top
ઈટાલિયાએ જ્યાં બેસી પરીક્ષા આપી તે સ્થળને લઈ વિવાદ:કોંગ્રેસે કહ્યું- ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ.ના પરીક્ષા ખંડમાં CCTV અને ફાયર NOCનો અભાવ, કુલપતિએ કહ્યું- 'ઘણા અમને બદનામ કરે છે'
જૂનાગઢ સ્થિત ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં ગત 16 ઓગસ્ટના રોજ યોજાયેલી પીએચડી પ્રવેશ પરીક્ષા ભારે વિવાદમાં સપડાઈ છે. યુનિવર્સિટીના નવા બની રહેલા ભવનમાં જરૂરી ફાયર સેફ્ટીના સાધનો, ફાયર પરમિશન, BU સર્ટિફિકેટ કે સીસીટીવી કેમેરાની વ્યવસ્થા ન હોવા છતાં આશરે 835 જેટલા વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પરીક્ષાનું લેવાયા કોંગ્રેસે આક્ષેપો કર્યા છે.આ પરીક્ષામાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પણ બેઠા હતા અને તેમણે સૌથી વધુ 86 ગુણ મેળવીને ઉત્તીર્ણ થયા હોવાની સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી. યુનિવર્સિટીના પ્રશાસન દ્વારા જ સુરક્ષાના મૂળભૂત નિયમોની ઘોર ઉપેક્ષા કરીને આવી મહત્વપૂર્ણ પરીક્ષા યોજવામાં આવતા શિક્ષણ જગતમાં મોટો ખળભળાટ મચી ગયો છે. જે બિલ્ડિંગનું ઉદ્ધાટન નથી થયું ત્યાં પરીક્ષા યોજવામાં આવ્યાનો આક્ષેપ આ સમગ્ર ગંભીર બેદરકારી સામે આવ્યા બાદ જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીએ યુનિવર્સિટી તંત્ર સામે આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું કે જે બિલ્ડિંગનું હજી લોકાર્પણ કે ઉદ્ઘાટન પણ થયું નથી, જ્યાં BU સર્ટિફિકેટ કે ફાયર સેફ્ટીની મંજૂરી નથી અને સીસીટીવી કેમેરા પણ નથી, ત્યાં આટલી મોટી પરીક્ષા યોજીને મોટી ગેરરીતિ આચરવામાં આવી હોવાની શક્યતા નકારી શકાય નહીં. પ્રાઇવેટ કોલેજો પાસે નિયમોનું પાલન કરાવતી યુનિવર્સિટી પોતે જ નિયમોનો ભંગ કરી રહી છે. આ સાથે તેમણે ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર નિશાન સાધતા સવાલ કર્યો હતો કે, નાની નાની બાબતોમાં સરકારની ક્ષતિઓ ઉજાગર કરતા ગોપાલભાઈ પોતે આ જ પરીક્ષામાં બેઠા હોવા છતાં તેમણે આ મુદ્દે મૌન કેમ સેવ્યું? શું પોતાના સ્વાર્થ માટે તેમણે આડા કાન કર્યા છે? કોંગ્રેસ પ્રમુખે આ મામલે તટસ્થ તપાસ કમિટી નીમી દોષિતો સામે આકરા પગલાં ભરવાની માગ કરી છે. બીજી તરફ, પરીક્ષા વ્યવસ્થામાં ગડબડ હોવાના આક્ષેપ સાથે ઇતિહાસ વિષયમાં ફોર્મ ભરનાર ઉમેદવાર ડો. કૃણાલ ભદ્રેશાએ પોતાની હાલાકી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે તેમની હોલ ટિકિટમાં ઇતિહાસ વિષયના બદલે સોશિયલ સાયન્સ લખાઈને આવ્યું હતું. આ અંગે તેમણે યુનિવર્સિટી તંત્ર અને વાઇસ ચાન્સેલરને જાણ કરવા છતાં પણ કોઈ જવાબ કે સુધારો ન મળતા તેઓ આ મહત્વની પ્રવેશ પરીક્ષા આપી શક્યા ન હતા. આમ યુનિવર્સિટીના અણઘડ વહીવટના કારણે લાયક ઉમેદવાર પરીક્ષા આપવાથી વંચિત રહી ગયા હોવાનો કિસ્સો પણ સામે આવ્યો છે. પીએચડીની પરીક્ષા દરમિયાન દરેક વર્ગખંડમાં 5 સુપરવાઈઝર હોવાનો દાવો આ તમામ આક્ષેપો અને વિવાદ મામલે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણે પોતે સ્વીકાર્યું હતું કે નવી બિલ્ડિંગમાં ફાયરની પરમિશન મળવાની હજુ બાકી છે. તેમણે ખુલાસો કર્યો હતો કે મુખ્ય બિલ્ડિંગ અને લાયબ્રેરીમાં ફાયર સાધનો લગાવીને મંજૂરી માટે અરજી કરી દેવાઈ છે, પરંતુ મ્યુનિસિપાલિટી સિવાયના ગ્રામ્ય વિસ્તારના નિયમો મુજબ આગળની પ્રક્રિયા હાથ ધરાશે. સીસીટીવી અંગે તેમણે વિચિત્ર તર્ક આપતા જણાવ્યું કે કેમેરાની જરૂરિયાત ત્યાં હોય છે જ્યાં ચોરી કે ગેરરીતિ થતી હોય. પીએચડી પરીક્ષામાં દરેક વર્ગમાં પાંચ સુપરવાઈઝર હતા અને તેઓ પોતે 24 કલાક નિરીક્ષણ કરી રહ્યા હતા. વિદ્યાર્થીઓ 10 વર્ષથી નાની ઓરડીમાં ભણતા હતા તેથી તેમને સારા ક્લાસમાં બેસાડી પરીક્ષા લેવાનો હેતુ હતો અને કોઈ પણ વિદ્યાર્થી સાથે ગેરરીતિ થઈ નથી. કેટલાક લોકો યુનિવર્સિટીને બદનામ કરવાનો પ્રયાસ કરતા હોવાનો આક્ષેપ કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણે યુનિવર્સિટીની ઈમેજ ખરાબ કરનારા તત્વો સામે આકરો રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે ઉમેદવાર કૃણાલ અંગે ખુલાસો કરતા કહ્યું કે તેઓ બી.એડ.ના અધ્યાપક છે અને તેમણે પરીક્ષા વ્યવસ્થાને ડિસ્ટર્બ કરવા માટે બહારના કે અગાઉ યુનિવર્સિટી પર કબજો જમાવીને બેઠેલા લોકોના ઈશારે આ ખેલ રચ્યો છે. કુલપતિના જણાવ્યા મુજબ કૃણાલને રૂબરૂ આવીને પરીક્ષા આપવા કહ્યું હતું પરંતુ તેઓ આરટીઆઈ અને બ્લેકમેલિંગની ધમકીઓ આપવા લાગ્યા હતા. ચાન્સેલરે સ્પષ્ટ ચેતવણી આપી છે કે યુનિવર્સિટી માત્ર નિયમો આધારે ચાલશે અને સરકાર કે યુનિવર્સિટીની આભાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરનારા તથા બ્લેકમેલ કરનારા આવા અસામાજિક તત્વો સામે પોલીસ ફરિયાદ (FIR) નોંધાવીને તેમને લાઈન પર લાવવામાં આવશે. આપના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પણ પરીક્ષામાં હાજર રહ્યા'તા ગત 19 ઓગસ્ટે યોજાયેલી આ લેખિત પ્રવેશ પરીક્ષાનું પરિણામ 31 ઓગસ્ટે જાહેર કરાયું હતું. જેમાં ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ સૌથી વધુ 86 માર્ક્સ મેળવી પ્રથમ ક્રમાંક હાસિલ કર્યો હતો. ગોપાલ ઈટાલિયા હવે 'ટકાઉ ખેતી અને ખેડૂત કલ્યાણ માટે બંધારણીય માળખું' વિષય પર પોતાનો મહાશોધનિબંધ (Ph.D. Thesis) તૈયાર કરવાના છે. જોકે, સરકારી કે યુનિવર્સિટી ભવનમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે સમાધાન કરીને ફાયર સેફટી અને સીસીટીવી વગર જ પરીક્ષા આયોજિત કરવાની કુલપતિની કબૂલાતથી શિક્ષણ આલમમાં પ્રશાસનની ગંભીર બેદરકારી સામે અનેક પ્રશ્નાર્થો ઊભા થયા છે.
Read full article on Divya Bhaskar