top
કોળીયાકના દરિયાકિનારે ભાદરવી અમાસના લોકમેળામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે:એક ASP, 8 PI, 14 PSI સાથે 1021 પોલીસ, હોમગાર્ડ-GRD ફરજ બજાવશે
ભાવનગરના ઐતિહાસિક તીર્થધામ કોળીયાક ખાતે નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં યોજાનાર ભાદરવી અમાસના મહામેળામાં મોટી સંખ્યમાં શ્રદ્ધાળુઓ પવિત્ર સમુદ્ર સ્નાન માટે ઉમટી પડશે ત્યારે મેળામાં પોલીસ તંત્રનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે જેમાં એક ASP, 8 PI અને 14 PSI સહિત 1021થી વધુ પોલીસ, હોમગાર્ડ અને GRD જવાનો તૈનાત રહેશે તેમજ ડ્રોન કેમેરા અને CCTVથી મેળા સરહદ પર 24 કલાક મોનિટરિંગ કરાશે. ટ્રાફિક વ્યવસ્થા અને ભક્તોની સુરક્ષા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ભાવનગર તાલુકાના ઐતિહાસિક અને પવિત્ર તીર્થધામ કોળીયાક ખાતે આગામી તા.10 અને 11 સપ્ટેમ્બરના રોજ યોજાનાર ભાદરવી અમાસના મહામેળામાં લાખો શ્રદ્ધાળુઓ નિષ્કલંક મહાદેવના દર્શનાર્થે તેમજ પવિત્ર સમુદ્ર સ્નાન માટે આવતા હોય છે. આ વિશાળ લોકમેળામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે, ટ્રાફિકનું સુચારૂ નિયમન થાય અને દરેક નાગરિક સુરક્ષિત વાતાવરણમાં દર્શન કરી શકે તે માટે ASP ઘનશ્યામ ગૌતમના માર્ગદર્શન હેઠળ ભાવનગર ગ્રામ્ય વિભાગ હેઠળના ઘોઘા પોલીસ સ્ટેશન દ્વારા સઘન અને અભેદ સુરક્ષા આયોજન પૂર્ણ કરવામાં આવ્યું છે. મેળા પર વોચ રાખવા માટે CCTV અને ડ્રોનની પણ મદદ લેવાશે બંદોબસ્તને વિવિધ સેક્ટરોમાં વિભાજીત કરી અનુભવી અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં એક ASP, 8 PI, 14 PSI સહિત 1021 પોલીસકર્મીઓ જેમાં પોલીસ જવાનો, સાગર રક્ષક દળ (SRD), ગ્રામ રક્ષક દળ, હોમગાર્ડ્સ તેમજ તાલીમ બદ્ધ સ્વયંસેવકો ખડેપગે તૈનાત રહેશે. આ આખા મેળાના સુપરવિઝનમાં CCTV અને ડ્રોનનો પણ ઉપયોગ કરાશે. સમુદ્ર કિનારે તેમજ સમગ્ર મેળા પરિસરમાં આકાશમાંથી સતત બાજ નજર રાખવા માટે હાઈ-રિઝોલ્યુશન ડ્રોન કેમેરા પેટ્રોલિંગ કરશે. જ્યારે સમગ્ર મેળા બંદોબસ્ત અનવ્યે કોળીયાક ગામ તરફ આવતા તમામ મુખ્ય માર્ગો, પાર્કિંગ પ્લોટસ અને દરિયાકાંઠાના વિસ્તારોને આવરી લેતા હંગામી CCTV સ્થાપિત કરવામાં આવ્યા છે. દરિયાકિનારે ઊંચા વોચ ટાવર પરથી દૂરબીન અને વાયરલેસ સેટ સાથે સતત વોચ રાખવામાં આવશે તેમજ દરિયામાં તરવૈયાઓ સાથે સજ્જ રેસ્ક્યુ બોટ સ્ટેન્ડબાય રખાઈ છે. અમાસના મેળાને લઈને કંટ્રોલરુમ 24 કલાક કાર્યરત રહેશે ભાદરવી અમાસના મેળાને લઈ કોળીયાક ખાતે 24 કલાક કાર્યરત રહે તેવો અદ્યતન કંટ્રોલ રૂમ તૈયાર કરાયો છે. જ્યાંથી સીસીટીવી અને ડ્રોન ફૂટેજનું રિયલ-ટાઈમ મોનિટરિંગ કરવામાં આવશે. તેમજ મહિલાઓ, બાળકો અને વડીલોની સુરક્ષા માટે ખાસ તાલીમ પામેલી શી ટીમો સતત કાર્યરત રહેશે. મહિલા ચેન્જિંગ રૂમ્સ અને ગીચતા ધરાવતા વિસ્તારોમાં છેડતી કે અસભ્ય વર્તણૂક કરનારા તત્વો સામે તાત્કાલિક કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. મેળા દરમિયાન ભાવિક ભક્તોની ભીડ ઉમટી પડતી હોય છે ત્યારે કિંમતી સામાન, મોબાઈલ ચોરી કે ચેઈન સ્નેચિંગ જેવી ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા માટે લોકલ ક્રાઈમ બ્રાન્ચ તથા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમો ભીડ વચ્ચે ખાનગી વોચ રાખશે. તેમજ આડી સડક ચોકડીથી મંદિર સુધીના માર્ગ પર પોલીસ મોટરસાયકલ અને ફોર-વ્હીલર પેટ્રોલિંગ સતત ચાલુ રહેશે. જ્યારે દરિયાકાંઠે ઈમરજન્સી એમ્બ્યુલન્સ અને ઘોઘા સીએચસી ખાતે ખાસ ICU બેડની સુવિધા સુનિશ્ચિત કરવામાં આવી છે. આયોજન માત્ર પોલીસ પૂરતું સીમિત ન રહેતા જિલ્લા વહીવટી તંત્રના તમામ વિભાગો સાથે સંકલનમાં રહી ’હોલ ઓફ ગવર્નમેન્ટ' અભિગમ હેઠળ હાથ ધરવામાં આવ્યુ છે.
Read full article on Divya Bhaskar