top
નવરાત્રીમાં મહિલાઓની સુરક્ષા જાળવવા માંગ:રાજકોટનાં હિન્દુ સંગઠનોએ ગેરરીતિ અટકાવવા કડક પોલીસ બંદોબસ્તની માંગ કરી, પ્રવેશદ્વારે ઓળખપત્રની ચકાસણી અને તિલક ફરજિયાત કરવા વિનંતી
રાજકોટમાં નવરાત્રી પર્વ દરમિયાન યોજાનારા મોટા ગરબા અને ડિસ્કો દાંડિયા કાર્યક્રમોમાં મહિલાઓની સુરક્ષા તથા ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા માટે શહેરના હિન્દુ સંગઠનો દ્વારા પોલીસ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. સંગઠનોએ રજૂઆતમાં જણાવ્યું છે કે નવરાત્રી સનાતન ધર્મનો પવિત્ર તહેવાર છે. ગરબા સ્થળોએ ગેરરીતે પ્રવેશ કરીને યુવતીઓ સાથે છેડછાડ, હેરાનગતિ કે અન્ય ગેરપ્રવૃત્તિઓ ન થાય તે માટે આયોજકો અને પોલીસ દ્વારા પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવી જરૂરી છે. સંગઠનોએ સ્પષ્ટ કર્યું છે કે આ રજૂઆતનો હેતુ મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. હિંદુ અગ્રણી મંગેશભાઈએ જણાવ્યું કે, સંગઠનો દ્વારા મુખ્યત્વે પ્રવેશદ્વારે પાસ સાથે આધારકાર્ડ કે અન્ય માન્ય ઓળખપત્રની ચકાસણી ફરજિયાત કરવા માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત ગરબા સ્થળોએ પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવો, શંકાસ્પદ લોકો પર નજર રાખવી અને છેડછાડ કે હેરાનગતિ અંગે ફરિયાદ મળે તો તે માટે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવાની રજૂઆત કરાઈ છે. સંગઠનોએ આયોજકોને પ્રવેશદ્વારે તિલકની વ્યવસ્થા રાખવા પણ સૂચના આપવા માંગ કરી છે. હિન્દુ સંગઠનોએ આ તમામ માંગણીઓ ગરબા આયોજકો સુધી પહોંચાડી સુરક્ષા માર્ગદર્શિકા જાહેર કરવા પોલીસ તંત્રને વિનંતી કરી છે. ફૂટ ઓવર બ્રિજના કામને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત, 13 સપ્ટેમ્બરે જામનગર-વડોદરા ઇન્ટરસિટી રદ પશ્ચિમ રેલવે દ્વારા સાબરમતી સ્ટેશન પર મુસાફરોની સુવિધા વધારવા બે નવા ફૂટ ઓવર બ્રિજના નિર્માણ અર્થે 13 સપ્ટેમ્બર, 2026 ના રોજ ખાસ ટ્રાફિક બ્લોક લેવામાં આવશે. રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા મુજબ, આ કામગીરીને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થશે. જેમાં 13 સપ્ટેમ્બરે ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી અને ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી સંપૂર્ણપણે રદ રહેશે. આ સાથે 13 સપ્ટે.ની ટ્રેન નં. 16613 રાજકોટ-કોઈમ્બતૂર એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ વિરમગામ-સાબરમતી-અમદાવાદના બદલે વિરમગામ-કટોસણ રોડ-કલોલ-સાબરમતી બ્રોડગેજ-અમદાવાદ થઈને ચાલશે. તેમજ 12 સપ્ટેમ્બરની ટ્રેન નંબર 22718 સિકંદરાબાદ-રાજકોટ એક્સપ્રેસ અમદાવાદ-સાબરમતી બ્રોડગેજ-કલોલ-કટોસણ રોડ-વિરમગામ માર્ગે ચલાવવામાં આવશે. મુસાફરોને આ ફેરફારો ધ્યાને રાખી યાત્રાનું આયોજન કરવા અને વધુ માહિતી માટે www.enquiry.indianrail.gov.in નો સંપર્ક કરવા જણાવાયું છે. રાજકોટ મનપાએ 6 આવસો સીલ કર્યા, મૂળ લાભાર્થીને બદલે ભાડૂઆતો રહેતા હોવાનું ખુલતા કાર્યવાહી રાજકોટ મહાપાલિકાની ફિલ્ડ ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા વિશેષ ચેકિંગ દરમિયાન વિવિધ આવાસ યોજનાઓમાં મૂળ લાભાર્થીના સ્થાને અન્ય આસામીઓ રહેતા હોવાનું સામે આવ્યું છે. તંત્રના ચેકિંગ દરમિયાન શ્રી વિનોબાભાવે ટાઉનશીપ, શ્રી મહારાણા પ્રતાપ ટાઉનશીપ અને શ્રી જીજાબાઈ ટાઉનશીપ ખાતે મૂળ લાભાર્થીઓના બદલે અન્ય ભાડૂઆતો બિનઅધિકૃત રીતે રહેતા હોવાનું માલૂમ પડતાં આવાસ યોજના વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને કુલ 6 આવાસોને સીલ કરી દેવામાં આવ્યા છે. આ કાર્યવાહી અંતર્ગત 10-09-2026ના રોજ કુવાડવા રોડ પાસે આવેલ વિનોબાભાવે ટાઉનશીપના 4 અને રેલનગરના મહારાણા પ્રતાપ ટાઉનશીપના 1 આવાસ સીલ કરાયા હતા. જ્યારે 11-09-2026ના રોજ રૈયાધાર ખાતે આવેલ જીજાબાઈ ટાઉનશીપના 1 આવાસને સીલ કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારે આવાસો ભાડે આપનારા સામે કડક ચકાસણી ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે. રાજકોટમાં સુવિધાસભર નવી આંગણવાડીનું લોકાર્પણ, પોષણ જાગૃતિ રેલી અને શપથ ગ્રહણ યોજાયા રાજકોટ મહાપાલિકા દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ અને પોષણને પ્રાથમિકતા આપી ઈસ્ટ ઝોનમાં માંડા ડુંગર-2 આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ વિસ્તારનાં કોર્પોરેટર પૂનમ મોરવાડિયા અને અનિલ ચૌહાણના હસ્તે આંગણવાડી ખુલ્લી મુકવામાં આવી છે. આ કાર્યક્રમ દરમિયાન બાળકોના કુમકુમ પગલાં કરાવી આંગણવાડીમાં પ્રવેશ કરાવાયો હતો. આ તકે ICDS પ્રોગ્રામ ઓફિસર શારદાબેન દેસાઈ દ્વારા ઉપસ્થિત લાભાર્થીઓને કેન્દ્રની વિવિધ સેવાઓ તેમજ THR (ટેક હોમ રાશન) અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય પોષણ માસ-2026 અંતર્ગત ઉપસ્થિત સૌએ પોષણ શપથ લીધા હતા. આ ઉપરાંત પોષણ જાગૃતિનો સંદેશો લોકો સુધી પહોંચાડવા બાળકો અને આંગણવાડી કાર્યકરો દ્વારા ભવ્ય રેલીનું આયોજન પણ કરાયું હતું. આ પ્રસંગે શિક્ષણ સમિતિના ચેરમેન વિરમભાઈ સાબંડ, બાળ વિકાસ યોજના અધિકારી પૂજાબેન ડવ, તબીબો તેમજ મોટી સંખ્યામાં બાળકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ મનપા દ્વારા ફાયર સ્ટાફ માટે ક્લોરીન ગેસ લીકેજ અંગે તાલીમ સેશન યોજાયું રાજકોટ મહાનગરપાલિકાના વોટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા ગુરુકુલ પમ્પિંગ સ્ટેશન ખાતે કનક રોડ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝના સ્ટાફ માટે ક્લોરીન ગેસ લીકેજ અંગે તાલીમ યોજાઈ હતી. જેમાં 900 કિગ્રાના ટનર અને 100 કિગ્રાના સીલીન્ડરમાં લીકેજ સમયે તકેદારી, લીકેજ નિયંત્રણ, અસરગ્રસ્તોની પ્રાથમિક સારવાર તેમજ વેક્યુમ ફીડ ક્લોરીનેશન અને સ્ક્રબર સિસ્ટમ અંગે પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તાલીમ કેમિસ્ટ ડૉ. જે.જે. જાડેજા તથા એમ.જે. ગોહિલ દ્વારા મનપાનાં ઇજનેરોનાં માર્ગદર્શન હેઠળ યોજવામાં આવી હતી. જેમાં ફાયર સ્ટેશનના SO સંજયભાઈ નાગલાની, SO નાજુભાઈ પરમાર, શાહરુખભાઈ પઠાણ સહિત 25થી વધુ ફાયરમેન અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. ક્લોરીન ગેસ ઝેરી હોય તેના લીકેજ જેવી ઈમરજન્સી પરિસ્થિતિમાં ઝડપી, સુરક્ષિત અને અસરકારક કામગીરી કરી શકાય તથા સ્ટાફની કાર્યક્ષમતા અને સતર્કતા વધે તે હેતુથી આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
Read full article on Divya Bhaskar