business
ભરૂચ નગરપાલિકાની નાગરિકોને અપીલ બાદ મુદ્દો ચર્ચામાં:વરસાદી પાણીનો નિકાલ ભૂગર્ભ ગટર યોજનામાં ન કરવા અપીલ, વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવાની માંગ
ભરૂચ શહેરમાં ભૂગર્ભ ગટર યોજના-UGDમાં વરસાદી પાણીનો નિકાલ ન કરવા અંગે નગરપાલિકાની અપીલ બાદ મુદ્દો ચર્ચામાં આવ્યો છે. પાલિકા તંત્ર અને સામાજિક કાર્યકર વચ્ચે આ મામલે અલગ-અલગ મત સામે આવ્યા છે. પાલિકા ભૂગર્ભ ગટર યોજનાની સિસ્ટમને વરસાદી પાણીથી બચાવવાની જરૂરિયાત જણાવી રહી છે, જ્યારે સામાજિક કાર્યકરે વરસાદી પાણીના નિકાલ માટે શહેરમાં પૂરતી વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાનો આક્ષેપ કર્યો છે. મેનહોલના ઢાંકણા ખોલીને વરસાદી પાણી ન છોડવા અપીલ ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે જાહેર કરેલી પ્રેસનોટમાં નાગરિકોને UGDના મેનહોલના ઢાંકણા ખોલીને વરસાદી પાણીનો નિકાલ ન કરવા અપીલ કરી છે. પાલિકા મુજબ UGD મુખ્યત્વે ઘરેલું ગંદા પાણીના નિકાલ માટે બનાવવામાં આવી છે. વરસાદી પાણી સાથે માટી, કચરો અને અન્ય ઘન પદાર્થો ગટર લાઇનમાં પ્રવેશે તો લાઇન ચોક-અપ થવાની શક્યતા રહે છે. પમ્પિંગ સ્ટેશન અને STP પર પણ વધે છે ભારણ પાલિકાના જણાવ્યા મુજબ વરસાદી પાણીનો મોટો પ્રવાહ UGDમાં જવાથી પમ્પિંગ સ્ટેશન તેમજ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) પર વધારાનું ભારણ આવે છે. તેના કારણે ગટર વ્યવસ્થામાં ખામી સર્જાવાની સાથે ગંદા પાણીના બેકફ્લોની સમસ્યા પણ ઊભી થઈ શકે છે. સામાજિક કાર્યકરે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ કરી સામાજિક કાર્યકર ધવલ કનોજીયાએ પાલિકાની અપીલ સામે વાંધો ઉઠાવ્યો છે. તેમનું કહેવું છે કે વરસાદી પાણી UGDમાં ન છોડવાની અપીલ ટેકનિકલી યોગ્ય હોઈ શકે છે, પરંતુ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણીના કુદરતી નિકાલ માટેની કાંસો સહિતની વૈકલ્પિક વ્યવસ્થાઓ પર અસર પડી છે. ભારે વરસાદ દરમિયાન રસ્તાઓ અને શેરીઓમાં પાણી ભરાઈ જતાં નાગરિકો પાસે યોગ્ય વિકલ્પ ન હોવાથી તેઓ મજબૂરીવશ UGDના મેનહોલ તરફ વળે છે. સિસ્ટમ ચોક-અપ થવાની સાથે બેકફ્લોની સમસ્યા સર્જાઈ શકે : ચીફ ઓફિસર ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે સ્પષ્ટતા કરી છે કે UGD પાઇપલાઇનનો વ્યાસ મોટા પ્રમાણમાં વરસાદી પાણીના નિકાલ માટે પૂરતો નથી. વરસાદી પાણી UGDમાં છોડવામાં આવે તો સિસ્ટમ ચોક-અપ થવાની સાથે બેકફ્લોની સમસ્યા સર્જાઈ શકે છે. તેમણે નાગરિકોને વરસાદી પાણી ભરાય ત્યારે નગરપાલિકાનો સંપર્ક કરવા અપીલ કરી છે. UGD બચાવવાની સાથે વરસાદી પાણીનો નિકાલ કેવી રીતે થશે? પાલિકાની અપીલ બાદ હવે મુખ્ય સવાલ એ છે કે UGD સિસ્ટમને વરસાદી પાણીથી બચાવવાની સાથે ચોમાસા દરમિયાન શહેરના રસ્તાઓ અને રહેણાંક વિસ્તારોમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે કાયમી અને અસરકારક વૈકલ્પિક વ્યવસ્થા ક્યારે ઊભી કરવામાં આવશે. નાગરિકોની મુશ્કેલી દૂર કરવા માટે UGD અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાને અલગ રાખીને યોગ્ય ડ્રેનેજ સિસ્ટમ વિકસાવવાની જરૂરિયાત સામે આવી છે.
Read full article on Divya Bhaskar