top
સૂત્રાપાડા આશ્રમ શાળાના કુંડમાં વિદ્યાર્થીની શંકાસ્પદ હાલતમાં લાશ મળી:36 કલાકે મોતનું કારણ અકબંધ, જામનગરમાં 3 ડોક્ટરની પેનલ દ્વારા પોસ્ટમોર્ટમ,MLA વિમલ ચુડાસમાએ CCTV તપાસ સાથે ન્યાયની માગ કરી
સુત્રાપાડાની આશ્રમ શાળામાં અભ્યાસ કરતા 13 વર્ષીય વિદ્યાર્થીના શંકાસ્પદ મોતનું કારણ ઘટનાના 36 કલાક પછી પણ સ્પષ્ટ થઈ શક્યું નથી. શાળાના કુંડમાંથી વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યા બાદ અનેક ગંભીર સવાલો ઊભા થયા છે. સમગ્ર મામલે વધુ તપાસ માટે બાળકની લાશને જામનગર મોકલવામાં આવી છે, જ્યાં ત્રણ તબીબોની ટીમ દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. આ રિપોર્ટ આવ્યા બાદ જ બાળકનું મોત ડૂબી જવાથી થયું કે અન્ય કારણસર તે સ્પષ્ટ થશે.દરમિયાન સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પરિવારને ન્યાય અપાવવા લડતની ચીમકી ઉચ્ચારી છે. તેમણે સીસીટીવી તપાસ અને ન્યાયની માગ કરી છે. પરિવાર અને સમાજના લોકો સાથે ચર્ચા આ દરમિયાન સોમનાથ વિધાનસભાના ધારાસભ્ય અને કોળી સમાજના યુવા આગેવાન વિમલ ચુડાસમા સુત્રાપાડા પહોંચ્યા હતા. તેમણે ઘટનાસ્થળની મુલાકાત લઈ મૃતક વિદ્યાર્થીના પરિવારજનો અને સમાજના આગેવાનો સાથે બેઠક યોજી હતી. પરિવાર અને આગેવાનો પાસેથી વિગતો મેળવ્યા બાદ તેમણે આ પ્રકરણમાં નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. વિમલ ચુડાસમાએ જણાવ્યું હતું કે, મૃતક વિદ્યાર્થી મૂળ કોડીનાર તાલુકાનો હતો અને સુત્રાપાડાની આશ્રમ શાળામાં રહીને અભ્યાસ કરતો હતો. કુંડમાંથી મૃતદેહ મળવાની આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ અને આશ્ચર્ય ફેલાયું છે. બાળક કુંડ સુધી કેવી રીતે પહોંચ્યો અને તે કયા સંજોગોમાં મૃત્યુ પામ્યો તેની ગંભીરતાથી તપાસ થવી અનિવાર્ય છે. સીસીટીવી ફૂટેજની ઝીણવટભરી તપાસની માગ ધારાસભ્યએ ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારોમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની સઘન તપાસ કરવાની માગણી કરી છે. તેમણે પોલીસ પાસે ઉપલબ્ધ ડીવીઆર (DVR) સાથે આસપાસના અન્ય કેમેરાના ફૂટેજ પણ ચકાસવા પર ભાર મૂક્યો છે જેથી ઘટનાની કોઈ મહત્ત્વપૂર્ણ કડી મળી શકે. ઘટનાસ્થળેથી જ તેમણે જિલ્લા પોલીસ વડા સાથે ટેલિફોનિક ચર્ચા કરી આ કેસમાં તટસ્થ તપાસ હાથ ધરવા રજૂઆત કરી હતી. સાથે જ, ત્રણ તબીબોની ટીમ દ્વારા કરવામાં આવતા પોસ્ટમોર્ટમ પર વિશેષ નજર રાખવા પણ જણાવ્યું હતું. પરિવારને ન્યાય અપાવવા મજબૂત લડતની ખાતરી વિમલ ચુડાસમાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, બાળકનું મોત પાણીમાં ડૂબવાથી થયું છે કે પછી તેને ઈજા પહોંચાડી મૃતદેહ કુંડમાં ફેંકવામાં આવ્યો છે, તે સાચું કારણ તપાસ બાદ બહાર આવવું જોઈએ. કોઈ નિર્દોષ સાથે અન્યાય ન થાય અને સાચી હકીકત લોકો સમક્ષ આવે તે અત્યંત જરૂરી છે. તેમણે પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે કોળી સમાજ સાથે મળીને જરૂર પડ્યે ઉગ્ર લડત આપવાની ખાતરી આપી છે.
Read full article on Divya Bhaskar