હર્ષ સંઘવીએ 101 નવી એસ.ટી. બસોનું કર્યું લોકાર્પણ, જાણો ક્યા રૂટ પર દોડશે આ બસો
Gujarat ST Bus Launch: રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે રાજ્ય સરકારે ગુજરાતની માતાઓ અને બહેનોને શ્રેષ્ઠ પરિવહન સુવિધાની એક શાનદાર ભેટ આપી છે. ભાઈ-બહેનના આ પવિત્ર તહેવાર નિમિત્તે મુસાફરી વધુ આસાન બને તે માટે 101 નવી નક્કોર એસ.ટી. (ST) બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરથી લીલી ઝંડી આપીને આ તમામ બસોને પ્રસ્થાન કરાવ્યું હતું.
એસ.ટી.ની બહેનોએ નાયબ મુખ્યમંત્રીને રાખડી બાંધી
આ કાર્યક્રમમાં એક ખૂબ જ સુંદર અને ભાવનાત્મક દ્રશ્ય જોવા મળ્યું હતું. એસ.ટી. નિગમમાં ફરજ બજાવતી મહિલા કંડક્ટરોએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને રાખડી બાંધીને રક્ષાબંધનની એડવાન્સમાં ઉજવણી કરી હતી. આ તકે નાયબ મુખ્યમંત્રીએ નવી બસોનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું અને એસ.ટી. કર્મચારીઓનો દિલથી આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું કે, જ્યારે આખું રાજ્ય તહેવારો મનાવતું હોય છે, ત્યારે એસ.ટી.ના ડ્રાઈવર, કંડક્ટર અને ઓપરેશન સ્ટાફ પોતાના પરિવારને છોડીને 24x7 જનતાની સેવામાં લાગેલા રહે છે. રાજ્યની માતા-બહેનોની સુવિધા માટે તહેવારની ઉજવણીનું બલિદાન આપનાર અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવનાર એસ.ટી. નિગમના તમામ કર્મચારીઓને તેમણે અભિનંદન પાઠવ્યા હતા.
જાણો નવી 101 બસોમાં કઈ-કઈ બસો સામેલ છે?
સરકાર દ્વારા લોકાર્પિત કરાયેલી આ નવી 101 બસોમાં મુસાફરોની સુવિધાનું પૂરું ધ્યાન રખાયું છે, જે રક્ષાબંધનના વિશેષ સંચાલનમાં પણ ઉમેરાશે. આ કાફલામાં નીચે મુજબની બસોનો સમાવેશ થાય છે:
71 સુપર એક્સપ્રેસ બસો
20 મિડી બસો
10 સ્લીપર કોચ
રક્ષાબંધન માટે 6500 એક્સ્ટ્રા ટ્રીપનું ખાસ આયોજન
રક્ષાબંધનમાં બહેનો પોતાના ભાઈના ઘરે રાખડી બાંધવા જતી હોય છે, ત્યારે બસોમાં ભારે ભીડ જોવા મળે છે. મુસાફરોને કોઈ તકલીફ ન પડે તે માટે તારીખ 26 થી 30 ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં 6500 જેટલી એક્સ્ટ્રા ટ્રીપ દોડાવવાનું સઘન આયોજન કરાયું છે.
આ વિશેષ બસો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મુખ્ય શહેરોમાંથી દોડશે.
આ ઉપરાંત અંબાજી, પાવાગઢ અને સોમનાથ જેવા પ્રમુખ યાત્રાધામોના રૂટ પર પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
મુસાફરોની સરળતા માટે ડેપો પર જઈને અથવા ઓનલાઈન પણ એડવાન્સ બુકિંગ કરાવી શકાશે.
મુસાફરોને આરામદાયક પ્રવાસ કરાવવાનો સરકારનો લક્ષ્યાંક
આ પ્રસંગે મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વિઝનથી આ નવી 101 બસો જનતાની સેવામાં મૂકવામાં આવી છે. આનાથી નોકરિયાતો, વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકો માટે સલામત અને આરામદાયક જાહેર પરિવહન સેવા સુનિશ્ચિત થશે, જે સમગ્ર ગુજરાત માટે ગૌરવની ક્ષણ છે. તેમણે વધુમાં જણાવ્યું કે રક્ષાબંધનને ધ્યાનમાં રાખીને નવા રૂટ પર શરૂ કરાયેલી વિશેષ સેવાઓ રાજ્યના ખૂણે-ખૂણેથી પ્રવાસ કરતા નાગરિકોની મુસાફરી વધુ સરળ બનાવશે.
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે પણ રક્ષાબંધન વખતે એસ.ટી. નિગમે 6402 વધારાની ટ્રીપ દોડાવીને 3.33 લાખ મુસાફરોને સફળતાપૂર્વક તેમના મુકામ સુધી પહોંચાડ્યા હતા. આ વર્ષે મુસાફરોના ઘસારાને પહોંચી વળવા આયોજનને વધુ વ્યાપક બનાવી 6500 એક્સ્ટ્રા ટ્રીપ નક્કી કરાઈ છે. નિગમે જાહેર જનતાને આ વિશેષ સેવાનો મહત્તમ લાભ લેવા અપીલ કરી છે.
આ લોકાર્પણ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ, રાજ્ય કક્ષાના મંત્રી પી.સી. બરંડા, મંત્રી જયરામ ગામીત, ગાંધીનગરના મેયર મીરા પટેલ અને ગાંધીનગર (દક્ષિણ) ના ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર સહિત એસ.ટી. નિગમના અનેક ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.