crime
ખાડામાં ખાબકવાથી મોત છતાં મનપા અંધારામાં:ક્યાંક દિવસે લાઈટો ચાલુ તો ક્યાંક રાત્રે અંધારપટ, બંધ સ્ટ્રીટ લાઈટની ફરિયાદનો આંકડો આપવાનો ઈન્કાર
સુરત મહાનગરપાલિકાના લાઈટ એન્ડ ફાયર વિભાગની ઘોર બેદરકારીના કારણે શહેરમાં એક દુઃખદ અને ગંભીર ઘટના સામે આવી છે. શહેરના મુખ્ય રસ્તાઓ અને શેરીઓમાં સ્ટ્રીટ લાઈટો બંધ હોવાના પરિણામે અંધારામાં રસ્તા પરનો ખાડો ન દેખાતાં એક નિર્દોષ નાગરિકનું ખાડામાં ખાબકવાથી કરૂણ મોત નીપજ્યું હતું. આટલી મોટી અને જાનલેવા દુર્ઘટના ઘટ્યા બાદ પણ સુરત મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગવાનું નામ લઈ રહ્યું નથી. સ્થાનિક રહીશોમાં આ ઘટનાને પગલે ભારે આક્રોશ અને રોષની લાગણી વ્યાપી ગઈ છે, છતાં મનપાના અધિકારીઓ આ બાબતે તદ્દન નિષ્ક્રિય અને બિનજવાબદાર વલણ દાખવી રહ્યા હોય તેમ સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે. ક્યાંક સ્ટ્રીટલાઈટો બંધ તો ક્યાંક દિવસે પણ ચાલું દિવ્ય ભાસ્કર દ્વારા કરવામાં આવેલા ગ્રાઉન્ડ રિપોર્ટમાં સુરત શહેરના વિવિધ વિસ્તારોની વરવી વાસ્તવિકતા ખુલ્લી પડી ગઈ છે. શહેરના પોશ વિસ્તારોથી લઈને છેવાડાના સ્લમ વિસ્તારો સુધી લગભગ મોટાભાગના વિસ્તારોમાં અમુક અમુક જગ્યાએ સ્ટ્રીટ લાઈટો તદ્દન બંધ હાલતમાં જોવા મળી રહી છે. માત્ર લાઈટો બંધ રહેવાની જ સમસ્યા નથી, પરંતુ અનેક સ્થળોએ સ્ટ્રીટ લાઈટના થાંભલાઓ પર લગાવેલા પ્લાસ્ટિકના બોક્સ ખુલ્લા પડી ગયા છે અને તેમાંથી ઘાતક વાયરો બહાર લબડી રહ્યા છે. હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી હોવાથી આ ખુલ્લા લબડતા વાયરોમાં કરંટ ઊતરવાનો અને કોઈ નિર્દોષ નાગરિક કે પશુ એનો ભોગ બને તેવો ભારે ભય સેવાઈ રહ્યો છે. આમ છતાં લાઈટ વિભાગ દ્વારા આવા જોખમી થાંભલાઓનું સમારકામ કરવામાં કોઈ ઝડપ દાખવવામાં આવી રહી નથી. મનપાના લાઈટ વિભાગની વિચિત્ર અને અણઘડ કામગીરી પણ દિવ્ય ભાસ્કરના આ તપાસમાં છતી થઈ હતી. એક તરફ રાત્રિના સમયે જ્યારે વાહનચાલકો અને રાહદારીઓને રોશનીની સૌથી વધુ જરૂર હોય છે ત્યારે અનેક મુખ્ય માર્ગો પર ઘોર અંધારપટ છવાયેલો રહે છે, તો બીજી તરફ શહેરના અમુક વિસ્તારોમાં સવારના 10:00 વાગ્યા પછી પણ સ્ટ્રીટ લાઈટો ચાલુ જોવા મળી હતી. આટલી ગંભીર બેદરકારી હોવા છતાં અને વીજળીનો સરેઆમ બગાડ થતો હોવા છતાં તંત્ર દ્વારા આ બાબતે કોઈ કડક પગલાં લેવામાં આવતા નથી. સુરત મહાનગરપાલિકા પાસે બંધ સ્ટ્રીટલાઈટની ફરિયાદનો આંકડો જ નથી આ સમગ્ર મામલે પારદર્શિતાનો અભાવ પણ સામે આવ્યો છે. દિવ્ય ભાસ્કરની ટીમે જ્યારે સુરત મહાનગરપાલિકાના કમ્પ્લેન વિભાગ પાસે પહોંચીને આંકડાકીય માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો કે શહેરભરમાંથી સ્ટ્રીટ લાઈટ બંધ હોવા અંગેની કેટલી ફરિયાદો મળી છે અને તેમાંથી કેટલી ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે, ત્યારે કમ્પ્લેન વિભાગના અધિકારીઓએ આંકડા આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. ડેટા છુપાવવાનો આ પ્રયાસ મનપાની કામગીરી પર અનેક શંકા-કુશંકાઓ ઊભી કરે છે. આ બાબતે લાઈટ એન્ડ ફાયર સમિતિના ચેરમેન સોનુબેન આંબલીયાનો સંપર્ક કરવામાં આવતાં તેમણે તંત્રનો બચાવ કરતા જણાવ્યું હતું કે, હાલ ચોમાસાની મોસમ ચાલી રહી હોવાથી ટેકનિકલ કારણોસર અનેક જગ્યાએ લાઈટો બંધ થવાની સમસ્યાઓ ઊભી થતી હોય છે. તેમણે દાવો કર્યો હતો કે વિભાગ દ્વારા તેને રિપેર કરવાની કામગીરી સતત ચાલુ જ રાખવામાં આવી છે. જોકે, તેમણે કોઈ ચોક્કસ આંકડો આપવાનો ઇનકાર કરતાં ઉમેર્યું હતું કે અમુક જગ્યાએ તાત્કાલિક રીપેરીંગ થઈ જતું હોય છે, જ્યારે અમુક સ્થળે બે થી પાંચ કલાક થાય છે અને જો કોઈ મોટો ટેકનિકલ ઇસ્યુ હોય તો બે થી ત્રણ દિવસનો સમય પણ લાગી જતો હોય છે, જેના કારણે ચોક્કસ આંકડો આપવો મુશ્કેલ છે.
Read full article on Divya Bhaskar