politics
'પરીક્ષા વખતે હેરાનગતિ બંધ કરો':કોંગ્રેસ સભ્ય સોનલ પટેલના ચેકિંગ સામે શિક્ષક મંડળ મેદાને, કમિશનરને પત્ર લખી કરી આકરી માંગ
અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની નિમણૂક બાદ કોંગ્રેસના એકમાત્ર સભ્ય સોનલ પટેલ, પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ તેમજ સ્થાનિક કોર્પોરેટરો દ્વારા મ્યુનિસિપલ શાળાઓમાં તપાસ શરૂ કરવામાં આવતાં જ મોટો વિવાદ સર્જાયો છે. નવનિયુક્ત સભ્ય સોનલ પટેલે તાજેતરમાં કાલુપુર પબ્લિક સ્કૂલની અચાનક મુલાકાત લઈને શૈક્ષણિક કાર્ય અને શાળાની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ તપાસ બાદ તેમણે શહેરની અન્ય શાળાઓની પણ આકસ્મિક મુલાકાત લેવાની જાહેરાત કરતાં જ મ્યુનિસિપલ શિક્ષક મંડળમાં ભારે નારાજગી અને ફફડાટ જોવા મળી રહ્યો છે. શિક્ષકો અને બાળકોની હેરાનગતિનો આક્ષેપ શિક્ષક મંડળે મ્યુનિસિપલ કમિશનર તેમજ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરીને આક્ષેપ કર્યો છે કે રાજકીય પક્ષો, એનજીઓ અને અન્ય લોકો દ્વારા પૂર્વ મંજૂરી વગર શાળાઓમાં મુલાકાત લેવાતી હોવાથી શિક્ષણકાર્ય ખોરવાય છે અને વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને ભારે હેરાનગતિ ભોગવવી પડે છે. હાલમાં ત્રિમાસિક પરીક્ષાઓનો સમય ચાલી રહ્યો છે ત્યારે માત્ર વિરોધ કરવાના ઇરાદે મુલાકાતો લઈને નકારાત્મક વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું હોવાનો દાવો શિક્ષક મંડળે કર્યો છે. બાળકોના ફોટા પાડવા મુદ્દે પોક્સો હેઠળ ગુનો નોંધવા માગ કમિશનર અને કલેક્ટરને પાઠવેલા પત્રમાં શિક્ષક મંડળે આકરી માંગણી કરતાં જણાવ્યું છે કે, સત્તાવાર મંજૂરી વગર શાળામાં પ્રવેશ કરનારાઓ સામે શિક્ષાત્મક જોગવાઈ મુજબ કડક પગલાં ભરવામાં આવે. આ સાથે જ શાળા પરિસરમાં બાળકોના ફોટોગ્રાફ્સ લેવા બદલ પોક્સો કાયદા હેઠળ ગુનો દાખલ કરવાની પણ માંગ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મ્યુનિસિપલ શાળાઓમાં શિક્ષણના સ્તર અને અન્ય વહીવટી બાબતોમાં ચાલતી પોલંપોલ ખુલ્લી ન પડી જાય તે માટે કોંગ્રેસ સભ્યનો શાળા પ્રવેશ અટકાવવા વહીવટી તંત્ર પર દબાણ લાવવાનો આ પ્રયાસ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. શિક્ષકોને બિન-શૈક્ષણિક કામગીરીમાંથી મુક્તિ અપાવવા સોનલ પટેલની ખાતરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત દરમિયાન સોનલ પટેલે સ્પષ્ટ કર્યું હતું કે શિક્ષકોનું મુખ્ય કાર્ય માત્ર ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાનું છે. તેમણે ખાતરી આપી હતી કે શિક્ષકોને રાજકીય સભાઓ, રેલીઓ કે અન્ય બિન-શૈક્ષણિક કામોમાં ન જોતરવામાં આવે તે માટે તેઓ ઉચ્ચ સ્તરે રજૂઆત કરશે. જોકે, તેમણે આગામી દિવસોમાં શહેરની તમામ મ્યુનિસિપલ શાળાઓની મુલાકાત લઈને સ્થળ પર જ વાસ્તવિક સ્થિતિ ચકાસવાની મક્કમતા દર્શાવતાં આગામી દિવસોમાં આ મામલે રાજકીય અને વહીવટી ઘર્ષણ વધુ ઉગ્ર બનવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.
Read full article on Divya Bhaskar