top
ખાખરેચી જૈન દેરાસરમાં ભગવાનની મૂર્તિ પરથી આભૂષણ ચોરાયા, CCTV:દર્શનના બહાને આવેલા શખસે હાર ચોરીને અંજામ આપ્યો, વીડિયો વાયરલ
મોરબીના માળીયા તાલુકાના ખાખરેચી ગામે આવેલા જૈન દેરાસરમાં ધોળા દિવસે ચોરી થઈ છે. દર્શન કરવાના બહાને આવેલા એક શખ્સે ભગવાનની મૂર્તિ પરથી હાર ચોરી લીધો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અને તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. હાલમાં જૈન સમાજનો પર્યુષણ પર્વ ચાલી રહ્યો છે, ત્યારે આ ચોરીની ઘટના બની છે. સ્થાનિક લોકો પાસેથી મળેલી માહિતી મુજબ, 7 સપ્ટેમ્બરના રોજ સવારે 11:18 વાગ્યે એક અજાણ્યો શખ્સ દેરાસરમાં દર્શન કરવા આવ્યો હતો. માત્ર બે જ મિનિટમાં, એટલે કે 11:20 વાગ્યે, તે મંદિરની બહાર નીકળી ગયો હતો. આ બે મિનિટમાં તેણે ભગવાનની મૂર્તિ પર ચડાવેલો હાર ચોરી લીધો હતો. ચોરી કરનાર શખ્સ ખાખરેચી ગામમાં બિન્દાસ આંટાફેરા કરતો હોય તેવા વિડીયો પણ સામે આવ્યા છે. તે રામજી મંદિરમાં પણ ગયો હોવાના વિડીયો મળ્યા છે, જેથી ત્યાં પણ ચોરી થઈ છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે. જોકે, આ બનાવ અંગે હજુ સુધી માળીયા તાલુકા પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ નોંધાઈ નથી. મોરબી જિલ્લામાં બાઈક ચોરી, વાહન ચોરી, ઘરફોડ ચોરી, કોપર વાયર ચોરી અને મંદિરમાંથી આભૂષણ ચોરી જેવી ઘટનાઓ વારંવાર બની રહી છે. આનાથી પોલીસના નાઈટ પેટ્રોલિંગ અને કામગીરી સામે સવાલો ઊભા થયા છે.
Read full article on Divya Bhaskar