crime
બારામતીમાં ફરી એરક્રાફ્ટ દુર્ઘટના:બારામતી એરફિલ્ડ પર ટ્રેનર વિમાન રનવે પરથી લપસ્યું
મહારાષ્ટ્રના પુણે જિલ્લાના બારામતી એરફિલ્ડ પર રવિવારે તાલીમ કવાયત દરમિયાન એક ટ્રેનર વિમાન રનવે પરથી લપસી જતાં ચકચાર મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ વિમાનમાં કેપ્ટન ચિરાગ શશિકાંત દોઇફોડે અને કેડેટ અભિજીત જુન્દ્રે સવાર હતા. બંને સુરક્ષિત હોવાનું અને કોઈ જાનહાનિ કે ઈજા ન થઈ હોવાનું પોલીસે જણાવ્યું છે. પ્રારંભિક અહેવાલોમાં ઘટનાને ‘વિમાન દુર્ઘટના’ તરીકે રજૂ કરવામાં આવી હતી. જોકે, બારામતીના વિધાનસભ્ય અને ઉપ મુખ્યમંત્રી સુનેત્રા પવારે સ્પષ્ટતા કરી હતી કે વિમાન ક્રેશ થયું નથી અને તેણે ઉડાન પણ ભરી નહોતી. તેમના જણાવ્યા અનુસાર, વિમાન રનવે પર જ હતું અને વળાંક લેતી વખતે તેનું એક પૈડું રનવેની બાજુના ભાગમાં ફસાઈ ગયું હતું. સદનસીબે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ નહોતી.ઘટનાની જાણ થતાં પોલીસ તથા વહીવટી તંત્રના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકત્ર થયા હતા. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર મામલો વધુ ચર્ચામાં આવ્યો છે. વારંવાર આવી દુર્ઘટનાઓ ચિંતાજનક: ભાજપ નેતા પ્રવીણ દરેકરે ઘટનાને ગંભીર ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે આવી ઘટનાઓ વારંવાર બનવી ચિંતાનો વિષય છે. વિમાનમાં કોઈ ટેકનિકલ ખામી હતી કે અન્ય કોઈ કારણસર આ ઘટના બની તે અંગે સરકાર દ્વારા ગંભીરતાથી તપાસ થવી જોઈએ. તેમણે હવાઈ મુસાફરી દરમિયાન સલામતીને પણ પ્રાથમિકતા આપવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી. જાન્યુઆરીની દુર્ઘટનાની યાદો ફરી તાજી: બારામતી એરફિલ્ડ પરની આ ઘટના માત્ર એટલા માટે પણ મહત્વપૂર્ણ બની છે કારણ કે, ગત 28 જાન્યુઆરીના આ જ બારામતી એરપોર્ટ પર થયેલા વિમાન અકસ્માતમાં તત્કાલીન ઉપ મુખ્યમંત્રી અજિત પવાર સહિત પાંચ લોકોનાં મોત થયાં હતાં. તે અકસ્માત અંગેની પ્રાથમિક તપાસમાં બારામતી એરફિલ્ડની કેટલીક માળખાકીય અને ઓપરેશનલ મર્યાદાઓનો પણ ઉલ્લેખ થયો હતો.
Read full article on Divya Bhaskar