top
Sugar Price: ખાંડના વેપારીઓ માટે મોટો નિર્ણય: હવે 2,000 ક્વિન્ટલથી વધુ સ્ટોક નહીં રાખી શકાય
Sugar Price: ખાંડના વધતા ભાવ અને સંગ્રહખોરીને રોકવા માટે કેન્દ્ર સરકારે વેપારીઓ પાસે રાખી શકાય તેવા ખાંડના જથ્થાની મર્યાદા ઘટાડવાનો નિર્ણય લીધો છે. હવે દેશના મોટાભાગના વિસ્તારોમાં ખાંડના ડીલરો એક સમયે વધુમાં વધુ 2,000 ક્વિન્ટલ ખાંડનો જથ્થો રાખી શકશે. અગાઉ આ મર્યાદા 4,000 ક્વિન્ટલ હતી. આ નવો નિયમ 15 સપ્ટેમ્બર 2026થી 30 નવેમ્બર 2026 સુધી લાગુ રહેશે. ઉપભોકતા બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના જણાવ્યા મુજબ, નિર્ણયનો મુખ્ય હેતુ ખાંડની જમાખોરી અને સટ્ટાબાજી પર નિયંત્રણ લાવવાનો છે. સરકાર ઈચ્છે છે કે બજારમાં ખાંડનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રહે અને ગ્રાહકોને યોગ્ય ભાવે ખાંડ મળી શકે. 30 દિવસથી વધુ ખાંડ રાખી શકાશે નહીં નવા નિયમ મુજબ વેપારીઓએ ખાંડનો જથ્થો લાંબા સમય સુધી સંગ્રહ કરી રાખી શકાશે નહીં. જે દિવસે ખાંડની ડિલિવરી મળે, તે દિવસથી 30 દિવસથી વધુ સમય સુધી તેનો સ્ટોક રાખવાની મંજૂરી નહીં હોય. ઉપરાંત, દેશમાં કોઈપણ સ્થળે એક વેપારી પાસે એક સમયે 2,000 ક્વિન્ટલથી વધુ ખાંડનો જથ્થો નહીં હોવો જોઈએ. જોકે કોલકાતા અને તેની આસપાસના મહાનગર વિસ્તારમાં જૂની 4,000 ક્વિન્ટલની મર્યાદા યથાવત રાખવામાં આવી છે. તેનું કારણ એ છે કે કોલકાતા મારફતે ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી આવતી ખાંડ પૂર્વ ભારત તેમજ ઉત્તર-પૂર્વના રાજ્યોમાં પહોંચાડવામાં આવે છે. તેથી અહીં મર્યાદા ઘટાડવાથી સપ્લાય ચેઇન પર અસર પડી શકે છે. ઓગસ્ટમાં પણ સ્ટોક મર્યાદા ઘટાડાઈ હતી સરકારે અગાઉ 1 ઓગસ્ટ 2026થી ખાંડના વેપારીઓ માટે સ્ટોકની મર્યાદા 4,000 ક્વિન્ટલ નક્કી કરી હતી. હવે તેને વધુ ઘટાડીને 2,000 ક્વિન્ટલ કરવામાં આવી છે. સરકાર દ્વારા ખાંડ મિલો, ડીલરો અને અન્ય વેપારીઓના સ્ટોકની તપાસ અને દેખરેખ પણ વધારવામાં આવી છે. ચકાસણી દરમિયાન કેટલાક સ્થળોએ નિર્ધારિત મર્યાદા કરતાં વધુ ખાંડ રાખવી, સ્ટોકની વિગતો જાહેર ન કરવી અને ખાંડની ખરીદી-વેચાણ તથા હેરફેરમાં અનિયમિતતા જેવા કિસ્સા સામે આવ્યા હોવાનું સરકારે જણાવ્યું છે. ખાંડના ભાવમાં ઘટાડો શરૂ સરકારના જણાવ્યા પ્રમાણે બજારમાં ખાંડની ઉપલબ્ધતા વધતા અને દેખરેખ કડક બનતા ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. તાજેતરમાં મિલમાંથી બહાર નીકળતી ખાંડના એક્સ-મિલ ભાવમાં લગભગ 20 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. તેની અસર હવે છૂટક બજારમાં પણ દેખાવા લાગી છે. સરકારને આશા છે કે આગામી સમયમાં ગ્રાહકોને ખાંડ વધુ સસ્તા ભાવે મળી શકે. વેપારીઓ માટે પોતાના સ્ટોકની માહિતી ઓનલાઈન જાહેર કરવી અને નિયમિત રીતે અપડેટ કરવી પણ ફરજિયાત કરવામાં આવી છે. આ પણ વાંચો: આનંદો, હવે નહી વધે ખાંડના ભાવ, ખાંડની સપ્લાય અંગે સરકારે લીધો મોટો નિર્ણય
Read full article on Sandesh