politics
સરકારી આવાસમાં ભાડુઆત રાખનારાઓ પર તવાઈ:સ્લમ ઈમ્પ્રુવમેન્ટ કમિટીના આદેશ બાદ સુરતમાં તમામ ઝોનમાં મેગા ડ્રાઈવ, સ્થળ પર જ નોટિસ ફટકારાઈ
સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગ માટે ફાળવવામાં આવેલા આવાસોમાં ગેરકાયદેસર ભાડૂઆતો રાખવાની પ્રવૃત્તિઓ રોકવા માટે તમામ ઝોનમાં ખાસ સર્વે ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જહાંગીરપુરા સ્થિત 'સુમન વંદન' આવાસમાં 50 ટકાથી વધુ ફ્લેટમાં ભાડૂઆતો વસતા હોવાની ફરિયાદ બાદ સ્લમ ઈમ્પ્રુવમેન્ટ કમિટીના નિર્દેશથી આ ડોર-ટુ-ડોર તપાસ હાથ ધરાઈ છે. આ ઝુંબેશ હેઠળ મૂળ ફાળવણીદારના સ્થાને અન્ય લોકોને રાખનારા મકાન માલિકોને સ્થળ પર જ કડક નોટિસ ફટકારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સ્થળ પર જ નોટિસ ફટકારી ખુલાસો માંગવામાં આવશે સર્વે દરમિયાન જે મકાનોમાં ભાડૂઆતો રહેતા હોવાનું સામે આવ્યું છે, તેવા તમામ ફ્લેટ ધારકોને સ્થળ પર જ નોટિસ પાઠવવામાં આવી રહી છે. નોટિસ મળ્યા બાદ મૂળ ફ્લેટ માલિકે પાલિકા સમક્ષ હાજર થઈને સ્પષ્ટતા કરવી પડશે કે મકાન નિયમ વિરુદ્ધ ભાડેથી આપવામાં આવ્યું છે કે નહીં. આ ઉપરાંત, તપાસના ડરથી માલિકો દ્વારા બંધ કરી દેવાયેલા મકાનો પર પણ પાલિકા તંત્ર દ્વારા ખાસ નજર રાખવામાં આવી રહી છે. સુમન વંદન આવાસની ફરિયાદ બાદ કડક મોનિટરિંગના આદેશ જહાંગીરપુરાના 'સુમન વંદન' આવાસમાં મોટા પાયે ભાડૂઆતો વસતા હોવાની બાબતને ગંભીરતાથી લઈને સ્લમ ઈમ્પ્રુવમેન્ટ કમિટીના ચેરમેન દિગ્વિજય બારડે એક્શન મોડમાં કામગીરી શરૂ કરી છે. તેમણે તમામ ઝોનના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોને વહેલી તકે તપાસ રિપોર્ટ સોંપવા અને દર મહિને અચૂક ચારથી પાંચ સ્પેશિયલ ડ્રાઈવ યોજીને સતત મોનિટરિંગ હાથ ધરવા સ્પષ્ટ આદેશ આપ્યા છે.
Read full article on Divya Bhaskar