crime
સુરેન્દ્રનગર પ્રવાસે આવેલા પંજાબના રાજ્યપાલ ગુલાબચંદ કટારીયાની તબિયત લથડી:પાટડીના પાનવા દર્શને આવતા બ્લડપ્રેશર લો થયું, ડોકટરોએ તત્કાલ સારવાર આપી સ્વસ્થ કર્યા
પંજાબના રાજ્યપાલ ગુલાબચંદ કટારીયાજીની પાટડી તાલુકાના પાનવા ખાતે તબિયત લથડી હતી. તેઓ શંખેશ્વરનો કાર્યક્રમ પૂર્ણ કરીને પોતાના પરિવારજનો સાથે પાનવા 108 પાર્શ્વનાથ મંદિર અને ગૌશાળાની મુલાકાતે આવ્યા હતા. ગાડીમાંથી ઉતરતાની સાથે જ તેમની તબિયત બગડતા તેઓ ખુરશીમાં બેસી ગયા હતા. આ ઘટનાથી ત્યાં ઉપસ્થિત લોકોમાં દોડધામ મચી ગઈ હતી. રાજ્યપાલ સાથે રહેલી ડોકટરોની ટીમે તાત્કાલિક તેમનું બીપી માપ્યું હતું, જે ઓછું આવ્યું હતું. તેમને તરત જ લીંબુ પાણી આપવામાં આવ્યું હતું. થોડા સમય બાદ ફરીથી બીપી માપવામાં આવતા તે સામાન્ય જણાયું હતું, જેનાથી સ્ટાફે રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારબાદ પાનવા ગૌશાળામાં તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ ડોડીયા, વણોદ જિલ્લા પંચાયત સદસ્ય રમેશભાઈ ઠાકોર, વડગામ સરપંચ ભરતભાઈ રાઠોડ અને કથાકાર રાજુભાઈ પંડ્યા દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પાનવા ખાતે દર્શન કર્યા બાદ રાજ્યપાલ ગુલાબચંદ કટારીયાજી પોતાના પરિવારજનો સાથે પરત રવાના થયા હતા.
Read full article on Divya Bhaskar