politics
પાટણમાં ધારાસભ્ય કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસની પત્રકાર પરિષદ:દિલ્હી મુલાકાત અંગેના આક્ષેપો ફગાવ્યા, વિરોધી નેતાઓ સામે કાર્યવાહીની માગ
પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ, બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘેમર દેસાઈ સહિતના નેતાઓની દિલ્હી મુલાકાત અંગે પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બાબુજી ઠાકોર દ્વારા કરવામાં આવેલા આક્ષેપોના વિરોધમાં કોંગ્રેસના ઠાકોર સમાજ સહિત અન્ય સમાજના આગેવાનો અને કાર્યકરોએ પત્રકાર પરિષદ યોજી હતી. પત્રકાર પરિષદમાં બાબુજી ઠાકોર દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યા હતા. ખડગે સાથેની મુલાકાતને સામાન્ય ગણાવી તાજેતરમાં કિરીટ પટેલ, ગેનીબેન ઠાકોર, ઘેમર દેસાઈ સહિતના કોંગ્રેસના નેતાઓએ દિલ્હીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાતને લઈને બાબુજી ઠાકોર અને અન્ય નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે પ્રતિનિધિમંડળ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાને પદ પરથી દૂર કરવાની રજૂઆત કરવા માટે દિલ્હી ગયું હતું. જોકે, પત્રકાર પરિષદમાં કોંગ્રેસના આગેવાનોએ આ આક્ષેપોને નકારી કાઢી દિલ્હી મુલાકાત માત્ર ઔપચારિક અને શુભેચ્છા મુલાકાત હોવાનું જણાવ્યું હતું. પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારાઓ સામે કાર્યવાહીની માગ પત્રકાર પરિષદમાં કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે કેટલાક નેતાઓ ચૂંટણી સમયે જ સક્રિય થાય છે અને ભાજપની B ટીમ તરીકે કામ કરીને કોંગ્રેસને નુકસાન પહોંચાડે છે. આવા નેતાઓની પક્ષવિરોધી પ્રવૃત્તિઓ અંગે કોંગ્રેસના મોવડીમંડળને આગામી સમયમાં સત્તાવાર રજૂઆત કરવામાં આવશે. જરૂર પડ્યે આવા નેતાઓને હોદ્દા પરથી દૂર કરવા તેમજ પક્ષમાંથી હાંકી કાઢવાની માગ પણ કરવામાં આવશે. બાબુજી ઠાકોર સિઝનેબલ નેતા, કોંગ્રેસ વધુ મજબૂત બની છે: હરગોવન મકવાણા તાલુકા પંચાયત સદસ્ય હરગોવન મકવાણાએ જણાવ્યું હતું કે બે દિવસ અગાઉ બાબુજી ઠાકોર દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદના વિરોધમાં અને ધારાસભ્ય કિરીટ પટેલના સમર્થનમાં આજની પત્રકાર પરિષદ યોજવામાં આવી છે. તેમણે બાબુજી ઠાકોરને ‘સિઝનેબલ નેતા’ ગણાવી આક્ષેપ કર્યો કે તેઓ અવારનવાર પક્ષવિરોધી કામગીરી કરે છે. તેમના જણાવ્યા મુજબ, આ અંગેના પુરાવા પણ ઉપલબ્ધ છે અને જરૂર પડ્યે રજૂ કરવામાં આવશે. હરગોવન મકવાણાએ વધુમાં જણાવ્યું હતું કે પૂર્વ જિલ્લા પ્રમુખના સમયની સરખામણીએ હાલ ઘેમર દેસાઈના નેતૃત્વમાં પાટણમાં કોંગ્રેસ વધુ મજબૂત બની છે. પાટણ તાલુકા પંચાયતમાં કોંગ્રેસે સત્તા મેળવી છે, જ્યારે જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં પણ કોંગ્રેસે નોંધપાત્ર બેઠકો મેળવી હોવાનું તેમણે જણાવ્યું હતું. ચૂંટણી સમયે જ વિરોધી જૂથ સક્રિય થવાનો આક્ષેપ કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે જે નેતાઓ પક્ષની કામગીરીનો વિરોધ કરે છે તેઓ ચૂંટણી સમયે જ બહાર આવે છે. હરગોવન મકવાણાએ આવા નેતાઓને ‘ચૂંટણી સમયે ચોમાસાના દેડકાની જેમ બહાર આવતી B ટીમ’ ગણાવી ભાજપના ઈશારે કામ કરવાનો આક્ષેપ કર્યો હતો. આ પ્રકારની પ્રવૃત્તિઓથી કોંગ્રેસના ઉમેદવારોને નુકસાન થતું હોવાનો અને પક્ષની લોકપ્રિયતા પર પણ વિપરીત અસર પડતી હોવાનો તેમણે દાવો કર્યો હતો. મોટી સંખ્યામાં કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરો હાજર પત્રકાર પરિષદમાં જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા ઠાકોર મોંઘજીજી, તાલુકા પ્રમુખ શ્રવણજી ઠાકોર, સરસ્વતી તાલુકા પ્રમુખ છનાજી ગોહિલ, ફુલચંદ દેસાઈ, ડેરના સદસ્ય લાલભાઈ દેસાઈ, હરગોવન મકવાણા, ફૂલાભાઈ દેસાઈ, પાટણ જિલ્લા કિસાન સેલના પ્રમુખ ભુરાભાઈ જોશી, પ્રદેશ ડેલિગેટ રામસંગજી જાડેજા સહિત તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્યો તેમજ કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોએ બાબુજી ઠાકોરની પત્રકાર પરિષદનો વિરોધ કરી ગેનીબેન ઠાકોર, કિરીટ પટેલ, દિનેશજી ઠાકોર, ઘેમર દેસાઈ, રઘુભાઈ દેસાઈ સહિત દિલ્હી ગયેલા પ્રતિનિધિમંડળના સમર્થનમાં પોતાની રજૂઆત કરી હતી.
Read full article on Divya Bhaskar