top
નર્મદ બદલાયા કેમ?:'મહારાજ' ફિલ્મમાં જે ન દેખાયું તેની શોધમાં જાપાનથી સુરત આવ્યા સંશોધક, VNSGUની મુલાકાત લીધી
જાપાનની યુનિવર્સિટી ઑફ શિગા પ્રીફેક્ચરના એસોસિએટ પ્રોફેસર પ્રો. એઇજીરો હઝામા ગુજરાતી સાહિત્યના પ્રખર વિચારક વીર નર્મદ અને મણિલાલ દ્વિવેદી પર સંશોધન કરવા માટે સુરત આવ્યા છે. નર્મદના વિચારોમાં સમય સાથે આવેલા પરિવર્તનને સમજવાની આ સંશોધનયાત્રા તેમને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુધી ખેંચી લાવી છે. અહીં તેમણે કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડા અને કુલસચિવ ડૉ. રમેશદાન ગઢવી સાથે ખાસ મુલાકાત કરી હતી અને પોતાના રિસર્ચ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. સૌથી મોટી નવાઈની વાત એ હતી કે, જાપાનથી આવેલા આ પ્રોફેસરે ગુજરાતીમાં જ વાતચીત કરતા પરિચય આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, "નમસ્તે જી, મારું નામ એઈજીરો હઝામા છે. હું જાપાનથી આવ્યો છું અને હું શોર્ટ કટમાં નર્મદાશંકર અને મણિલાલ દ્વિવેદી વિશે વાત કરવા આવ્યો છું." 'મહારાજ' ફિલ્મ અને ઉત્તર નર્મદનો અજાણ્યો ચહેરો વર્ષ 2024માં રિલીઝ થયેલી નેટફ્લિક્સની લોકપ્રિય ફિલ્મ 'મહારાજ'માં નર્મદના જીવનના માત્ર શરૂઆતના વર્ષો અને તેમના સંઘર્ષને જ દર્શાવવામાં આવ્યો હતો. પ્રો. એઇજીરો હઝામાના જણાવ્યા અનુસાર, આ ફિલ્મની સૌથી મોટી મર્યાદા એ હતી કે, તેમાં નર્મદના જીવનનો પાછળનો હિસ્સો એટલે કે 'ઉત્તર નર્મદ' મોટાભાગના લોકો માટે અજાણ્યો રહ્યો છે. ખૂબ ઓછા લોકો જાણે છે કે પાછળના વર્ષોમાં નર્મદના વિચારોમાં કન્ઝર્વેટિવ (રૂઢિચુસ્ત) અને ધાર્મિક લાક્ષણિકતાઓ પણ જોવા મળી હતી. પ્રોફેસર પોતાના રિસર્ચ થકી આ જ અજાણ્યા પાસાને દુનિયા સામે લાવવા માંગે છે. સમય સાથે નર્મદના વિચારોમાં આવેલું પરિવર્તન પ્રોફેસર હઝામાની સૌથી મોટી દિલચસ્પી એ બાબત જાણવામાં છે કે નર્મદના વિચારો સમયની સાથે કેવી રીતે બદલાયા. નર્મદથી લઈને મહાત્મા ગાંધી સુધી વિચારધારામાં જે મોટું પરિવર્તન આવ્યું તેના મૂળ સુધી પહોંચવા તેઓ પ્રયાસ કરી રહ્યા છે. આખી જિંદગી દરમિયાન નર્મદના આઈડિયાઝ કેવી રીતે ચેન્જ થયા, તેમણે શા માટે પોતાના વિચારો બદલ્યા અને પાછલા વર્ષોમાં તેમના દ્રષ્ટિકોણ કેવા હતા, તે અંગે ઉંડાણપૂર્વક અભ્યાસ કરવા જ તેઓ જાપાનથી આટલી લાંબી સફર ખેડીને સીધા સુરત આવી પહોંચ્યા છે. નર્મદ સ્મૃતિ ભવનની લીધી મુલાકાત પોતાના આ મહત્વપૂર્ણ રિસર્ચના ભાગરૂપે પ્રો. હઝામાએ VNSGU કેમ્પસમાં આવેલા 'નર્મદ સ્મૃતિ ભવન'ની વિશેષ મુલાકાત લીધી હતી. અહીં તેમણે નર્મદના જીવન, તેમના સાહિત્યિક સર્જનો, પત્રો અને તેમના વિચારવિશ્વ સાથે જોડાયેલી અનેક ઐતિહાસિક માહિતીઓ મેળવી હતી. આ મુલાકાત દરમિયાન તેમને સુરતના અનેક રિસર્ચર્સ, વિદ્યાર્થીઓ અને નિષ્ણાતો સાથે ચર્ચા કરવાની પણ તક મળી હતી. આ તમામ માહિતીઓ તેમના સંશોધન કાર્ય માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. VNSGUના કેમ્પસ અને પર્યાવરણના કર્યા વખાણ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની મુલાકાતથી પ્રોફેસર હઝામા ખૂબ જ પ્રભાવિત જોવા મળ્યા હતા. તેમણે VNSGUના કેમ્પસના ભરપૂર વખાણ કરતા કહ્યું હતું કે, આ એક ખૂબ જ સુંદર અને અદભુત યુનિવર્સિટી છે. અહીંના વૃક્ષો, સ્થાનિક પ્રકૃતિ અને હરિયાળા પર્યાવરણથી તેમને ખૂબ જ શાંતિ અને પ્રેરણા મળી છે. વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો દ્વારા આપવામાં આવેલા સહકાર બદલ તેમણે આભાર માન્યો હતો અને કહ્યું હતું કે આ સકારાત્મક વાતાવરણ તેમના રિસર્ચમાં ઘણું મદદરૂપ સાબિત થશે.
Read full article on Divya Bhaskar