top
હિંમતનગરમાં કોંગ્રેસના ધરણા:ઉત્તરાખંડ ઘટના, છૂઆછૂતની રાજનીતિનો વિરોધ, રાષ્ટ્રીય નેતાઓ સામેના કેસ પરત ખેંચવાની માગ
સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિએ હિંમતનગરના મોતીપુરા સર્કલ ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે ધરણા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શન ઉત્તરાખંડના હલદ્વાનીમાં બનેલી ઘટનાના વિરોધમાં હતું. સાથે જ 'શુદ્ધિકરણ'ના નામે થતી છૂઆછૂત અને સામાજિક ભેદભાવની રાજનીતિનો પણ વિરોધ કરાયો. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ સામે દાખલ કરાયેલા કેસનો પણ ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ ધરણા કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રામ વી. સોલંકી, પૂર્વ પ્રમુખ અશોક પટેલ, સંગઠન મંત્રી પ્રિયવર્ધન પટેલ અને મીડિયા સેલના કન્વીનર કુમાર એમ. ભાટ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે જિલ્લા ફરિયાદ સેલના હોદ્દેદારો, વિવિધ તાલુકા-શહેર કોંગ્રેસ પ્રમુખો, પ્રભારીઓ, ફ્રન્ટલ સેલ અને ડિપાર્ટમેન્ટના હોદ્દેદારો પણ હાજર હતા. જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં કોંગ્રેસી આગેવાનો અને કાર્યકર્તાઓ પણ જોડાયા હતા. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, ઉત્તરાખંડના હલદ્વાની ખાતેની ઘટના બાદ 'શુદ્ધિકરણ'ના નામે છૂઆછૂત અને સામાજિક ભેદભાવને પ્રોત્સાહન આપતી રાજનીતિનો કડક વિરોધ જરૂરી છે. આ મુદ્દે અવાજ ઉઠાવનાર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સામે કેસ દાખલ કરાયા છે. કોંગ્રેસે આ કેસો પરત ખેંચવાની માંગ કરી હતી. ધરણા દરમિયાન કોંગ્રેસ કાર્યકર્તાઓએ 'સંવિધાન બચાવો, લોકશાહી બચાવો' અને 'છૂઆછૂતની રાજનીતિનો વિરોધ કરો' જેવા નારા લગાવ્યા હતા. કાર્યક્રમમાં કોંગ્રેસી કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ અને આક્રોશ જોવા મળ્યો હતો. કોંગ્રેસના આગેવાનોએ બંધારણ, સામાજિક ન્યાય અને સમાનતાના મુદ્દે પોતાનો અવાજ વધુ મજબૂત કરવાની વાત કરી હતી.
Read full article on Divya Bhaskar