top
'ઘરે આવજો, બંને સાથે ચા પીશું':પૂર્વ MP રાજેન્દ્રસિંહ રાણાએ મિત્ર ઉમરની કબરે ફૂલની ચાદર ચઢાવી શ્રદ્ધાંજલિ આપી, સાવરકુંડલામાં ઝાખરા પરિવારને દિલસોજી પાઠવી
રાજકારણ અને પદથી પર થઈને માનવીય સંબંધોનું મૂલ્ય છે.જે સાવરકુંડલામાં સામે આવી છે. ગુજરાત ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને ભાવનગર લોકસભાના પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણાએ પોતાના બાળસખા ઉમર ઝાખરાના અવસાન બાદ ભાવનગરથી સાવરકુંડલા દોડી આવીને અનોખી રીતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મિત્રએ આમંત્રણ આપ્યું હતું કે, 'ઘરે આવજો, બંને સાથે ચા પીશું'. પરંતુ રાણાએ મિત્રની કબર પર ફૂલોની ચાદર ચઢાવવી પડી હતી. મિત્રની અધૂરી ઈચ્છા અને ચાની પ્યાલી સાવરકુંડલાના રહેવાસી અને ગુજરાત સરકારના પાણી પુરવઠા બોર્ડમાંથી નિવૃત્ત થયેલા ઉમર ઝાખરાનું ટૂંકી બીમારી બાદ નિધન થયું હતું. આ દુઃખદ સમાચાર મળતાની સાથે જ રાજેન્દ્રસિંહ રાણા સાવરકુંડલા ખાતે ઝાખરા પરિવારના ઘરે પહોંચ્યા હતા. થોડા દિવસો પહેલા જ બંને મિત્રો વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ હતી, જેમાં ઉમરભાઈએ રાજેન્દ્રસિંહને ઘરે આવીને સાથે ચા પીવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જોકે, રૂબરૂ મુલાકાત થાય તે પહેલા જ ઉમરભાઈનું અવસાન થવાથી આ ઈચ્છા અધૂરી રહી ગઈ હતી. ભાવુક ક્ષણો અને કબર પર શ્રદ્ધાંજલિ મિત્રના ઘરે પહોંચીને રાજેન્દ્રસિંહ રાણાએ શોકગ્રસ્ત પરિવારને સાંત્વના પાઠવી હતી અને પોતાના મિત્રની યાદમાં ઘરે બેસીને ચા પીધી હતી. મિત્રને ગુમાવ્યાનું દર્દ તેમની આંખોમાં સ્પષ્ટ વર્તાતું હતું. તેમણે ભાવુક થઈને જણાવ્યું કે, મિત્રએ સાથે ચા પીવાનું કહ્યું હતું, પરંતુ તેમની સાથે રૂબરૂ બેસી ન શકવાનો અફસોસ હંમેશા રહેશે. આ મુલાકાત બાદ રાજેન્દ્રસિંહ રાણા પોતાના મિત્રની કબર પર પણ ગયા હતા. જ્યાં તેમણે કબર પર ફૂલની ચાદર ચડાવીને પ્રાર્થના કરી અને બાળસખાને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી. પાણી પુરવઠા બોર્ડમાં લાંબી સેવા ઉમરભાઈ ઝાખરા કરીમભાઈ ઝાખરાના પુત્ર હતા અને તેમણે આજીવન પાણી પુરવઠા બોર્ડમાં નિષ્ઠાપૂર્વક સેવાઓ આપી હતી. તેમના અચાનક અવસાનથી ઝાખરા પરિવાર તેમજ મિત્રવર્તુળમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સત્તા અને પ્રતિષ્ઠાથી પર રહેલા ગાઢ સંબંધોની આ ઘટના સાવરકુંડલા પંથકમાં સાચી મિત્રતાનું એક અદ્ભુત ઉદાહરણ બની રહી છે.
Read full article on Divya Bhaskar