top
વલસાડમાં મકાન-દુકાન ભાડે આપનારાઓ માટે નવો નિયમ:20 દિવસમાં ભાડૂઆતની વિગતો પોલીસ સ્ટેશનમાં આપવી ફરજિયાત, નહીંતર કાર્યવાહી
વલસાડ જિલ્લામાં મકાન, દુકાન, ઓફિસ કે ઔદ્યોગિક એકમો ભાડે આપતા મિલકતમાલિકો માટે એક મહત્વનો નિયમ લાગુ કરાયો છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ નાગરિકોની સુરક્ષા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ નીતિન સાંગવાને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ 163 હેઠળ એક જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા મુજબ, હવે તમામ મિલકતમાલિકોએ પોતાના ભાડૂઆતની સંપૂર્ણ વિગતો 20 દિવસની અંદર સંબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવવી ફરજિયાત છે. વલસાડ જિલ્લો ઔદ્યોગિક, પ્રવાસન અને ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે ઝડપથી વિકાસ કરી રહ્યો છે. આ કારણે અન્ય રાજ્યો અને જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં પરપ્રાંતિય મજૂરો અને કર્મચારીઓ અહીં આવીને રહે છે. ભૂતકાળમાં જોવા મળ્યું છે કે કેટલાક ગુનેગારો ગુનો કરીને ભાગી જાય છે. તેમની પૂરતી ઓળખ ન હોવાથી પોલીસ તપાસમાં મુશ્કેલી પડે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ નિર્ણય લેવાયો છે. જાહેરનામું બહાર પડ્યાના 20 દિવસની અંદર મિલકતની વિગતો, ભાડૂઆત અને જો કોઈ દલાલ હોય તો તેની સંપૂર્ણ માહિતી પોલીસ સ્ટેશનમાં આપવી પડશે. હવેથી પોલીસને જાણ કર્યા વગર કોઈ મિલકત ભાડે આપી શકાશે નહીં. ભાડૂઆત અને તેની સાથે રહેતા તમામ સભ્યોના ફોટોગ્રાફ્સ, આઈડી પ્રૂફ અને મોબાઈલ નંબર મેળવીને નોટરાઇઝ્ડ ભાડા કરાર કરવો પડશે. આ કરારમાં સાક્ષીઓની વિગતો પણ લખવી પડશે. ભાડૂઆત ક્યાં કામ કરે છે તેની કંપની કે ગોડાઉનની માહિતી પણ લેવી પડશે. આ ઉપરાંત, તેના મૂળ વતનનું સરનામું અને વતનના સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક નંબર પણ મેળવવો પડશે. નિયત ફોર્મ અને ભાડા કરારની નકલ જમા કરાવીને પોલીસ સ્ટેશનમાંથી મળેલ પહોંચ માલિકે પોતાની પાસે સાચવી રાખવી પડશે, જેથી તપાસ સમયે બતાવી શકાય. આ જાહેરનામું તારીખ 08/11/2026 સુધી લાગુ રહેશે. જો કોઈ મિલકતમાલિક આ જાહેરનામાનો ભંગ કરશે કે ભાડૂઆતની વિગતો છુપાવશે, તો તેની સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 મુજબ કાનૂની કાર્યવાહી થશે. વલસાડ જિલ્લાના PSI કે તેનાથી ઉપરના અધિકારીઓને કાયદાનો ભંગ કરનારાઓ સામે તરત ફરિયાદ નોંધવાની સત્તા અપાઈ છે. જો ભાડૂઆતની કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય, તો માલિકે તરત પોલીસનો સંપર્ક કરવો પડશે.
Read full article on Divya Bhaskar