top
કતલખાને જતી 10 ભેંસોનો આબાદ બચાવ:ચોટીલા ગૌરક્ષક ટીમે શ્રાવણ માસ અને પર્યુષણ પર્વ દરમિયાન બચાવી, પોલીસના સહયોગથી કાર્યવાહી
ચોટીલા ગૌરક્ષક ટીમ અને ગૌભક્તોએ પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે અને જૈન સમાજના પર્યુષણ પર્વ દરમિયાન કતલખાને લઈ જવાતી 10 ભેંસોને બચાવી છે. ચોટીલા પોલીસે આ કામગીરીમાં સહયોગ આપી કાયદેસરની કાર્યવાહી કરી હતી. ચોટીલા ગૌરક્ષક ટીમને રાજકોટ તરફથી ચોટીલા આવી રહેલી એક અશોક લેલેન્ડ ટોરસ ગાડી માં ગેરકાયદેસર રીતે પશુઓની તસ્કરી થતી હોવાની બાતમી મળી હતી. આ માહિતીના આધારે ગૌરક્ષક ટીમે તરત વોચ ગોઠવી હતી. શંકાસ્પદ ગાડી પસાર થતા જ તેને રોકીને પૂછપરછ કરાઈ હતી. તપાસમાં વાહનચાલક કે જવાબદારો પાસે પશુઓની હેરફેર માટે કોઈ પાસ-પરમિટ, RTO ની મંજૂરી કે પશુ ચિકિત્સકનો દાખલો મળ્યો ન હતો. સરકારના નિયમોનું ઉલ્લંઘન કરીને પશુઓને ક્રૂરતાપૂર્વક કતલખાને લઈ જવાઈ રહ્યા હતા. ઘટનાની ગંભીરતા જોઈને તરત પશુ ચિકિત્સકને સ્થળ પર બોલાવી પશુઓનું મેડિકલ ચેકઅપ કરાવાયું. ડોક્ટરે પ્રાથમિક તપાસ બાદ સાફ જણાવ્યું કે આ પશુઓને કતલખાને જ લઈ જવાઈ રહ્યા હતા. ગાડીમાંથી કુલ 10 ભેંસો ખૂબ ટૂંકા દોરડાથી ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં મળી આવી હતી. વાહનમાં પશુઓ માટે ઘાસચારા કે પાણીની કોઈ સુવિધા ન હતી. આ બાબતે તરત ચોટીલા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરાયો હતો. પોલીસે સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી કરી હતી. ચોટીલા ગૌરક્ષક ટીમની સમયસૂચકતાને કારણે કતલખાને ધકેલાતી 10 ભેંસોને નવજીવન મળ્યું છે. આ સફળ કામગીરીમાં ચોટીલા પોલીસ તરફથી સારો અને ઝડપી સહયોગ મળ્યો હતો. તે બદલ ચોટીલા ગૌરક્ષક ટીમે ચોટીલા પોલીસ પરિવારનો આભાર માન્યો છે. આ કામગીરી કરનાર ગૌરક્ષક ટીમમાં હરેશભાઈ ચૌહાણ (અધ્યક્ષ, ગૌ સંવર્ધન ટ્રસ્ટ - ન્યુ દિલ્હી), જયનીલ ઉપાધ્યાય, વિપુલભાઈ સાકરિયા, અમિતભાઈ મકવાણા, રઘુદાદા (અંધ-અપંગ ગાયોની ગૌશાળાના સંચાલક) અને અનિલભાઈ બોરાણાનો સમાવેશ થાય છે.
Read full article on Divya Bhaskar