શ્રાવણ મહિનામાં સોમવારે તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ કરવા શિવલિંગ પર આ રીતે કરો અભિષેક
ભગવાન શિવની આરાધનાનું શ્રાવણ મહિનામાં ખાસ મહત્ત્વ છે. શ્રાવણ મહિનામાં સોમવારે શિવલિંગ પર અભિષેક કરી બિલ્વપત્ર અર્પણ કરવાની પરંપરા છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર અલગ-અલગ મનોકામના માટે શિવલિંગ પર વિશેષ વસ્તુઓનો અભિષેક અને મંત્રજાપ કરવામાં આવે છે. જાણીતા જ્યોતિષી ચેતન પટેલ અનુસાર, મનોકામના અને પરંપરાગત ઉપાસનાના હેતુ પ્રમાણે નીચે મુજબ અભિષેક કરી શકાય છે.
ધન-સમૃદ્ધિ
ધન અને સમૃદ્ધિની મનોકામના માટે શિવલિંગ પર દૂધ અને સાકરનો અભિષેક કરવાની પરંપરા છે. આ દરમિયાન “ૐ નમઃ શિવાય” મંત્રનો 108 વાર જાપ કરી શકાય છે.
નોકરી અને વ્યવસાયમાં સફળતા
નોકરી અથવા વ્યવસાયમાં સફળતા માટે જળ તથા દૂધનો અભિષેક કરવાની માન્યતા છે. શિવલિંગ પર 11 બિલ્વપત્ર અર્પણ કરવાની પણ પરંપરા છે.
લગ્નના વિધ્નો દૂર કરવા
વિવાહમાં આવતા વિઘ્નો દૂર કરવા અને લગ્નની મનોકામના માટે દૂધથી અભિષેક કરવાની પરંપરા છે. ખાસ કરીને સોમવારે શિવ-પાર્વતીની પૂજા કરી શકાય છે.
વૈવાહિક સુખ
વૈવાહિક જીવનમાં સુખ-શાંતિ માટે દૂધ અને મધનો અભિષેક કરવામાં આવે છે. આ સાથે શિવ-પાર્વતીના મંત્રનો જાપ કરવાની પરંપરા છે.
સંતાન સુખ
સંતાન સુખની મનોકામના માટે દૂધનો અભિષેક કરી શિવપૂજા કરવાની માન્યતા છે. આ દરમિયાન સંતાન ગોપાલ મંત્રનો જાપ કરી શકાય છે.
માનસિક શાંતિ
માનસિક શાંતિ માટે શિવલિંગ પર શુદ્ધ જળનો અભિષેક કરી મહામૃત્યુંજય મંત્રનો 108 વાર જાપ કરવાની પરંપરા છે.
આરોગ્ય અને રક્ષણ
આરોગ્ય અને રક્ષણની મનોકામના માટે જળાભિષેક કરી મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવામાં આવે છે.
વિદ્યામાં સફળતા
વિદ્યામાં સફળતા માટે દૂધનો અભિષેક કરી “ૐ ઐં નમઃ શિવાય” મંત્રનો જાપ કરવાની પરંપરા છે.
ઘરમાં સુખ-શાંતિ
ઘરમાં સુખ અને શાંતિ માટે ગંગાજળ અથવા શુદ્ધ જળથી અભિષેક કરી શિવ ચાલીસા અથવા રુદ્રાષ્ટકનો પાઠ કરી શકાય છે.
અડચણો દૂર કરવા
જીવનમાં આવતી અડચણો દૂર કરવાની મનોકામના માટે જળ અને મધનો અભિષેક કરી “ૐ નમઃ શિવાય” મંત્રનો 108 વાર જાપ કરવાની પરંપરા છે.
શત્રુ અને નકારાત્મકતાથી રક્ષણ
શત્રુઓ તથા નકારાત્મકતાથી રક્ષણ માટે જળાભિષેક સાથે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાની ધાર્મિક માન્યતા છે.
મનોકામના પૂર્ણ કરવા
મનોકામના પૂર્ણ કરવા માટે પંચામૃત અભિષેક કરી 108 બિલ્વપત્ર સાથે શિવનામનો જાપ કરવાની પરંપરા છે.
શ્રાવણ સોમવારની સરળ પૂજા વિધિ
શ્રાવણ સોમવારે સ્નાન કર્યા બાદ શિવલિંગ પર જળાભિષેક કરવો. ત્યારબાદ પંચામૃતથી અભિષેક કરી ફરીથી જળાભિષેક કરવો. શિવલિંગ પર બિલ્વપત્ર અને ફૂલ અર્પણ કરી ધૂપ-દીપ પ્રગટાવવો. ત્યારબાદ “ૐ નમઃ શિવાય શિવાય નમઃ ૐ” મંત્રનો 108 વાર જાપ કરી મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો અને અંતે ભગવાન શિવની આરતી કરવી. અભિષેકમાં ઉપયોગમાં લેવાતી દરેક વસ્તુ શુદ્ધ અને પોતાની પરંપરા તથા ધાર્મિક રીતિ-રિવાજને અનુરૂપ હોવી જોઈએ.
(જ્યોતિષી ચેતન પટેલ)