top
મનપાની વધુ એક ઘોર બેદરકારી:ઘંટેશ્વર વિસ્તારમાં રસ્તાનાં લેવલ કરતા ડ્રેનેજનાં ઢાંકણા ઊંચા, વાહનચાલકનો અકસ્માત થયાનો વીડિયો સામે આવતા તપાસ શરૂ
રાજકોટ મહાનગરપાલિકાની ઘોર બેદરકારી વધુ એક વખત છતી થઈ છે, જેમાં ઘંટેશ્વર વિસ્તારમાં મુખ્ય રસ્તાના લેવલ કરતા ડ્રેનેજના ઢાંકણાં વધુ પડતા ઊંચા રાખવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. રસ્તામાં ઊંચા ડ્રેનેજ કવરના કારણે વાહનચાલકો માટે અકસ્માતનો મોટો ભય ઊભો થયો હતો. ગત તારીખ 6 સપ્ટેમ્બરના રોજ રાત્રિના સમયે અહીંથી પસાર થઈ રહેલા એક બાઈક ચાલકનું વાહન રસ્તા પર ઊંચા ડ્રેનેજના ઢાંકણા સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. આ સમગ્ર ઘટનાના CCTV પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કઈ રીતે તંત્રની બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો હતો. વાયરલ વીડિયો બાદ મનપા તંત્ર ઊંઘમાંથી જાગ્યું આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં અને લોકોમાં મનપા તંત્ર સામે ભારે રોષ તેમજ સવાલો ઉઠ્યા હતા. જેને લઈને આ વાયરલ વીડિયોના આધારે મનપા તંત્ર આખરે કુંભકર્ણ નિંદ્રામાંથી જાગ્યું છે. આ અંગે મનપાનાં સિટી ઈજનેર કુંતેશ મહેતાએ જણાવ્યું હતું કે, આ રસ્તાની સાઈડમાં છે જ્યાંથી સામાન્ય રીતે વાહન પસાર થતા નથી. આ કામગીરી રસ્તાનું કામ કરતા કોન્ટ્રાક્ટર અંતર્ગત આવે છે કે કેમ? તે અંગે તપાસ કરી જરૂરી પગલાં લેવામાં આવશે. સિવિલ હોસ્પિટલમાં ‘લાગવગિયા’ને કેસ કાઢી દેવાની મનાઈ રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ કે સારવાર માટે આવતા પોલીસ કર્મચારીઓ વર્ધી અને પદનો રોફ બતાવીને લાઈનમાં ઊભા રહેવાને બદલે વચ્ચેથી કેસ કઢાવી લેતા હોવાની ફરિયાદો ઊઠી હતી. આ જોહુકમીના કારણે લાઈનમાં કલાકોથી ઊભેલા દર્દીઓ અને પોલીસ વચ્ચે દરરોજ માથાકૂટ થતી હતી. ગઈકાલે પણ કેસબારી પર દર્દીઓ સાથે ઉગ્ર બોલાચાલી થતાં સ્થિતિ વણસી હતી. આ ઘટનાની ગંભીરતા સમજીને તબીબી અધીક્ષક કમલ ડોડિયાએ તાત્કાલિક કેસબારી ખાતે દોડી જઈ સ્ટાફનો ક્લાસ લીધો હતો. સ્પષ્ટ સૂચના આપી કે, હોસ્પિટલમાં આવતો દરેક નાગરિક સરખો છે. હવે કોઈપણ પોલીસ કર્મચારી કે લાગવગ ધરાવતી વ્યક્તિ વચ્ચેથી ઘૂસે તો સ્ટાફે કેસ કાઢી આપવો નહીં અને તમામે ફરજિયાત લાઈનમાં ઊભા રહી વારો આવે ત્યારે જ કેસ કઢાવવો પડશે. અધીક્ષકના કડક વલણથી સામાન્ય દર્દીઓએ રાહતનો શ્વાસ લીધો છે. ભાટીયા ધર્મશાળા પાસેનો જાહેર માર્ગ બિલ્ડરે બંધ કરતા રોષ રાજકોટના રેલ્વે જંકશન પાસે આવેલ ભાટીયા બોર્ડીંગ અને ધર્મશાળા વચ્ચેનો જાહેર માર્ગ બિલ્ડર દ્વારા દરવાજો મૂકી બંધ કરી દેવાતાં સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ અંગે ગાયકવાડી-2 વિસ્તારમાં રહેતા યુનુસ હુસેનભાઈ જુણેજાએ સ્થાનિકો અને વેપારીઓ વતી અવાજ ઉઠાવી મનપા કમિશનરને તાત્કાલિક રજૂઆત કરી છે. જેમાં જણાવ્યા મુજબ ભાટીયા ધર્મશાળામાં બાંધકામ કરી રહેલા બિલ્ડરે કોઈપણ પ્રકારની પરવાનગી કે મંજૂરી વિના આ જાહેર રસ્તો બંધ કરી દીધો છે. જ્યારે લોકો અને વેપારીઓએ આ માર્ગ બંધ કરવા અંગે પૂછપરછ કરી, ત્યારે બિલ્ડરે અત્યંત ઉદ્ધત વર્તન કર્યું હતું. બિલ્ડરે દાદાગીરી કરતા જણાવ્યું હતું કે, આ માર્ગ પોતાની મરજીથી બંધ કર્યો છે અને તેના માટે કોઈની પરમિશનની જરૂર નથી. આ સાથે જ આર્થિક વહેવાર થતા હોવાનું કહી જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરવા જેવા ગેરવ્યાજબી જવાબો આપ્યા હતા. ત્યારે કોઈપણ મંજૂરી વગર જાહેર રસ્તો બંધ કરી દેનાર બિલ્ડર સામે કાર્યવાહી કરી આ જાહેર માર્ગ સત્વરે ખુલ્લો કરાવવા માંગ છે. રાજકોટ-લાલકુઆં ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવાયા પશ્ચિમ રેલવે દ્વારા આગામી તહેવારોની મોસમમાં મુસાફરોની વધારાની ભીડને ધ્યાનમાં રાખીને રાજકોટ-લાલકુઆં સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા મુજબ, ટ્રેન નંબર 05046/05045 રાજકોટ-લાલકુઆં ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનના બંને દિશામાં 9-9 વધારાના ફેરા વધારવામાં આવ્યા છે. નવા સમયપત્રક મુજબ, ટ્રેન નંબર 05046 રાજકોટ-લાલકુઆં સ્પેશિયલ 5 ઓક્ટોબરથી 30 નવેમ્બર, 2026 સુધી લંબાવાઈ છે. જ્યારે સામે પક્ષે ટ્રેન નંબર 05045 લાલકુઆં-રાજકોટ સ્પેશિયલ 4 ઓક્ટોબરથી 29 નવેમ્બર, 2026 સુધી સેવા આપશે. આ લંબાવવામાં આવેલા ફેરા માટે ટ્રેન નંબર 05046 નું એડવાન્સ ટિકિટ બુકિંગ 11 સપ્ટેમ્બર, 2026થી તમામ PRS કાઉન્ટરો અને IRCTCની વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનના રૂટ, વિવિધ સ્ટેશનો પર રોકાણ, સમય અને કોચની સંરચના સંબંધિત વધુ વિગતો માટે મુસાફરોને રેલવેની અધિકૃત વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવા જણાવાયું છે.
Read full article on Divya Bhaskar