top
ગીર સોમનાથમાં ‘સમરસ વિદ્યા સેતુ અભિયાન’ શરૂ:ડ્રોપઆઉટ બાળકોને શિક્ષણમાં જોડવા, શ્રેષ્ઠ શિક્ષકો સન્માનિત
ગીર સોમનાથ જિલ્લામાં ‘સમરસ વિદ્યા સેતુ અભિયાન’નો રામમંદિર ઓડિટોરિયમ ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાનનો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે અને શાળા છોડી ગયેલા બાળકોને ફરી શિક્ષણની મુખ્યધારામાં જોડવામાં આવે. ‘કોઈ ન રહે પાછળ, વિદ્યા વધારે આગળ’ની થીમ સાથે શરૂ થયેલા આ અભિયાન અંતર્ગત ડ્રોપઆઉટ બાળકોને શોધી કાઉન્સેલિંગ કરવામાં આવશે. ત્યારબાદ તેમને વય અનુરૂપ ધોરણમાં પુનઃપ્રવેશ અપાવવાની કામગીરી હાથ ધરાશે. કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અશોક પટેલે અભિયાનની સંપૂર્ણ રૂપરેખા રજૂ કરી હતી. તેમણે શાળામાં પુનઃજોડાણ, શિક્ષણમાં સાતત્ય, બ્રિજકોર્ષ, શાળા છોડવાના પ્રમાણમાં ઘટાડો, જનભાગીદારી અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ના લક્ષ્યાંકોની સિદ્ધિ અંગે માર્ગદર્શન આપ્યું હતું. શાળા વ્યવસ્થાપન સમિતિ, ગ્રામપંચાયત અને જનપ્રતિનિધિઓની ભૂમિકા વિશે પણ વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ અભિયાનમાં ગેરહાજર બાળકોનું મોનિટરિંગ, સ્થળાંતરિત પરિવારોના બાળકો અને દિવ્યાંગ બાળકોના શિક્ષણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. જો કોઈ બાળક લાંબા સમય સુધી શાળાથી દૂર રહે તો તેની ઓળખ કરી પરિવાર સાથે સંપર્ક સાધી બાળકને ફરી શાળામાં લાવવાની કામગીરી કરાશે. જિલ્લા શિક્ષણાધિકારી એમ.પી. બોરીચાએ પુનઃપ્રવેશની ઉત્તમ કામગીરી કરનાર શિક્ષકોને બિરદાવ્યા હતા. તેમણે બાળકોનું શાળામાં સ્થાયીકરણ, પુનઃપ્રવેશ, આરટીઈ એક્ટ, ‘નિપુણ ગુજરાત’ અને ‘સ્કાર્ફ’ સિસ્ટમનો ઉલ્લેખ કર્યો હતો. શિક્ષકોને કોઈ પણ બાળક શાળા ન છોડે તે દિશામાં સઘન કામગીરી કરવા પ્રેરણા આપી હતી. શાળાઓમાં વીજળી, પાણી, રમતનું મેદાન સહિતની માળખાકીય સુવિધાઓ જળવાય અને શિક્ષણની ગુણવત્તા જાળવી રાખવામાં આવે તે માટે પણ ભાર મૂકવામાં આવ્યો હતો. સામાજિક, આર્થિક અને મોસમી પરિબળો ઘણીવાર બાળકોના શિક્ષણમાં અવરોધ ઊભો કરે છે, જેના પરિણામે કેટલાક બાળકો અભ્યાસ અધવચ્ચે છોડી દે છે. આવા બાળકોને ફરી શિક્ષણની મુખ્યધારામાં લાવી તેમના ભવિષ્યને ઉજ્જવળ બનાવવું એ સમાજની સામૂહિક નૈતિક જવાબદારી હોવાનું કાર્યક્રમમાં ભારપૂર્વક જણાવાયું હતું. આ પ્રસંગે બાળકોના પુનઃપ્રવેશ અને શાળામાં સ્થાયીકરણની ઉત્તમ કામગીરી કરનાર શિક્ષકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમારોહમાં ડાયેટ પ્રાચાર્ય વી.એમ. પંપાણિયા, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એન.ડી. અપારનાથી, એજ્યુકેશન ઈન્સ્પેક્ટર રાજેશ ડોડિયા સહિત સી.આર.સી., બી.આર.સી. તથા ડાયેટના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read full article on Divya Bhaskar