top
ગણેશોત્સવમાં પોલીસ ડ્રોન-CCTVથી ચાંપતી નજર રાખશે:અફવા ફેલાવશો તો ખેર નથી!, સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ પોલીસ ફોર્સ તૈનાત કરાશે
ગુજરાતમાં આગામી ગણેશોત્સવ શાંતિપૂર્ણ, સલામત અને સૌહાર્દપૂર્ણ માહોલમાં યોજાય તે માટે પોલીસ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકની અધ્યક્ષતામાં આજે(11 સપ્ટેમ્બર) તમામ પોલીસ કમિશનર, રેન્જ વડા અને જિલ્લા પોલીસ વડા સાથે વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. બેઠકમાં ગણેશ સ્થાપનાથી લઈને વિસર્જન સુધી કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટેની તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થાની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ પોલીસ ફોર્સ તૈનાત રહેશે ગણેશ સ્થાપના તેમજ વિસર્જન દરમિયાન સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ પોલીસ ફોર્સ તૈનાત રાખવા સૂચના આપવામાં આવી છે. સાથે જ ભીડ નિયંત્રણ, ટ્રાફિક ડાયવર્ઝન અને રાઉન્ડ-ધ-ક્લોક પેટ્રોલિંગની વ્યવસ્થા કરવા તમામ જિલ્લા અને શહેર પોલીસ તંત્રને આદેશ આપવામાં આવ્યો છે. વિસર્જન દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા હોવાથી પોલીસ દ્વારા અગાઉથી રૂટ અને ભીડ વ્યવસ્થાપનનું આયોજન કરવામાં આવશે. ગણેશ મંડળો અને શાંતિ સમિતિ સાથે બેઠકો યોજાશે કાયદો-વ્યવસ્થા જાળવવા સ્થાનિક શાંતિ સમિતિઓ તથા ગણેશ મંડળોના આયોજકો સાથે બેઠકો યોજી પરસ્પર સંકલન વધારવા સૂચના આપવામાં આવી છે. મુખ્ય વિસ્તારો તેમજ ગણેશ વિસર્જનના સરઘસના રૂટ પર CCTV કેમેરા મારફતે સતત નજર રાખવામાં આવશે. જરૂરિયાત મુજબ ડ્રોનનો ઉપયોગ કરીને પણ સમગ્ર સ્થિતિનું મોનિટરિંગ કરવામાં આવશે. અફવા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે ગણેશોત્સવ દરમિયાન સોશિયલ મીડિયા પર અફવા ફેલાવીને વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરનારા તત્વો સામે પોલીસ ખાસ નજર રાખશે. સોશિયલ મીડિયા પર ભ્રામક કે ઉશ્કેરણીજનક માહિતી ફેલાવીને શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરનાર અસામાજિક તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી કરવા પોલીસ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. BDS અને રાયોટ કંટ્રોલ ટીમો સ્ટેન્ડબાય રહેશે સુરક્ષાના ભાગરૂપે બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS), ટીયર ગેસ તથા રાયોટ કંટ્રોલ સાધનો સાથે પોલીસ ટુકડીઓને સ્ટેન્ડબાય રાખવામાં આવશે. વિસર્જન રૂટ પર કોઈ પ્રકારનો અવરોધ ઊભો ન થાય તે માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. ફાયર બ્રિગેડ અને આરોગ્ય વિભાગ સાથે સંકલન વિસર્જન દરમિયાન કોઈપણ ઇમરજન્સી સ્થિતિ સર્જાય તો તાત્કાલિક મદદ મળી રહે તે માટે ફાયર બ્રિગેડ, આરોગ્ય વિભાગ અને અન્ય ઇમરજન્સી સેવાઓ સાથે સંકલન સાધવા સૂચના આપવામાં આવી છે. સમગ્ર તહેવાર દરમિયાન જાહેર જનતાની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા રાજ્ય પોલીસ વડાએ અધિકારીઓને નિર્દેશ આપ્યા છે. પોલીસ તંત્ર દ્વારા ગણેશોત્સવ શાંતિ અને ભાઈચારાના માહોલમાં ઉજવાય તે માટે નાગરિકોને પણ પોલીસને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.
Read full article on Divya Bhaskar