business
વડાપ્રધાને ન્યુ ઉમરગામથી ન્યુ સફાલે સુધી ફ્રેઇટ કોરિડોર શરૂ કરાવ્યો:₹20,703 કરોડના ખર્ચે 326 કિમીના 3 સેકશનનું લોકાર્પણ, માલગાડીને લીલી ઝંડી અપાઈ, ઉદ્યોગોને લાભ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરાથી વીડિયો કોન્ફરન્સ દ્વારા દેશને વિકાસના અનેક પ્રોજેક્ટ સમર્પિત કર્યા. આમાં ₹20,703 કરોડના ખર્ચે બનેલા ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના ત્રણ સેકશનનો સમાવેશ થાય છે. આ ત્રણ સેકશન કુલ 326 કિલોમીટર લાંબા છે. તેમાં ન્યુ સાણંદ (નોર્થ)-ન્યુ મકરપુરા, ન્યુ ઉમરગામ-ન્યુ સફાલે અને ન્યુ સફાલે-ન્યુ જેએનપીટીનો સમાવેશ થાય છે. વલસાડ જિલ્લાના ન્યુ ઉમરગામ સ્ટેશન પર માલગાડીને લીલી ઝંડી આપી નવા ટ્રેકનું લોકાર્પણ કરાયું. આ પ્રસંગે વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ, ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકર અને DFCCILના અધિકારીઓ હાજર હતા. હેતલબેન પટેલે જણાવ્યું કે, માલગાડી માટે અલગ ટ્રેક શરૂ થવાથી પેસેન્જર ટ્રેનોની આવ-જાવમાં સમય બચશે. તેમણે વધુમાં કહ્યું કે, આનાથી મોસમ આધારિત ફળ, ફૂલો અને શાકભાજી જેવા જલદી બગડી શકે તેવા ઉત્પાદનોની સમયસર ડિલિવરી શક્ય બનશે. ધારાસભ્ય રમણલાલ પાટકરે જણાવ્યું કે, ફ્રેઇટ કોરિડોર શરૂ થવાથી માલગાડીઓ માટે અલગ રેલવે ટ્રેક મળશે. તેનાથી પેસેન્જર ટ્રેનો પણ વધુ સમયસર પોતાની જગ્યાએ પહોંચી શકશે. તેમણે ઉમેર્યું કે, વાપી, સરીગામ સહિત જિલ્લાના ઉદ્યોગોને પણ આ પ્રોજેક્ટથી લાભ થવાની આશા છે. ફ્રેઇટ કોરિડોરને કારણે વધુ ક્ષમતાવાળી માલગાડીઓ ચલાવી શકાશે. તેનાથી માલસામાનની હેરફેર ઝડપી અને સરળ બનશે. આનાથી દેશના મુખ્ય બંદરો અને ઉદ્યોગ વિસ્તારો વચ્ચે રેલ જોડાણ વધશે. માલસામાન પહોંચાડવાનો સમય અને લોજિસ્ટિક ખર્ચ ઘટશે, જેનાથી આયાત-નિકાસને ફાયદો થશે. મુખ્ય પેસેન્જર રેલ નેટવર્ક પરનો ટ્રાફિકનો ભાર ઘટશે. તેનાથી મુસાફરી પણ ઝડપી બનશે તેવી આશા છે. મુંબઈના JNPTથી ઉત્તર પ્રદેશના દાદરી સુધીનો 1506 કિલોમીટરનો પશ્ચિમ ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર છે. તેમાંથી 1397 કિલોમીટરનું કામ પૂરું થઈ ગયું છે. બાકીનું કામ ડિસેમ્બર 2026 સુધીમાં પૂરું કરવાની યોજના છે. નવા સેકશનથી વલસાડ જિલ્લાના ઉદ્યોગો અને આર્થિક વિકાસને પણ ફાયદો થવાની આશા છે.
Read full article on Divya Bhaskar