business
તહેવારોમાં ખાંડની અછત નહીં સર્જાય:પુરવઠા મંત્રી રમણ સોલંકીની જાહેરાત, અંત્યોદય અને BPL પરિવારો માટે સપ્ટેમ્બરમાં 4,500 મેટ્રિક ટન ખાંડની ફાળવણી
ગુજરાતમાં આગામી તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે અંત્યોદય અને BPL રેશનકાર્ડ ધરાવતા ગરીબ તેમજ મધ્યમવર્ગીય પરિવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તહેવારો દરમિયાન સામાન્ય નાગરિકોને ખાંડ મેળવવામાં કોઈ મુશ્કેલી કે અછતનો સામનો ન કરવો પડે તે હેતુથી અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ સપ્ટેમ્બર-2026 માસ માટેની ખાંડ સહિતની આવશ્યક ચીજવસ્તુઓના ચલણ ભરવાની છેલ્લી તારીખ લંબાવીને 3 સપ્ટેમ્બર, 2026 કરી દેવામાં આવી છે. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણ સોલંકીએ ખાતરી આપી છે કે રાજ્યભરમાં તહેવારોને પહોંચી વળવા માટે ખાંડનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ કરાવી દેવાયો છે. અંત્યોદયને ₹15 અને BPL ને ₹22 ના રાહત દરે ખાંડ મળશે રાજ્યમાં જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) હેઠળ નોંધાયેલા તમામ અંત્યોદય અન્ન યોજના અને બીપીએલ રેશનકાર્ડ ધારકોને પરિવારના સભ્યોની સંખ્યાના આધારે રાહત દરે ખાંડની ફાળવણી કરવામાં આવી રહી છે. આ યોજના અંતર્ગત અંત્યોદય કાર્ડ ધરાવતા પરિવારોને પ્રતિ કિલો માત્ર ₹15 ના રાહત દરે અને BPL કાર્ડધારકોને પ્રતિ કિલો ₹22 ના સબસીડાઇઝ્ડ દરે ખાંડ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી ગરીબ પરિવારો પણ ઉત્સાહપૂર્વક તહેવારોની ઉજવણી કરી શકે. ઓગસ્ટમાં 7,100 મેટ્રિક ટન અને સપ્ટેમ્બર માટે વધુ 4,500 મેટ્રિક ટન ફાળવાઈ તહેવારો દરમિયાન ખાંડની માગમાં થનારા સંભવિત વધારાને પહોંચી વળવા માટે સરકારે ઓગસ્ટ-2026 થી જ આગોતરી ફાળવણી શરૂ કરી દીધી હતી. અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યના લાભાર્થીઓ સુધી કુલ 7,100 મેટ્રિક ટન જેટલો ખાંડનો જથ્થો વિતરણ કરી દેવાયો છે. આ ઉપરાંત ચાલુ સપ્ટેમ્બર-2026 માસની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે રાજ્ય સરકારે વધુ 4,500 મેટ્રિક ટન ખાંડનો જથ્થો ફાળવ્યો છે, જેના કારણે તમામ પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારો પરથી સમયસર અને સરળતાથી ખાંડ મળી રહેશે. વાજબી ભાવની દુકાનદારો માટે ચલણ ભરવાની મુદતમાં વધારો રાજ્યભરમાં કાર્યરત વાજબી ભાવની સરકારી દુકાનોના સંચાલકો માટે પણ વહીવટી પ્રક્રિયા સરળ બને તે હેતુથી પુરવઠા વિભાગે ચલણ ભરવાની તારીખ લંબાવી છે. સપ્ટેમ્બર મહિનાની ખાંડ અને અન્ય અનાજના જથ્થા માટે ઓનલાઇન કે ઓફલાઇન ચલણ ભરવાની તારીખ 3 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવતાં દુકાનદારોને જરૂરી નાણાકીય અને વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે પૂરતો સમય મળશે અને વિતરણ વ્યવસ્થા વધુ સુચારૂ રીતે ચાલશે.
Read full article on Divya Bhaskar