top
તિથલ સરપંચ પરના ભ્રષ્ટાચારના આક્ષેપો:તાલુકા પંચાયતની ટીમે તપાસ કરી, રાકેશ પટેલની માનહાનિનો દાવો કરવાની ચીમકી
વલસાડ તાલુકાના પ્રખ્યાત દરિયાકિનારાના વિસ્તાર તિથલ ગ્રામ પંચાયતના સરપંચ રાકેશ પટેલ વિરુદ્ધ તાજેતરમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો થયા હતા. આ મામલે તાલુકા પંચાયતની તપાસ ટીમે ગ્રામ પંચાયતના કામકાજ અને રેકોર્ડ્સની વિગતવાર તપાસ કરી હતી. તપાસ પૂરી થયા બાદ સોમવારે તિથલ ગ્રામ પંચાયતના સરપંચ રાકેશ પટેલે ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં હાજર ગ્રામજનોની હાજરીમાં એક ખાસ પત્રકાર પરિષદ બોલાવી હતી. પત્રકાર પરિષદમાં સરપંચ રાકેશ પટેલે આક્ષેપ કરનારાઓ સામે આકરા શબ્દોમાં જવાબ આપ્યો હતો. તેમણે સ્પષ્ટ કહ્યું કે, તેમના પર લગાવવામાં આવેલા તમામ આક્ષેપો સંપૂર્ણપણે પાયાવિહોણા, ખોટા અને રાજકીય અદાવતથી પ્રેરિત છે. ગામના વિકાસ કામો રોકવા અને તેમની સામાજિક પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના ઇરાદાથી આવા ખોટા આરોપો મૂકવામાં આવ્યા છે. સરપંચે વધુમાં જણાવ્યું કે, તાલુકા પંચાયતની તપાસ ટીમે તમામ દસ્તાવેજો અને સરકારી રેકોર્ડ્સ તપાસ્યા છે. તપાસનો સત્તાવાર અહેવાલ ટૂંક સમયમાં જાહેર થશે. અહેવાલ આવ્યા બાદ તેમની નિર્દોષતા સાબિત થતાં જ, તેમના વિરુદ્ધ અફવાઓ ફેલાવનારા અને ખોટા આક્ષેપો કરી તેમની છબી બગાડવાનો પ્રયાસ કરનારાઓ સામે તેઓ કોર્ટમાં માનહાનિનો કેસ કરશે. આ પ્રસંગે ગામના અનેક સ્થાનિક નાગરિકો અને પંચાયતના સભ્યો પણ સરપંચના સમર્થનમાં હાજર રહ્યા હતા. સરપંચ પટેલે ખાતરી આપી કે તેઓ તિથલ ગામના વિકાસ અને પારદર્શક વહીવટ માટે સતત પ્રતિબદ્ધ રહેશે. આવી કોઈ પણ ખોટી અફવાઓથી ડગ્યા વગર ગામના લોકોના ભલાના કામો ચાલુ રાખશે.
Read full article on Divya Bhaskar