crime
ટ્રાફિક પોલીસની કાર્યવાહી સામે કોંગ્રેસ લાલઘૂમ:રાજકોટમાં વાહન ચેકીંગનાં નામે લોકોને પરેશાન કરતા TRB જવાનો મુદ્દે તપાસની માંગ, ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી
રાજકોટ શહેરમાં છેલ્લા એક મહિનાથી ટ્રાફિક પોલીસ દ્વારા વધારી દેવાયેલા વાહનચેકિંગ અને દંડની કાર્યવાહી સામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે જોઇન્ટ પોલીસ કમિશનરને રજૂઆત કરીને તપાસની માંગ કરી છે. કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો છે કે જ્યાં ટ્રાફિક જામ થાય છે ત્યાં પોલીસ ગાયબ હોય છે, પરંતુ વાહનચેકિંગ અને દંડ વસૂલવાના પોઇન્ટ પર 10થી 15 જવાનોની ફોજ કેમ તૈનાત કરવામાં આવે છે? ગ્રીનલેન્ડ ચોકડી, બામણબોર, હિરાસર અને સોની બજાર જેવા સ્થળોએ વિદેશી કે અન્ય જિલ્લાના વાહનોને રોકી હેરાનગતિ કરાતી હોવાની ફરિયાદો મળી છે. આ ઉપરાંત મલાઈવાળા પોઇન્ટ મેળવવા પૈસાની આપ-લે થતી હોવાના આક્ષેપો સાથે TRB જવાનોની આવક અને મિલકતોની નિષ્પક્ષ તપાસની માંગ કરાઈ છે. રોજના રૂ. 500થી 700 કમાતા સામાન્ય વર્ગ અને વેપારીઓ માટે આ દંડ મોટો બોજ બની રહ્યો છે. દંડ એ આવક ઊભી કરવાનું સાધન નથી. જો ટ્રાફિક પોલીસ ચેકિંગ અને વહીવટમાં પારદર્શકતા નહીં લાવે અને જનતાની આવી કનડગત બંધ નહીં થાય, તો કોંગ્રેસે શહેરીજનોને સાથે રાખીને મોટા પાયે જનઆંદોલન કરવાની ચીમકી આપી છે. સ્વતંત્રતા પર્વ નિમિત્તે 13 ઓગસ્ટે રાજકોટમાં યોજાશે 'તિરંગા યાત્રા', ફોટો ઉમેરી સ્લાઇડ બનાવવા લિંક જાહેર રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 13 ઓગસ્ટ 2026ના રોજ સવારે 09:00 કલાકે સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિમા, બહુમાળી ભવન ચોક, રેસકોર્ષ રિંગ રોડ ખાતે “તિરંગા યાત્રા” યોજાશે. આ આયોજનના ભાગરૂપે 10 ઓગસ્ટ 2026ના રોજ મેયર ડૉ. નેહલ શુક્લના અધ્યક્ષ સ્થાને પદાધિકારીઓ, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, વિવિધ એનજીઓ અને શાળા-કોલેજના પ્રતિનિધિઓ સાથે મિટિંગ યોજાઈ હતી. તિરંગા યાત્રામાં જોડાવા અને લોકોને પ્રોત્સાહિત કરવા માટે "હું આ તિરંગા યાત્રામાં જોડાવ છું, તમે પણ જોડાવ" ના સંદેશ સાથે નાગરિકો પોતાના ફોટોવાળી સ્લાઇડ બનાવી શકે તે માટે ખાસ https://myframe.online/editor/tirangayatrarmc2026/ લિંક પણ જાહેર કરવામાં આવી છે. આજે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. મેયર ડૉ. નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા સહિતના પદાધિકારીઓએ તમામ શહેરીજનોને આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં બહોળી સંખ્યામાં જોડાવા ખાસ અનુરોધ કર્યો છે. રાજકોટમાં મોસમી રોગચાળાના કુલ 2,378 કેસ સામે આવ્યા, મનપાનો આરોગ્ય વિભાગ સતર્ક રાજકોટમાં તા. 03/08/2026 થી તા. 09/08/2026 દરમિયાન મોસમી અને મચ્છરજન્ય રોગચાળાના કુલ 2,378 કેસ નોંધાયા છે. જેમાં મચ્છરજન્ય રોગચાળામાં ડેન્ગ્યુના 2 કેસ સામે આવ્યા છે, જ્યારે મેલેરિયા અને ચિકનગુનિયાનો કોઈ નવો કેસ નોંધાયો નથી (વર્ષ 2026 માં અત્યાર સુધીમાં અનુક્રમે ડેન્ગ્યુના 21, મેલેરિયાના 8 અને ચિકનગુનિયાનો 1 કેસ નોંધાયો છે). આ સિવાય શરદી-ઉધરસના 957, સામાન્ય તાવના 954 અને ઝાડા-ઉલટીના 465 કેસ નોંધાયા છે. જ્યારે ટાઈફોઈડ, કમળો, મરડો કે કોલેરાનો એક પણ કેસ નોંધાયો નથી. રોગચાળા અટકાયત અર્થે આરોગ્ય તંત્ર દ્વારા 1,16,225 ઘરોમાં પોરાનાશક કામગીરી અને 739 ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું છે. મચ્છર ઉત્તપત્તિ સબબ તપાસ દરમિયાન રહેણાંકમાં 392 અને કોમર્શિયલમાં 159 આસામીઓને નોટીસ ફટકારવામાં આવી છે. તદુપરાંત 2,71,368 લોકોના સર્વે દરમિયાન 7,837 ક્લોરીન ટેબ્લેટ અને 1,195 ORS પેકેટનું વિતરણ કરાયું છે.
Read full article on Divya Bhaskar