top
ગુજરાત વિધાનસભામાં પુલ, ભરતી અને કુપોષણના આંકડા સામે આવ્યા:2 વર્ષમાં 161 જર્જરિત પુલ, GPSCમાં 6 સભ્યોની જગ્યા ખાલી; બનાસકાંઠામાં 4,055 કુપોષિત બાળકો, ₹1.37 કરોડનો ખર્ચ
ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિવિધ વિભાગોને લગતા પ્રશ્નોના જવાબમાં સરકાર દ્વારા મહત્વના આંકડા રજૂ કરવામાં આવ્યા છે. રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં મોટા, મધ્યમ અને નાના મળી કુલ 161 પુલો જર્જરિત હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2024-25માં 82 પુલોમાં 39 મોટા, 25 મધ્યમ અને 18 નાના પુલનો સમાવેશ થાય છે, જ્યારે વર્ષ 2025-26માં 79 પુલોમાં 19 મોટા, 42 મધ્યમ અને 18 નાના પુલ જર્જરિત મળ્યા હતા. સરકારે જણાવ્યું કે, આ તમામ પુલોને ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યા છે અને નાણાકીય ઉપલબ્ધતા તથા તાંત્રિક જરૂરિયાત મુજબ મરામત અથવા નવા પુલ બનાવવાની કામગીરી હાથ ધરાય છે. બીજી તરફ અમદાવાદ અને વડોદરા જિલ્લામાં માર્ગ-મકાન વિભાગ હસ્તકના 437 પુલોની ફિટનેસ ચકાસણીમાં 5 પુલ ક્ષતિગ્રસ્ત મળ્યા હોવાનું પણ સરકારે જણાવ્યું છે. GPSCમાં મંજૂર 7 સભ્યો સામે 6 જગ્યાઓ ખાલી વિધાનસભામાં GPSCની ખાલી જગ્યાઓ અંગે પણ વિગતો સામે આવી છે. 31 જુલાઈ 2026ની સ્થિતિએ GPSCમાં મંજૂર 7 સભ્યો સામે 6 જગ્યાઓ ખાલી છે અને આ જગ્યાઓ ભરવાનો મામલો સરકારના સ્તરે વિચારણાધીન છે. બીજી તરફ મહેસૂલ વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં જમીન દફતર નિરીક્ષક વર્ગ-2ની કુલ 326 મંજૂર જગ્યાઓમાંથી 161 ભરાયેલી અને 165 ખાલી છે. આ ખાલી જગ્યાઓ સીધી ભરતી, બઢતી અને સેમી-ડાયરેક્ટ પ્રક્રિયા દ્વારા ભરવાની કામગીરી પ્રગતિમાં છે. તેમજ રાજ્યમાં સબ રજિસ્ટ્રાર ગ્રેડ-1ની 205 મંજૂર જગ્યાઓમાંથી 149 અને ગ્રેડ-2ની 344માંથી 254 જગ્યાઓ ભરાયેલી છે, જ્યારે બાકીની જગ્યાઓ ભરવાની પ્રક્રિયા ચાલુ હોવાનું મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. બનાસકાંઠામાં 4,055 કુપોષિત બાળકો બનાસકાંઠામાં કુપોષણની સ્થિતિ પણ ચિંતાજનક હોવાનું આંકડાઓ પરથી સામે આવ્યું છે. 31 જુલાઈ 2026ની સ્થિતિ મુજબ છેલ્લા એક વર્ષમાં અમીરગઢ, દાંતા, દાંતીવાડા, ડીસા, ધાનેરા, કાંકરેજ, પાલનપુર અને વડગામ સહિતના તાલુકાઓમાં કુલ 4,055 કુપોષિત બાળકો નોંધાયા છે. બાળકોને પોષણક્ષમ આહાર આપવા માટે સરકારે છેલ્લા એક વર્ષમાં રૂ.1,37,58,324નો ખર્ચ કર્યો હોવાનું વિધાનસભામાં જણાવાયું છે. 7 કિમી વિસ્તારની મર્યાદામાં આવતા તળાવો ભરવામાં આવશે સૌરાષ્ટ્રના ખેડૂતો અને નાગરિકો માટે સૌની યોજનામાં તળાવો ભરવાની મર્યાદા 3 કિમીથી વધારીને 7 કિમી કરવાનો નિર્ણય લેવાયો છે. જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું કે સર્વે પૂર્ણ થયા બાદ 7 કિમી વિસ્તારની મર્યાદામાં આવતા તળાવો સૌની યોજના થકી ભરવામાં આવશે. બોટાદ બ્રાંચ કેનાલને સમાંતર 22 કિમીની ડ્યુઅલ પાઇપલાઇન મંજૂર અમરેલીના રાજુલા તાલુકામાં આ માટે સર્વેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને ઓક્ટોબર 2026 સુધીમાં સર્વે પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. ઉપરાંત ધોળીધજા ડેમથી વડોદ ડેમ સુધી બોટાદ બ્રાંચ કેનાલને સમાંતર 22 કિમીની ડ્યુઅલ પાઇપલાઇન મંજૂર કરવામાં આવી છે, જેનું કામ એપ્રિલ 2028 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે.
Read full article on Divya Bhaskar