politics
વેરાવળમાં આવતીકાલે તિરંગા યાત્રા યોજાશે:ડો. આંબેડકર પાર્કથી શરૂ થઈ વિવિધ માર્ગો પર ફરશે, અધિકારીઓ-નાગરિકો જોડાશે
ગીર સોમનાથ જિલ્લામાં 'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત આવતીકાલે વેરાવળ ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા ટાવર ચોક પાસે આવેલા ડો. આંબેડકર પાર્કથી શરૂ થશે, જેમાં જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ, સામાજિક-શૈક્ષણિક સંસ્થાઓ, શાળાના વિદ્યાર્થીઓ અને નાગરિકો દેશભક્તિના રંગો સાથે જોડાશે. આ તિરંગા યાત્રા ડો. આંબેડકર પાર્કથી નીકળી સટ્ટા બજાર, સ્વામિનારાયણ મંદિર, સુભાષ રોડ, એમ.જી. રોડ, શાક માર્કેટ થઈને પરત ડો. આંબેડકર પાર્ક ખાતે સમાપ્ત થશે. આ યાત્રાનો મુખ્ય હેતુ નાગરિકોમાં દેશ માટે ગર્વની ભાવના પ્રબળ બનાવવાનો છે. યાત્રાની તૈયારીઓના ભાગરૂપે આજે વેરાવળ પ્રાંત ઓફિસ ખાતે પ્રાંત અધિકારી જે.વી. કાકડિયાના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અધિકારીઓ, પદાધિકારીઓ અને જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રાંત અધિકારીએ 'હર ઘર તિરંગા' અભિયાનને વધુ વેગવાન બનાવવા અને તિરંગાના સન્માનમાં દરેક નાગરિક સહભાગી બને તે માટે સુદ્રઢ આયોજન કરવા પર ભાર મૂક્યો હતો. રાષ્ટ્રાભિમાનના આ અવસરમાં જિલ્લાના સૌ નાગરિકો જોડાઈને દેશના ગર્વમાં સહભાગી બને તે માટે તિરંગા યાત્રા સહિતના કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત, તિરંગા યાત્રા સાથે સ્વચ્છતાનું અભિયાન પણ અગ્રેસર બનીને ચલાવવામાં આવશે, જેથી સ્વચ્છતા સાથે રાષ્ટ્રીય પર્વની ઉજવણી થઈ શકે. યુવા વિકાસ અધિકારી હરેશ મકવાણા અને ગ્રામ્ય મામલતદાર સંજય બારૈયાએ કાર્યક્રમની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, આ ઉજવણી દરમિયાન જિલ્લામાં નિબંધ સ્પર્ધા, ક્વિઝ સ્પર્ધા અને રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા કક્ષાની યાત્રાની સાથે તાલુકા કક્ષાએ પણ તિરંગા યાત્રાનું આયોજન કરાશે. 'હર ઘર તિરંગા'ની ઉજવણીમાં જિલ્લાના તમામ નાગરિકો ભાગ લે તે માટેના આયોજનની બેઠકમાં વેરાવળ શહેરની વિવિધ સામાજિક, શૈક્ષણિક, આરોગ્ય સંસ્થાઓ અને એન.જી.ઓ.ના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
Read full article on Divya Bhaskar