top
રાયગઢના વૈજનાથ મહાદેવને નાગપાંચમનો અનોખો શણગાર કરાયો:કુવાસીઓએ 24 કિલો રંગોળીના રંગોથી નાગની આકૃતિ બનાવી, શિવલિંગનો વિશેષ શણગાર કર્યો
સાબરકાંઠા જિલ્લામાં શ્રાવણ માસને લઈને શિવભક્તોમાં ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. શ્રાવણ માસ દરમિયાન જિલ્લાના વિવિધ શિવ મંદિરોમાં દરરોજ સાંજે ભગવાન શિવને વિવિધ પ્રકારના શણગાર ચઢાવવામાં આવી રહ્યા છે. ત્યારે હિંમતનગર તાલુકાના રાયગઢ ગામે આવેલા શ્રી વૈજનાથ મહાદેવ મંદિરે નાગપાંચમ નિમિત્તે અનોખો શણગાર કરાયો હતો. વૈજનાથ મહાદેવને કુવાસીઓ દ્વારા રંગોળીના વિવિધ રંગોનો ઉપયોગ કરીને નાગની આકૃતિ બનાવી વિશેષ શણગાર કરાયો હતો. આ શણગારમાં પીળા, કથ્થાઈ, કાળા સહિતના વિવિધ રંગોનો ઉપયોગ કરાયો હતો. શ્રી વૈજનાથ મહાદેવ મંદિરના અર્પિત શુક્લાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, મંગળવારે નાગપાંચમ નિમિત્તે બે કુવાસીઓ દ્વારા અંદાજે 24 કિલો રંગોળીના રંગોનો ઉપયોગ કરી નાગની સુંદર આકૃતિ તૈયાર કરાઈ હતી. ત્યારબાદ આ નાગની આકૃતિ સાથે વૈજનાથ મહાદેવનો વિશેષ શણગાર કરાયો હતો. નાગપાંચમના પાવન પર્વ નિમિત્તે કરાયેલા આ અનોખા શણગારના દર્શન કરવા માટે ભક્તો પણ મોટી સંખ્યામાં મંદિરે પહોંચ્યા. મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું.
Read full article on Divya Bhaskar