crime
છ વર્ષથી ફરાર આરોપી રાજસ્થાનથી ઝડપાયો:ભરૂચ પોલીસે ટેકનિકલ એનાલિસિસથી જોધપુરથી દબોચ્યો
ભરૂચ શહેર ‘સી’ ડિવિઝન પોલીસે દહેજ મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાહિત વિશ્વાસઘાતના કેસમાં છેલ્લા છ વર્ષથી ફરાર આરોપી ચંદ્રશેખર ઉર્ફે શેખર સોનારામ બિશ્નોઇ (ઉ.વ.33)ને રાજસ્થાનના જોધપુર નજીકથી ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે કરવામાં આવી હતી. આ ગુનો વર્ષ 2020માં દહેજ મરીન પોલીસ સ્ટેશનમાં IPC કલમ 407, 120(બી) અને 114 હેઠળ નોંધાયો હતો. ચંદ્રશેખર બિશ્નોઇ, જે મૂળ રાજસ્થાનના બિલાડા તાલુકાના રાવરકીઢાની ગામનો રહેવાસી છે, તે આ ગુનામાં છ વર્ષથી પોલીસ પકડથી દૂર હતો. નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ભરૂચ ‘સી’ ડિવિઝન પોલીસે વિશેષ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન, પોલીસે અસંખ્ય ફોનકોલના રેકોર્ડનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો. ટેકનિકલ એનાલિસિસ અને ગુપ્ત માહિતીના આધારે આરોપી રાજસ્થાનના બિલાડા અને જોધપુર આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં છુપાયો હોવાની જાણકારી મળી હતી. આ માહિતી મળતા જ પોલીસ ટીમે રાજસ્થાનમાં તપાસ હાથ ધરી. આરોપીની હિલચાલ અંગે ચોક્કસ માહિતી મળ્યા બાદ, સ્થાનિક પોલીસની મદદથી જોધપુરના સારણનગર વિસ્તારમાં આવેલા તેના રહેણાંક મકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાંથી ચંદ્રશેખર ઉર્ફે શેખર બિશ્નોઇને ઝડપી લેવામાં આવ્યો. છ વર્ષથી પોલીસને ચકમો આપતા આરોપીને ટેકનિકલ તપાસના આધારે રાજસ્થાનમાંથી ઝડપી પાડવાની આ કામગીરી ભરૂચ શહેર ‘સી’ ડિવિઝન પોલીસ માટે એક મહત્વપૂર્ણ સફળતા બની છે. ઝડપાયેલા આરોપીને વધુ કાર્યવાહી માટે દહેજ મરીન પોલીસને સોંપવામાં આવ્યો છે.
Read full article on Divya Bhaskar