top
માન દરવાજા ટેનામેન્ટ રિ-ડેવલપમેન્ટનો માર્ગ મોકળો બન્યો:સુરતમાં ભાખડ મહોલ્લાના 64 પરિવારોનું શાંતિપૂર્ણ સ્થળાંતર;વિસ્થાપિતને અડાજણમાં પાલિકા આવાસ ફાળવાયા
સુરત શહેરના રિંગરોડ વિસ્તારમાં આકાર લઈ રહેલા મહત્ત્વકાંક્ષી માન દરવાજા ટેનામેન્ટ રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટના માર્ગમાં ઊભી થયેલી અડચણનો આખરે સુખદ અંત આવ્યો છે. પ્રોજેક્ટની જગ્યાને અડીને આવેલા ભાખડ મહોલ્લાના 64 જેટલા પરિવારોના મકાનો કામગીરીમાં નડતરરૂપ બનતા હોવાથી પાલિકાના લિંબાયત ઝોન દ્વારા આ તમામ પરિવારોનું વિસ્થાપન અને સ્થળાંતર કરવાની તજવીજ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. બાંધકામમાં નડતરરૂપ 64 મિલકતોના ઉકેલ માટે ડ્રો યોજાયો માન દરવાજા ખાતે આવેલા અત્યંત જર્જરિત ટેનામેન્ટોને તોડી પાડ્યા બાદ એક ઇજારદારે રિ-ડેવલપમેન્ટની જવાબદારી સંભાળી હતી. જોકે બાજુમાં સ્થિત ભાખડ મહોલ્લાની 64 મિલકતોના કારણે સાઇટ પરનું બાંધકામ અટકી પડ્યું હતું. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે લિંબાયત ઝોન દ્વારા ગત મે મહિનામાં પારદર્શક ડ્રો યોજીને તમામ 64 અસરગ્રસ્ત પરિવારોને અડાજણ ખાતે પાલિકાના આવાસ ફાળવી દેવામાં આવ્યા હતા. ચોમાસાને કારણે અટકેલું સ્થળાંતર ફરી શરૂ કરાયું જુલાઈ મહિનામાં ચોમાસાની ઋતુ અને ખાડી પૂરની વિકટ પરિસ્થિતિ નિર્માણ થતાં અસરગ્રસ્ત પરિવારોએ તે સમયે ઘર ખાલી કરવામાં અસમર્થતા દર્શાવી હતી, જેથી સ્થળાંતર મોકૂફ રખાયું હતું. ચોમાસાની સ્થિતિ થાળે પડતાં આખરે તંત્ર દ્વારા સ્થળાંતરની આખરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કોઈપણ વિરોધ વિના સ્થાનિકોના સહયોગથી કામગીરી પૂર્ણ સંભવિત ઘર્ષણ કે અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. જોકે સ્થાનિક મકાનમાલિકોએ કોઈપણ પ્રકારનો વિરોધ નોંધાવ્યા વિના સંપૂર્ણ સહયોગ આપતાં સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પાર પડી હતી. આ સ્થળાંતર પૂર્ણ થતાં જ હવે માન દરવાજા રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટની કામગીરી ઝડપભેર આગળ ધપાવવાનો માર્ગ મોકળો બન્યો છે.
Read full article on Divya Bhaskar