business
એમેઝોનને નકલી ઈસબગુલ મોકલવું મોંઘું પડ્યું:પાટણ ગ્રાહક કમિશને ગ્રાહકને વ્યાજ સાથે રૂ. 15,380 ચૂકવવાનો આદેશ કર્યો
પાટણ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશને એમેઝોન વિરુદ્ધ ચુકાદો આપ્યો છે. એમેઝોને ગ્રાહકને નકલી ઈસબગુલ મોકલ્યું હતું. કમિશને એમેઝોનને પ્રોડક્ટની કિંમત, માનસિક ત્રાસ અને કાનૂની ખર્ચ સહિત કુલ રૂ. 15,380 ચૂકવવાનો આદેશ કર્યો છે. એમેઝોન દ્વારા અસલી બ્રાન્ડના બદલે ભળતી પ્રોડક્ટ મોકલીને સેવામાં ખામી રાખવામાં આવી હતી. પાટણના ચાચરિયા રોડ વિસ્તારમાં રહેતા પ્રકાશ નરેન્દ્રભાઈ મોદીએ આ મામલે ફરિયાદ નોંધાવી હતી. તેમણે એમેઝોન ઈન્ડિયા, એમેઝોન રિટેલ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ, એમેઝોન હૈદરાબાદ કેમ્પસ અને ધી સિદ્ધપુર સત્ ઈસબગુલ ફેક્ટરી વિરુદ્ધ ગ્રાહક કમિશનમાં ફરિયાદ કરી હતી. પ્રકાશ મોદીના પિતાજી વર્ષોથી સિદ્ધપુરની પ્રખ્યાત ટેલિફોન બ્રાન્ડનું ઈસબગુલ વાપરતા હતા. તેમણે એમેઝોનની વેબસાઈટ પર ટેલિફોન બ્રાન્ડ ઈસબગુલની જાહેરાત જોઈ. બજાર કિંમત કરતાં સસ્તું મળતું હોવાથી તેમણે 29 એપ્રિલ 2024ના રોજ રૂ. 380 ચૂકવીને ઓનલાઈન ઓર્ડર કર્યો હતો. એમેઝોન દ્વારા 5 મે 2024ના રોજ ડિલિવરી આપવામાં આવી. પ્રકાશ મોદીએ પાર્સલ ખોલતા તેમાં ઓર્ડર કરેલા ટેલિફોન બ્રાન્ડ ઈસબગુલના બદલે ભળતી અને હલકી ગુણવત્તાવાળી પ્રોડક્ટ નીકળી. ગ્રાહકે તરત જ ઓનલાઈન વેબસાઈટ પર ફરિયાદ નોંધાવી, પરંતુ એમેઝોન તરફથી કોઈ જવાબ મળ્યો નહીં. આથી, ગ્રાહકે 30 મે 2024ના રોજ રજિસ્ટર્ડ એ.ડી.થી ચારેય કંપનીઓને નોટિસ મોકલી. ઉત્પાદક કંપની સિદ્ધપુર સત્ ઈસબગુલ ફેક્ટરીએ સ્પષ્ટતા કરી કે તેઓ ઓનલાઈન વેચાણ કરતા નથી. જ્યારે એમેઝોન કંપનીઓ તરફથી નોટિસનો કોઈ જવાબ આપવામાં આવ્યો નહીં. આ મામલે ફરિયાદીએ પાટણ ગ્રાહક કમિશનમાં રૂ. 380 પરત મેળવવા ઉપરાંત માનસિક ત્રાસ, અનફેર ટ્રેડ પ્રેક્ટિસ અને પ્યુનિટિવ ડેમેજ પેટે કુલ રૂ. 1.50 લાખની માંગણી કરી હતી. ગ્રાહક કમિશને તમામ પક્ષકારોને નોટિસ મોકલી હતી. તેમ છતાં, એમેઝોન કે અન્ય જવાબદારો દ્વારા નક્કી કરેલા સમયમાં કોઈ લેખિત જવાબ કે બચાવ રજૂ કરવામાં આવ્યો નહીં. આથી, તેમનો જવાબ આપવાનો હક બંધ કરવામાં આવ્યો. કમિશનના પ્રમુખ એન.પી. ચૌધરી અને સભ્ય એમ.એ. સૈયદે પુરાવાઓની તપાસ કરી. તેમણે નોંધ્યું કે એમેઝોને ખોટી જાહેરાત મૂકીને ભળતી પ્રોડક્ટ મોકલી હતી. આ બેદરકારી અને સેવામાં ખામી દર્શાવે છે. ગ્રાહક તકરાર નિવારણ કમિશને આ કેસમાં એમેઝોન ઈન્ડિયા સંબંધિત ત્રણેય સંસ્થાઓને સંયુક્ત રીતે આદેશ આપ્યો છે. તેમને ફરિયાદીને પ્રોડક્ટની મૂળ રકમ રૂ. 380, અરજી કર્યાની તારીખથી વસૂલ થાય ત્યાં સુધી 9% સાદા વ્યાજ સાથે ચૂકવવા પડશે. આ ઉપરાંત, ગ્રાહકને થયેલા માનસિક ત્રાસ પેટે રૂ. 5,000 અને કાનૂની ફરિયાદ ખર્ચના રૂ. 10,000 પણ ચૂકવવા પડશે. આ કેસમાં અરજદાર તરફથી એડવોકેટ દર્શકભાઈ ત્રિવેદીએ દલીલો કરી હતી.
Read full article on Divya Bhaskar