top
સુરેન્દ્રનગરમાં 'રિફોર્મ ઉત્સવ' માટે કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ:સુશાસન, પ્રક્રિયાગત સુધારા અને જનભાગીદારી વધારવા પર ભાર મૂકાયો
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર જી.એચ. સોલંકીની અધ્યક્ષતામાં ‘રિફોર્મ ઉત્સવ’ના આયોજન અંગે કલેક્ટર કચેરી ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગના નિર્દેશ અનુસાર ઓક્ટોબરથી ડિસેમ્બર-2026 દરમિયાન સુશાસનમાં લોકોની ભાગીદારી વધારવાના હેતુથી આ વિશેષ અભિયાન હાથ ધરવામાં આવશે. વહીવટી વ્યવસ્થામાં કાયમી સુધારા લાવવાનો હેતુ બેઠકમાં વહીવટી પ્રક્રિયા અને માળખામાં જરૂરી સુધારા લાવી તેની સીધી અસર નાગરિકોને મળે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટર જી.એચ. સોલંકીએ સંકલન સમિતિના અધિકારીઓ સાથે કાર્યક્રમની તૈયારીઓ, આયોજન અને અસરકારક અમલીકરણ અંગે વિગતવાર ચર્ચા કરી હતી. કલેક્ટરે જણાવ્યું હતું કે, ‘રિફોર્મ ઉત્સવ’નો મુખ્ય હેતુ નાગરિકોની ફરિયાદો અને સમસ્યાઓનું વિશ્લેષણ કરી વહીવટી પદ્ધતિમાં કાયમી સુધારા લાવવા માટે રચનાત્મક સૂચનો મેળવવાનો છે. ગ્રામ પંચાયતથી લઈને જિલ્લા કક્ષા સુધી લોકોમાં જાગૃતિ ફેલાવી તેમના સુધારાત્મક વિચારો મેળવવામાં આવશે. નોટિસ બોર્ડથી સોશિયલ માધ્યમો સુધી પ્રચાર અભિયાન અંગે લોકો સુધી માહિતી પહોંચે તે માટે સરકારી કચેરીઓના નોટિસ બોર્ડ પર જરૂરી માહિતી પ્રદર્શિત કરવા, જાગૃતિ બેઠકો યોજવા તેમજ વિવિધ માધ્યમો દ્વારા પ્રચાર-પ્રસાર કરવા સૂચના આપવામાં આવી હતી. કચેરીના વડાઓએ સ્ટાફ બેઠકો યોજીને કર્મચારીઓ પાસેથી પણ વહીવટી સુધારા અંગે સૂચનો મેળવવાના રહેશે. મળેલા સૂચનોના આધારે એક્શન ટેકન રિપોર્ટ-ATR સરકાર સમક્ષ રજૂ કરવામાં આવશે. સ્વચ્છતા અને સરકારી યોજનાઓના અમલ પર ભાર બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. યાજ્ઞિકે સ્વચ્છતા અભિયાન અને સરકારી યોજનાઓના અસરકારક અમલીકરણ પર ભાર મૂક્યો હતો. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં હાઈવે પર જોવા મળતા પ્લાસ્ટિક કચરાનો યોગ્ય નિકાલ કરવા તેમજ વાવેલા છોડની યોગ્ય જાળવણી કરવા સૂચના આપવામાં આવી હતી. સરકારી કાર્યક્રમો સાદગીપૂર્વક યોજવા પણ તેમણે જણાવ્યું હતું. ‘સેવા સેતુ’ હેઠળ લાભાર્થીઓને વધુ લાભ ‘સેવા સેતુ’ કાર્યક્રમ હેઠળ જિલ્લામાં વધુમાં વધુ PMJAY કાર્ડનું વિતરણ થાય તે માટે સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત ગંગા સ્વરૂપા વિધવા સહાય અને વૃદ્ધ સહાય યોજનામાં 100 ટકા લાભાર્થીઓને આવરી લેવા તથા આંગણવાડીના બાળકો માટે બાકી રહેલું બાળ ઓળખ કવરેજ ઝડપથી પૂર્ણ કરવા પણ સંબંધિત અધિકારીઓને નિર્દેશ અપાયા હતા. ઓક્ટોબરમાં ‘જન મંથન’ તબક્કો ‘રિફોર્મ ઉત્સવ’ની કામગીરીના પ્રથમ તબક્કા તરીકે ઓક્ટોબર મહિનામાં ‘જન મંથન’ કાર્યક્રમ યોજાશે. ગ્રામ પંચાયત અને વોર્ડ કક્ષાએ સભાઓ, રેલીઓ અને વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ દરમિયાન MY Bharat વોલન્ટિયર્સ અને CSC કિયોસ્કની મદદથી નાગરિકો સ્થળ પર જ પોતાના સૂચનો ઓનલાઈન નોંધાવી શકશે. ‘વિમર્શ’ બાદ ‘જન સમાધાન’ અને ‘સંકલ્પ સિદ્ધિ’ જનતા પાસેથી મળેલા સૂચનોનું ત્યારબાદ ‘વિમર્શ’ તબક્કામાં વિશ્લેષણ કરવામાં આવશે. સૂચનોને ‘ક્વિક વિન્સ’, યોગ્ય સુધારા અને મધ્યમ ગાળાના સુધારા એમ અલગ-અલગ શ્રેણીમાં વહેંચવામાં આવશે. ડિસેમ્બર સુધીમાં ‘જન સમાધાન’ અને ‘સંકલ્પ સિદ્ધિ’ હેઠળ યોગ્ય સૂચનોનો અમલ કરવામાં આવશે. અધિકારીઓએ પડકારો અને સુધારા અંગે સૂચનો આપ્યા બેઠક દરમિયાન વિવિધ વિભાગોના અધિકારીઓએ પોતાની કામગીરી દરમિયાન આવતા પડકારો તેમજ તેમાં લાવી શકાય તેવા વહીવટી સુધારા અંગે મહત્વપૂર્ણ સૂચનો રજૂ કર્યા હતા. આ મનોમંથન બેઠકનો મુખ્ય ઉદ્દેશ લોકો અને વહીવટી તંત્ર વચ્ચે વધુ અસરકારક સંકલન સ્થાપિત કરવાનો રહ્યો હતો. ઉચ્ચ અધિકારીઓ પ્રત્યક્ષ, તાલુકા અધિકારીઓ VCથી જોડાયા બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર જે.કે. જાદવ, નાયબ પોલીસ અધિક્ષક વેદિકા બિહાની, નિવાસી અધિક કલેક્ટર વી.ડી. સાકરીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ભાવેશ દવે, જિલ્લા પુરવઠા અધિકારી એ.જી. ગજ્જર, વઢવાણ પ્રાંત અધિકારી મેહુલ ભરવાડ સહિત સંકલન સમિતિના તમામ ઉચ્ચ અધિકારીઓ પ્રત્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે તાલુકા કક્ષાએથી તમામ તાલુકાના પ્રાંત અધિકારીઓ, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠકમાં જોડાયા હતા.
Read full article on Divya Bhaskar