લક્ઝરી ગાડીઓ પાછળ 20,00,000 રૂપિયાથી વધુનો માતબર ખર્ચ વેડફી નાખવામાં આવ્યો છે. લલિત પરસાણાએ સવાલ કરતા કહ્યું કે, શિવરાત્રીના મેળામાં જે નેતાઓ અને VVIP લોકો આવ્યા હતા તે જો પગપાળા પહોંચ્યા હતા, તો પછી વાહનોમાં આટલો મોટો ખર્ચ કઈ રીતે થયો? એક બાજુ રાજ્ય સરકાર એવા મોટા દાવો કરતી હતી કે, મેળામાં VVIP કલ્ચર નાબૂદ કરવામાં આવશે અને મેળો સામાન્ય જનતા માટે યોજાશે. પરંતુ વાસ્તવિકતામાં VVIP લોકો માટે અર્બનિયા ગાડીઓ ભાડે રાખીને 20,00,000 રૂપિયાથી વધુનો ખર્ચ કરાયો, જ્યારે બીજી તરફ કડકડતી ઠંડીમાં દૂર-દૂરથી આવેલા સામાન્ય શ્રદ્ધાળુઓ, વૃદ્ધો અને દિવ્યાંગો માટે યોગ્ય વાહન સુવિધા ન હોવાથી તેઓ ચાલીને જવા મજબૂર બન્યા હતા અને રઝળી પડીને ભારે હેરાન-પરેશાન થયા હતા. નાના અન્નક્ષેત્રો અને જનસુવિધા પાછળ જે ખર્ચ થવો જોઈતો હતો તે કરવામાં આવ્યો નથી અને VIP લોકોની સરભરા પાછળ સરકારી નાણાંનો વેડફાટ કરાયો છે. વાહનો પાછળ લાખોનો ખર્ચ કરાયો પણ લોગ બુક નિભાવવામાં ન આવી વાહનોના બિલોમાં જ મોટું કૌભાંડ છતું થાય છે. એક અર્બનિયા ગાડીના એક દિવસના અને પાંચ દિવસના ભાડાના બિલોમાં ગરબડ અને મોટો તફાવત દર્શાવવામાં આવ્યો છે. કોઈ પણ સરકારી કે ભાડાના વાહનો માટે લોગબુક અને રજિસ્ટર નિભાવવું કાયદાકીય રીતે ફરજિયાત હોય છે, તેમ છતાં કચેરી દ્વારા લોગબુક નિભાવવામાં આવી નથી. લોગબુક ઉપલબ્ધ ન હોવી એ જ વાત સાબિત કરે છે કે શિવરાત્રી મેળામાં વાહનોના નામે વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે અને આ સમગ્ર કૌભાંડની ઉચ્ચ સ્તરીય તપાસ થવી જરૂરી છે.
Read full article on Divya Bhaskar