crime
નાસીરનગરના લોકોને સુમન વાણીમાં આવાસ ના ફાળવવા રજૂઆત:મનપા કચેરીએ આવેદનપત્ર આપી વેઇટિંગમાં રહેલા અરજદારોને પ્રાથમિકતા આપવા ઉગ્ર માંગ
સુરત મહાનગરપાલિકા દ્વારા નાસીરનગર ડિમોલીશનના અસરગ્રસ્તોના પુનર્વસન માટે હાથ ધરાયેલી કામગીરી સામે સ્થાનિકોનો વિરોધ દિન-પ્રતિદિન વધુ તીવ્ર બની રહ્યો છે. આ કવાયતના ભાગરૂપે આજે સાંજે જહાંગીરાબાદ સ્થિત સુમન વાણી પ્રધાનમંત્રી આવાસ યોજનાના સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી તાપી ભવન ખાતે એકત્રિત થયા હતા. સ્થાનિકોએ પાલિકાના પદાધિકારીઓને આવેદનપત્ર પાઠવીને સ્પષ્ટ માંગ કરી હતી કે નાસીરનગરના અસરગ્રસ્ત લાભાર્થીઓને સુમન વાણી આવાસમાં ફ્લેટ ફાળવવામાં ન આવે. મનપાના પદાધિકારીઓને રજૂઆત કરતા સુમન વાણી આવાસના સ્થાનિકોએ જણાવ્યું હતું કે, ડિમોલીશનના અસરગ્રસ્તોને અહીં ફ્લેટ આપવા માટેની તંત્ર દ્વારા તૈયારીઓ ચાલી રહી હોવાનું ધ્યાને આવ્યું છે. પરંતુ આવા કોઈ પણ નિર્ણય લેતા પહેલા હાલમાં ત્યાં શાંતિથી રહેતા પરિવારજનોના હિત, સુરક્ષા અને સુવિધાઓને પ્રાથમિકતા આપવી જરૂરી છે. સ્થાનિકોએ એવી પણ ભીતિ વ્યક્ત કરી હતી કે જો એક જ સાથે મોટી સંખ્યામાં ચોક્કસ સમુદાયના લોકોને ફ્લેટ ફાળવી દેવામાં આવશે, તો વસતીનું સંતુલન બગડવાથી ભવિષ્યમાં સામાજિક સમીકરણો પર વિપરીત અસર પડી શકે છે અને સુરક્ષાનો પ્રશ્ન ઊભો થઈ શકે છે. ‘રાહ જોઈને બેઠા છે તેને પહેલા ઘર ફાળવો’ રજૂઆત દરમિયાન સ્થાનિક મહિલા રહીશ અમીશાબેન નાઈકમે મનપા તંત્ર સામે પોતાનો રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, જે ગરીબ અને મધ્યમવર્ગીય લોકોએ વર્ષોથી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ફોર્મ ભર્યા છે અને નાણાં ભરીને ફ્લેટ મેળવવા માટે લાંબા સમયથી વેટિંગમાં રાહ જોઈને બેઠા છે, તંત્રએ સૌપ્રથમ તેમને ઘર ફાળવવું જોઈએ. જે લોકો નૈતિક રીતે પોતાની વારાની રાહ જોઈ રહ્યા છે તેમને અન્યાય કરીને નાસીરનગરના લોકોને સીધા જ ફ્લેટ આપી દેવા તે યોગ્ય નથી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે તેમના આવાસ સંકુલમાં 6 જેટલા ટાવર આવેલા છે, જેમાં નવસો જેટલા મકાનોમાંથી મોટાભાગના ભરાયેલા છે અને આશરે સો-દોઢસો જેટલા ફ્લેટ જ ખાલી છે. આ ખાલી મકાનો વેટિંગમાં રહેલા અરજદારોને આપવા જોઈએ. ઉલ્લેખનીય છે કે નાસીરનગરના અસરગ્રસ્તોને આવાસ ફાળવવા સામે વિરોધનો આ પ્રથમ બનાવ નથી. આ અગાઉ જહાંગીરપુરા સ્થિત સુમન મૈત્રી આવાસના રહીશોએ પણ પાલિકામાં મોરચો માંડીને નાસીરનગરના લોકોને ત્યાં મકાન ન આપવા રજૂઆત કરી હતી. તે પૂર્વે કતારગામ ગોટાલાવાડી ખાતે આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજનાના રહીશોએ પણ આ જ પ્રકારે ભારે વિરોધ દર્શાવ્યો હતો. આ રીતે સુરતના અલગ-અલગ વિસ્તારોમાંથી એક પછી એક નાસીરનગરના અસરગ્રસ્તોના પુનર્વસનનો વિરોધ થઈ રહ્યો છે. બીજી તરફ પાલિકા તંત્ર ઝડપથી આવાસ ફાળવણીની કામગીરી આટોપવા માંગે છે, જેને કારણે આગામી દિવસોમાં આ મુદ્દે સ્થાનિકો અને તંત્ર વચ્ચે ઘર્ષણ વધતા પરિસ્થિતિ વધુ ગંભીર બને તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે.
Read full article on Divya Bhaskar