politics
હળવદના કોયબાના ખેડૂતોનો વિરોધ:MRC કમિટીના નિર્ણય અને વળતર પરિપત્ર અસ્વીકાર્ય, જેતપરના આંદોલનને સમર્થન આપ્યું
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના કોયબા ગામના ખેડૂતોએ ખાનગી વીજ કંપનીના વીજપોલ અને કોરિડોર મામલે જાહેર કરાયેલા વળતરનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી એમઆરસી કમિટીની બેઠક બાદ સરકારે જાહેર કરેલા વળતરના પરિપત્રને કોયબા ગામના ખેડૂતોએ ફગાવી દીધો છે. કલેક્ટર કચેરીની બેઠક અને નક્કી થયેલા ભાવો ગઈકાલે મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એમઆરસી કમિટીની બેઠક મળી હતી. જેમાં હળવદના કોયબા અને રાણેકપર ગામના અસરગ્રસ્ત ખેડૂતોની જમીનના માર્કેટ રેટ સરકારના 4 જુલાઈ 2026 ના ઠરાવની જોગવાઈઓ મુજબ નક્કી કરાયા હતા. ખેડૂતોના પ્રતિનિધિઓની હાજરીમાં પારદર્શક પદ્ધતિથી ચીઠ્ઠીઓ પસંદ કરી બંધ કવરો ખોલવામાં આવ્યા હતા. બંને ભાવોમાં 20 ટકાથી ઓછો તફાવત હોવાથી સરેરાશના આધારે જમીનના માર્કેટ રેટ ગણવામાં આવ્યા હતા. અગાઉ ખેડૂતોને વીઘાના 14.37 લાખ રૂપિયા મળતા હતા, જે હવે વધીને 72.81 લાખ રૂપિયા નક્કી થયા છે. તંત્ર દ્વારા અગાઉના ભાવની સરખામણીએ પાંચ ગણાથી વધુ ભાવ નક્કી થયા હોવાની માહિતી આપવામાં આવી હતી. એમઆરસી કમિટીના નિર્ણય સામે અસંતોષ કોયબા ગામના ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે કે બેઠકમાં હાજર રહેલ વ્યક્તિ કોયબા ગામના મૂળ રહેવાસી નથી પરંતુ તેમણે ગામે વેચાતી જમીન લીધેલી છે. એમઆરસીમાં જોડાવું તેમનો વ્યક્તિગત નિર્ણય છે અને કોયબા ગામના ખેડૂતો તેની સાથે સહમત નથી. સરકારના પરિપત્રનો અસ્વીકાર ગામના ખેડૂતોએ જણાવ્યું છે કે સરકારનો નવી વળતર નીતિનો પરિપત્ર અને એમઆરસી કમિટી દ્વારા નક્કી કરાયેલા રેટ તેમને સ્વીકાર્ય નથી. જ્યાં સુધી સમગ્ર ગુજરાતના ખેડૂતોનું યોગ્ય સમાધાન નહીં થાય, ત્યાં સુધી કોઈ પણ ખેડૂત સહી કરવા માટે તૈયાર નથી. જેતપર આંદોલનને સમર્થન ખેડૂતો દ્વારા સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો છે. તેઓ જેતપર ગામેથી ખાનગી વીજ કંપની સામે પૂરા વળતર માટે ચાલી રહેલા ખેડૂત આંદોલન સાથે સત્તાવાર રીતે જોડાઈ ગયા છે.
Read full article on Divya Bhaskar