business
તળાજા-મહુવાના રત્નકલાકારોએ કલેકટરને આવેદન પાઠવ્યું:ફિક્સ પગારમાં ભાવ વધારો અને પગાર બેન્ક ખાતામાં ચૂકવવા સહિતની માંગ, નવા ચાર લેબર કોડ-મજૂર કાયદાઓનું પાલન કરવા રજૂઆત
ભાવનગર જિલ્લાના તળાજા અને મહુવા તાલુકાના અંદાજે 30થી 35 હજાર રત્નકલાકારો છેલ્લા આઠ દિવસથી હડતાળ પર છે. વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા, આજ રોજ મોટી સંખ્યામાં કારીગરોએ જિલ્લા કલેક્ટર મનીષ કુમાર બંસલને આવેદનપત્ર પાઠવ્યું હતું. આગામી સમયમાં જો પ્રશ્નોનું નિવારણ નહીં આવે તો સમગ્ર જિલ્લામાં હીરા ઉદ્યોગ સંપૂર્ણપણે બંધ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. મોંઘવારી પ્રમાણે પગાર વધારો આપવા માગ કારીગરોની મુખ્ય માંગણીઓમાં મોંઘવારી મુજબ પર પીસ અને ફિક્સ પગારમાં 30 ટકાનો વધારો કરવો, દર મહિનાની 7 તારીખ સુધીમાં વેતન આપવું અને પગાર સીધો બેંક ખાતામાં જમા કરાવવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મહિલા કામદારો માટે સમાન કામ સમાન વેતન, 100 ટકા હીરા જમા લેવા, મફતમાં કામ કરાવવાની પ્રથા બંધ કરવી તથા નવા ચાર લેબર કોડ અને મજૂર કાયદાઓનું ચુસ્તપણે પાલન કરવાની માંગ કરાઈ છે. હડતાળમાં જોડાયેલા કારીગરોને નોકરીમાંથી છૂટા ન કરવા કે હેરાન ન કરવાની પણ અપીલ કરાઈ છે. કારીગરોની આર્થિક કપરી સ્થિતિ રત્નકલાકાર આદેશ બારૈયાએ જણાવ્યું કે, મોંઘવારી બમણી થઈ હોવા છતાં છેલ્લા 6-7 વર્ષથી કારીગરોના ભાવમાં એક પણ રૂપિયાનો વધારો કરાયો નથી. સાતમ-આઠમ અને રક્ષાબંધન જેવા તહેવારો નજીક હોવાથી પરિવારનું ઘર-ગુજરાન ચલાવવું ખૂબ મુશ્કેલ બન્યું છે. ડાયમંડ વર્કર યુનિયનના હોદ્દેદારો ભગવાનદાસ દાણીધરીયા અને ભાવેશ ટાંકના જણાવ્યા મુજબ, લેબર ડિપાર્ટમેન્ટની બેઠકમાં માલિકો તરફથી કોઈ પ્રતિસાદ ન મળતા કલેક્ટરને રજૂઆત કરવી પડી છે. કલેક્ટરે ટૂંક સમયમાં બેઠક યોજી નિવારણ લાવવાનું આશ્વાસન આપ્યું છે.
Read full article on Divya Bhaskar