business
નારોલમાં ₹50 કરોડનો પ્રોજેક્ટ માત્ર ₹6.25 કરોડમાં પચાવી પાડ્યો:₹16 કરોડના વેચાયેલા ફ્લેટ-દુકાનો ફરી હરાજીમાં બતાવ્યા, બેંકના પૂર્વ CEO અને રિકવરી અધિકારીઓ સામે FIR
અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં આવેલી કરોડો રૂપિયાની કિંમતી 7 હજાર વાર જમીન અને તેના પર નિર્માણ પામેલા 'હાઇફાઇ-25' પ્રોજેક્ટને સુનિયોજિત ષડયંત્ર રચીને કવડી મોલે પચાવી પાડવાનું મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. બજારમાં આશરે ₹50 કરોડ અને જંત્રી મુજબ ₹35થી ₹40 કરોડની કિંમત ધરાવતી આ મિલકતને મહેસાણા અર્બન કો.ઓપરેટિવ બેંકના પૂર્વ CEO અને CFM એસેટ રિકવરી કંપનીના અધિકારીઓએ મેળાપીપણું કરીને માત્ર ₹6.25 કરોડની નજીવી વેલ્યુએશન દર્શાવી વેચી મારી હતી. આ સમગ્ર મામલે નારોલ પોલીસ મથકે બેંકના નિવૃત્ત CEO સહિત 5 શખ્સો સામે છેતરપિંડી અને વિશ્વાસઘાત સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ₹5 કરોડની લોન સામે કરોડોનો પ્રોજેક્ટ NPA તરફ ધકેલાયો થલતેજ વિસ્તારમાં રહેતા અને કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલા 49 વર્ષીય બિલ્ડર જતિન દિલીપભાઈ જાનીએ નારોલ ખાતે વર્ષ 2013 માં 'હાઇફાઇ-25' નામથી 192 ફ્લેટ અને 38 દુકાનોનો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. આ પ્રોજેક્ટના બાંધકામ માટે મહેસાણા અર્બન કો.ઓપરેટિવ બેંકમાંથી ₹5 કરોડની પ્રોજેક્ટ લોન લેવામાં આવી હતી. ફરિયાદમાં કરાયેલા ગંભીર આક્ષેપ અનુસાર, લોન મંજૂર કરવાના વહીવટ પેટે તત્કાલીન બેંક CEO દ્વારા ₹40 લાખની રકમ પણ બળજબરીપૂર્વક પડાવી લેવાઈ હતી. બાદમાં પ્રોજેક્ટમાં ભાગીદારો બદલાતાં લોન ભરપાઈ બાબતે બેંક અધિકારીઓ સાથે વિવાદ શરૂ થયો હતો. મોરેટોરિયમ નિયમોનો ઉલાળિયો કરી માત્ર 3 દિવસમાં હરાજી કરી દીધી વર્ષ 2020 માં જ્યારે સમગ્ર દેશ કોરોના મહામારી અને લોકડાઉનનો સામનો કરી રહ્યો હતો ત્યારે RBI દ્વારા તમામ લોનધારકોને મોરેટોરિયમ આપવાની સ્પષ્ટ સૂચનાઓ હોવા છતાં, બેંક અને રિકવરી કંપનીએ કાવતરું ઘડી કાઢ્યું હતું. સરફેસી એક્ટ હેઠળ નિયમ મુજબ 60 દિવસની નોટિસ આપવાના બદલે માત્ર 3 જ દિવસમાં પ્રોજેક્ટની હરાજી પ્રક્રિયા હાથ ધરી દેવાઈ હતી. લોનધારક લોનની રકમ કે ચેક જમા કરાવવા તૈયાર હોવા છતાં બેંક તંત્રએ નાણાં સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. પ્રોજેક્ટમાં ₹16 કરોડના યુનિટો અગાઉ ગ્રાહકોને વેચાઈ ગયા હોવા છતાં તે રકમ બાદ કર્યા વગર જ આખા પ્રોજેક્ટની ખોટી વેલ્યુએશન ₹6.25 કરોડ દર્શાવીને ઓછા સર્ક્યુલેશનવાળા અખબારોમાં જાહેરાત આપી સામાન્ય ખરીદદારોને અંધારામાં રખાયા હતા. ડિપોઝિટ પરત કરી મળતિયાઓને પ્રોજેક્ટ પધરાવ્યો તપાસ દરમિયાન સામે આવ્યું છે કે પ્રવિણ કેશવલાલ પટેલ નામના શખ્સે બનાવટી બિડર બનીને ₹1.56 કરોડની ડિપોઝિટ ભરી હતી. બાદમાં તે હરાજીમાંથી ખસી જતાં નિયમ મુજબ ડિપોઝિટ જપ્ત કરવાને બદલે બેંકે તેને નાણાં પરત કરી દીધા હતા. ત્યારબાદ પ્રવિણે પોતાના મળતિયા દિનેશ પ્રભુદાસ પટેલના ખાતામાં ₹6 કરોડથી વધુ રકમ ટ્રાન્સફર કરાવી આખો પ્રોજેક્ટ પોતાના નામે કરાવી લીધો હતો. નારોલ પોલીસે બિલ્ડર જતિન જાનીની ફરિયાદ પર મહેસાણા અર્બન બેંકના તત્કાલીન CEO વિનોદકુમાર મણીભાઈ પટેલ, રિકવરી અધિકારી એસ. વી. શાહ, મોહમ્મદ ઇરફાન વ્હોરા, પ્રવિણ પટેલ અને દિનેશ પટેલ સામે ગુનો નોંધી વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar