top
PM મોદીના 25 વર્ષના સુશાસન 'સેવા ઉત્સવ' તરીકે ઉજવાશે:પ્રદેશ મહામંત્રીએ કહ્યું, ફટાકડા કે કેક કાપીને નહીં, 'સેવા સંકલ્પ અભિયાન' યોજાશે
ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા 'સેવા સંકલ્પ અભિયાન' ઉજવવામાં આવી રહ્યું છે. આ અભિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી ચાલશે. આ અંતર્ગત મહીસાગર જિલ્લાના મોટા સોનેલામાં એક કાર્યશાળા યોજાઈ હતી. ક્રિસ્ટલ સ્કૂલ હૉલ ખાતે આયોજિત આ જિલ્લા કાર્યશાળા પ્રદેશ મહામંત્રી અને અભિયાનના પ્રભારી અજય બ્રહ્મભટ્ટની અધ્યક્ષતામાં યોજાઈ હતી. તેમાં જિલ્લા પ્રભારી નીતિન પટેલ ખાસ હાજર રહ્યા હતા. જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ બારિયા, મહામંત્રીઓ, જિલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન પુવાર સહિત અન્ય પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં પત્રકારો સાથે વાત કરતા પ્રદેશ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટે ઉજવણીની રૂપરેખા આપી હતી. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 ઓક્ટોબરે જનસેવાના 25 વર્ષ પૂરા કરશે. 17 સપ્ટેમ્બરે તેમનો જન્મદિવસ છે. આ એક મહિના દરમિયાન ફટાકડા ફોડવા કે કેક કાપવા જેવા કાર્યક્રમો નહીં થાય. તેના બદલે, વડાપ્રધાનના સેવાભાવી જીવનને અનુરૂપ આ પર્વને સંપૂર્ણપણે 'સેવા ઉત્સવ' તરીકે ઉજવવામાં આવશે. આ અભિયાનનો મુખ્ય હેતુ બૂથ સ્તરે જઈને છેવાડાના લોકોને સરકારી યોજનાઓના 100 ટકા લાભ પહોંચાડવાનો છે. 17 સપ્ટેમ્બરે 'આશાનો દીવડો' કાર્યક્રમ યોજીને વડાપ્રધાનની 25 વર્ષની નિઃસ્વાર્થ સેવાઓ માટે આભાર વ્યક્ત કરાશે. જનતાને સેવાકીય પ્રેરણા આપવા માટે કુલ 13 સંપર્ક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. તેમાં 'સેવા સેતુ', 'સેવા મેરા યોગદાન', 'વિકસિત ભારતમાં મારું યોગદાન', 'આંગણવાડી કા ઉત્સવ', 'આંગણવાડી કા મિલન' અને '25 કરોડ બાળકોના વિકસિત ભારતનું સ્વપ્ન' જેવા કાર્યક્રમો સામેલ છે. આ તમામ કાર્યક્રમોનો મુખ્ય ઉદ્દેશ્ય 2047માં દેશ આઝાદીના 100 વર્ષ પૂરા કરે ત્યારે વડાપ્રધાનના 'વિકસિત ભારત'ના સંકલ્પને સાકાર કરવાનો છે. આ કાર્યમાં લોકોની ભાગીદારી સુનિશ્ચિત થાય અને ભાજપનો દરેક કાર્યકર્તા આ સેવા યજ્ઞમાં જોડાય તે માટે કાર્યશાળામાં રણનીતિ બનાવાઈ હતી.
Read full article on Divya Bhaskar