top
નવજીવન સાયન્સ કોલેજમાં NATS, AEDP સેમિનાર યોજાયો:વિદ્યાર્થીઓમાં કૌશલ્ય વિકાસ અને રોજગારીની તકો વધારવા માર્ગદર્શન
દાહોદની નવજીવન સાયન્સ કોલેજ ખાતે વિદ્યાર્થીઓમાં કૌશલ્ય વિકાસ અને રોજગારીની તકો વધારવા માટે નેશનલ એપ્રેન્ટિસશિપ ટ્રેનિંગ સ્કીમ (NATS) અને એપ્રેન્ટિસશિપ એમ્બેડેડ ડિગ્રી પ્રોગ્રામ (AEDP) અંગે એક વિશેષ માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય ઉચ્ચ શિક્ષણ વિભાગ અને ઉદ્યોગ જગત વચ્ચેના સેતુને મજબૂત કરવાનો હતો. આ શૈક્ષણિક કાર્યક્રમ દ્વારા યુવા વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે જ ઔદ્યોગિક ક્ષેત્રની જરૂરિયાતો મુજબ પ્રાયોગિક તાલીમથી સજ્જ કરવાનો હતો. આનાથી તેમને ભવિષ્યમાં રોજગારીની વધુ સારી તકો મળી શકે. કાર્યક્રમમાં ભારત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગના મુખ્ય વક્તા પ્રકાશ કુમાર પાંડેએ ઉપસ્થિત રહી બંને મહત્ત્વની યોજનાઓની વિસ્તૃત જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે આજના સ્પર્ધાત્મક યુગમાં માત્ર પુસ્તકીય જ્ઞાન પૂરતું નથી, પરંતુ વ્યવહારુ કૌશલ્ય અને પ્રાયોગિક અનુભવ પણ અનિવાર્ય છે. એપ્રેન્ટિસશિપ દ્વારા વિદ્યાર્થીઓ અભ્યાસકાળ દરમિયાન જ જાણીતા ઉદ્યોગોમાં કામ શીખી શકે છે અને આકર્ષક સ્ટાઈપેન્ડ પણ મેળવી શકે છે. પાંડેએ NATS 2.0 પોર્ટલ પર નોંધણી કરવાની સરળ પ્રક્રિયા વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા અને આ યોજનાથી કારકિર્દીમાં ખૂલતા નવા દ્વારો પર પ્રકાશ પાડ્યો હતો. સેમિનાર દરમિયાન વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા, જેનું વક્તા દ્વારા સંતોષકારક નિરાકરણ લાવવામાં આવ્યું હતું. આ સંવાદથી યુવાનોમાં ઉદ્યોગસાહસિકતા અને રોજગારક્ષમતા અંગે સકારાત્મક અભિગમ વિકસ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉ. જી. જે. ખરાડીના માર્ગદર્શન હેઠળ અને યુડિશા પ્લેસમેન્ટ સેલના કોઓર્ડિનેટર ડૉ. વિશાલ આર. જૈનના સંકલનથી થયું હતું. સના પઠાણ દ્વારા કાર્યક્રમનું સુચારૂ સંચાલન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે કોલેજ પરિવારે વક્તાનો આભાર વ્યક્ત કર્યો હતો.
Read full article on Divya Bhaskar