top
ગુજરાત યુનિવર્સિટીમાં NEP-2020 અંતગર્ત વર્કશોપ યોજાયો:ઇન્ડિયન નોલેજ સિસ્ટમ અને હાયર એજ્યુકેશન રિફોર્મ્સ પર વિચાર વિમર્શ, વિદ્યાર્થીઓને રોજગાર આપનાર બનાવવા મંત્રીની અપીલ
ગુજરાત યુનિવર્સિટીના શ્યામા પ્રસાદ મુખર્જી હોલ ખાતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 અંતર્ગત 'ઇન્ડિયન નોલેજ સિસ્ટમ અને હાયર એજ્યુકેશન રિફોર્મ્સ' વિષય પર એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ત્રિકમ છાંગા તેમજ અન્ય ધારાસભ્યો અને વિષય નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન નિષ્ણાતો દ્વારા નવી શિક્ષણ નીતિ હેઠળ થતાં સુધારાઓ, વિદ્યાર્થીઓ માટે સ્કિલ ડેવલપમેન્ટ અને શિક્ષણમાં મૂળભૂત ફેરફારો અંગે વિસ્તૃત સંવાદ હાથ ધરવામાં આવ્યો હતો. દેશની શિક્ષણ વ્યવસ્થાની દશા અને દિશા બંને બદલાઈ અધ્યાપકોને સંબોધતા મંત્રી ત્રિકમ છાંગાએ જણાવ્યું હતું કે, NEP 2020 ના અમલીકરણથી દેશની શિક્ષણ વ્યવસ્થાની દશા અને દિશા બંને બદલાઈ રહ્યા છે. તેમણે અધ્યાપકોને અપીલ કરી હતી કે વિદ્યાર્થીઓ માત્ર નોકરી શોધનારા (રોજગારી લેનાર) ન બને, પરંતુ નોકરીદાતા (રોજગારી આપનાર) બને તે દિશામાં તેમનું યોગ્ય ઘડતર કરવું જોઈએ. આ ઉપરાંત, વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે ઉદ્યોગોમાં કામ કરીને વ્યવહારુ જ્ઞાન મેળવી શકે તે માટે પણ યોજનાઓ બનાવવામાં આવી છે. શિક્ષણક્ષેત્રના પ્રશ્નોના નિકાલ માટે હકારાત્મક અભિગમ વ્યક્ત કર્યો મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતને શિક્ષણ ક્ષેત્રે નવી ઊંચાઈઓ પર લઈ જવાના પ્રયાસો થઈ રહ્યા છે. રાજ્યમાં વિકસી રહેલા ઉદ્યોગોમાં સ્થાનિક વિદ્યાર્થીઓ સક્રિય ભૂમિકા ભજવી શકે તે માટે શિક્ષણમાં સાર્વત્રિક પરિવર્તન લાવવું જરૂરી છે. તંત્રે શિક્ષકોના હક-અધિકારો જાળવવાની ખાતરી આપી હતી અને શિક્ષણક્ષેત્રના પ્રશ્નોના યોગ્ય નિકાલ માટે હકારાત્મક અભિગમ વ્યક્ત કર્યો હતો.
Read full article on Divya Bhaskar