crime
નકલી પનીર-ચીઝનું વેચાણ અટકાવવા પોલીસ મેદાને:રાજકોટ એસઓજીએ 'ગોવાલીયા ફુડ પ્રોડક્ટ'માંથી 550 કિલો જથ્થાનો નાશ કર્યો, સંચાલકની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ
રાજકોટ શહેરમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરતા અને ભેળસેળયુક્ત તેમજ પ્રતિબંધિત ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન, સંગ્રહ તથા વેચાણ કરતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. લોકસ્વાસ્થ્યની સુરક્ષાને પ્રાથમિકતા આપીને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર રોક લગાવવા માટે તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ઝુંબેશના ભાગરૂપે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) અને ફૂડ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા સંયુક્ત ઓપરેશનમાં પ્રતિબંધિત એનાલોગ પનીર અને ચીઝનો મોટો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે. પોલીસે 550 કિલો જથ્થાનો નાશ કરી જરૂરી નમુના લેબોરેટરી ખાતે મોકલાવી પેઢી સંચાલક 53 વર્ષીય અશોકભાઇ જેન્તલાલ દલવાડી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગત અનુસાર, પોલીસ વિભાગને મળેલી ચોક્કસ અને ગુપ્ત બાતમીના આધારે આ સમગ્ર કામગીરી પાર પાડવામાં આવી હતી. આજે એસઓજી વિભાગની ટીમ જ્યારે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી, ત્યારે તેમને ચોક્કસ માહિતી મળી હતી કે અણીયારા ગામ પાસે આવેલા ડી.કે. ઇન્ડ્રસ્ટ્રીયલ એરીયાના પ્લોટ નંબર 2 માં આવેલ 'ગોવાલીયા ફુડ પ્રોડક્ટ' નામની ફેક્ટરીમાં માનવ આરોગ્ય માટે હાનિકારક અને પ્રતિબંધિત એવા એનાલોગ પનીર તથા ચીઝનું ઉત્પાદન અને સંગ્રહ કરવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસ ટીમે ત્વરિત કાર્યવાહી કરીને કાયદાકીય પ્રોટોકોલ મુજબ ફૂડ વિભાગના અધિકારીને સાથે રાખીને ફેક્ટરી પર સરપ્રાઈઝ રેડ કરી હતી. દરોડા દરમિયાન ફેક્ટરીમાંથી મોટા પ્રમાણમાં બિનઅધિકૃત એનાલોગ ચીઝ અને પનીરનો સ્ટોક મળી આવ્યો હતો. તપાસ દરમિયાન ગોવાલીયા ફુડ પ્રોડક્ટના સંચાલક રાજકોટનાં 53 વર્ષીય અશોકભાઇ જેન્તલાલ દલવાડી હોવાનું સામે આવ્યું હતું. જેને લઈ પોલીસે ફૂડ વિભાગ અધિકારીઓની મદદથી ફેક્ટરીમાંથી ખાદ્ય પદાર્થોના જરૂરી સેમ્પલ લઈને તેને આગળની ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે અને કાયદેસરની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સ્થળ પરથી મળી આવેલા જથ્થાની ગણતરી કરતા 400 કિલોગ્રામ એનાલોગ ચીઝ (જેની અંદાજિત કિંમત રૂ. 1,55,000) અને 150 કિલોગ્રામ એનાલોગ પનીર (જેની અંદાજિત કિંમત રૂ. 30,000) મળી આવ્યું હતું. આમ, કુલ રૂ. 1,85,000 ની કિંમતનો 550 કિલોગ્રામથી વધુનો પ્રતિબંધિત જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. નાગરિકોના સ્વાસ્થ્ય સાથે કોઈ સમાધાન ન થાય તે હેતુથી ફૂડ વિભાગની હાજરીમાં કાયદેસરની પ્રક્રિયા હાથ ધરીને મળી આવેલા તમામ જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.
Read full article on Divya Bhaskar